logo

ઉચ્ચશિક્ષણની ગુણવત્તા સુધારણામાં ટેક્નોલોજીની જરૂરિયાત

ગુણવત્તા સભર ઉચ્ચશિક્ષણ માટે એક અધ્યાપક કે સંસ્થા કેવી રીતે સહાયભૂત બની શકે તે માટે આજે થોડા વિચારો રજૂ કરવાની ઇચ્છા થઇ.કારણ કે આજે ગુણવતા સભર ઉચ્ચશિક્ષણ માટે ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટની જરૂરિયાત અંગે વ્યાપક ચર્ચા ચાલી રહી છે.આમ તો આચાર્ય,શિક્ષક કે અધ્યાપક બધા નામ ફેર સાથે કામ કરતા ગુરૂજીઓનું મુળભૂત કામ તો માત્ર અને માત્ર વિધાર્થીઓને શિક્ષણ આપી કેળવવાનું છે.આપણે જાણીએ છીએ કે જમાનો અને સમય બદલાવા છતાં કેળવણીની બાબત હંમેશા શિક્ષણના કેન્દ્રમાં રહી છે.પરંતુ જેમ જેમ સમય બદલાતો ગયો તેમ તેમ એની પધ્ધતિઓમાં આમૂલ ફેરફારો આવતા ગયા છે. જેમ જેમ જ્ઞાનની સીમાઓ વિસ્તૃત થતી ગઇ તેમ તેમ એની પધ્ધતિઓમાં પણ ફેરફાર આવ્યો અથવા કરવો પડ્યો છે.ભારતીય સમાજમાં પહેલાનાં જમાનામાં વેદ,ઉપનિષદો,પુરાણોના જ્ઞાન પર પકડ ધરાવનાર જ્ઞાની કહેવાતો.આજે નવા શોધ અને સંશોધનોને આધિન નવા જ્ઞાનનો પ્રવાહ અવિરત આવ્યો. પરંપરિત અને નવતર જ્ઞાન મળી જ્ઞાન વિસ્ફોટ થયો. અનેક નવી ક્ષિતિજો ઉઘડી.પરિણામે જ્ઞાનની ચોકકસ શાખામાં પારંગતપણાનો યુગ આવ્યો.એથી પણ આગળ વધી પોતાના જ્ઞાનની સમૃધ્ધિનો લાભ માત્ર પોતાના વિધાર્થીઓ પૂરતો સિમિત ન રહેતા ઉપગ્રહ,કમ્યુટર કે ઇન્ટર્નેટના માધ્યમ થકી તેના વિતરણ અને વિસ્તરણની શક્યતાઓ અનેક ઘણી વધી. પ્રાચીન સમયમાં માત્ર ઝાડ નીચેથી શરૂ થયેલી આપણી અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા વર્ગની ચાર દિવલો વટાવી આજે લેપટોપ-ટેબલેટના માધ્યમથી બસમાં–વિમાનમાં મુસાફરી સુધી પ્રસરી.જેમ જ્ઞાન વિસ્ફોટ થયો એમ એના વિતરણના સંસાધનો પણ વધ્યા.વિધાર્થી પણ વર્ગમાં અપાતા અને બીબાંઢાળ પધ્ધતિથી પીરસાતા જ્ઞાન પર આધાર રાખવાને બદલે જ્ઞાન મેળવવાની તમામ શક્યતાઓને તાગતો અને ઉપયોગ કરતો થયો છે.આવા સંજોગોમાં ઉચ્ચશિક્ષણ આપતી સંસ્થાઓમાં જુની નોટ્સને આધારે વર્ષોથી ચાલી આવતી અધ્યાપન પરંપરા જાળવી, બેસી રહેવાને બદલે નવી ટેક્નોલોજીની સાથે અધ્યાપન કાર્યને જોડવું એ જરૂરિયાત જ નહી પણ આપણી મજબૂરી પણ બની છે.

સાચા અર્થમાં આપણે વ્યાવસાયિક પ્રતિબધ્ધતા દાખવવી હશે તો નવીન ટેકનોલોજી આધારિત પધ્ધતિઓ વિકસાવી અધ્યાપન કાર્યમાં ઉપયોગ કરી નવા જ દ્રષ્ટિકોણથી પોતાના વિષયને વિધાર્થી સમક્ષ મૂકવો પડશે.કારણ કે આજના વિધાર્થીએ હાઇ ટેક વર્ગો અને શિક્ષણ પધ્ધતિ વિશે સાંભળ્યું છે અને વાંચ્યું છે.હવે એક શિક્ષક માત્ર સિમિત વિધાર્થીઓને ભણાવતો હોય તેમજ વિધાર્થી માત્ર અધ્યાપકે જ વર્ગમાં ભણાવેલા કે ગાઇડ કે સંપુટમાં વાંચેલી વાત સાચી માની લેવાની મજબૂરી તેની રહી નથી.જેનાથી આપણી સમજ ટેવાઇ ગઇ છે તેવી પરંપરિત પધ્ધતિઓનો સમય પૂરો થવા આવ્યો છે.જે રીતે પેપરલેસ કલ્ચર વિકસી રહ્યું છે તે જોતાં આગામી સમયમાં ચોક-ડસ્ટર પણ બંધ થાય તો નવાઇ નહી.બ્લેક બોર્ડનું સ્થાન LCD SCREEN કે ચોક-ડસ્ટરનું સ્થાન માઉસ કી- બોર્ડ લઇ લેશે.પુસ્તકો પણ નેટ પર આવી ગયા ,ઇ-લાઇબ્રેરીનો જમાનો આવ્યો તેમ ઇ-ગુરૂનો સમય આવશે ,અલબત આવી ગયો છે.આજે કોઇ એક જ વિષય પર અનેક વ્યક્તિઓના વિચારો વ્યાખ્યાન નેટ પર પડેલા મળે છે.કોઇ એ પણ નવું જાણવા લાઇબ્રેરી સુધી જવાની જરૂર નથી.જે જોઇએ તે માત્ર બે ફૂટના અંતરે પડેલા તમારા કમ્પ્યુટરની સ્ક્રીન પર ક્લીક કરતા મળી જાય છે.વિધાર્થીના હાથ પેન ચલાવે છે એના કરતા વધુ ઝડપથી કમ્પ્યુટર ચલાવતા થયા છે.આવા જ્ઞાન વિતરણના સંક્રાંતિકાળમાં જે અધ્યાપકો કોલેજમાં શૈક્ષણિક કાર્ય કરી રહ્યા છે તેમણે સાચા અર્થમાં વ્યાસાયિક પ્રતિબધ્ધતા દાખવવી હશે તો નવી ટેકનિક અપનાવવી પડશે,તેનો છોછ રાખ્યા વિના તેને શીખવી પડશે અને વર્ગખંડોમાં તેનો ઉપયોગ કરવો પડશે.જો કે આ કામ એકલા અધ્યાપકો ના કરી શકે.તેમની માતૃસંસ્થાઓ અને સરકારશ્રીએ પણ આ માટે જરૂરી સગવડો તેના અધ્યાપકો ને ઉપલબ્ધ કરાવવી પડશે.જો કે સરકારશ્રી તો પ્રાથમિક થી માંડી ઉચ્ચશિક્ષણ સુધી લગભગ તમામ સંસ્થાઓને કોમ્પુટર અને નેટથી સજ્જ કરી રહી છે.આપણે આ બધા પ્રયત્નોને હકારાત્મક લેવાની જરૂર છે. ઘણી બધી ગ્રાંટ ઇન એઇડ કોલેજોમાં તો સંચાલક મંડળે અને આચાર્યશ્રીઓએ અધ્યાપકોને અંત્યાધુનિક લેપટોપથી સજ્જ કર્યા હોવાનું સાંભળવામાં આવ્યું છે.સાબરકાંઠાની તલોદ,શામળાજી અને હિંમતનગરની કોલેજોમાં તેના આચાર્યશ્રીઓએ આવું સુંદર આયોજન પોતાના અધ્યાપકો માટે કર્યું છે ,જે નવી દિશાનો સંકેત છે.નવી ટેકનોલોજીની અગત્યતા સમજી સંસ્થાના વડાઓનો આવો અભિગમ આનંદ પમાડે તેવો છે.પરંતુ આનો સાચો અર્થ ત્યારે જ સરે જ્યારે તે માત્ર ઔપચારિક ના બને અને જેમના માટે આ ખર્ચ કરવામાં આવ્યો છે તે અધ્યાપકો રસથી આ વસ્તુની આવનારા સમયના શિક્ષણમાં અગત્યતા સમજી તેને અપનાવે અને સાચા અર્થમાં તેનો વિધાર્થી માટે અને શિક્ષણ માટે ઉપયોગ કરે.નવી ટેકનોલોજીને આવી પડેલી સમજવાને બદલે તેને સરળ અધ્યાપન કાર્ય માટે આવેલ અવસર તરીકે જોવાની દ્રષ્ટિ કેળવવાની જરૂર છે.તેનાથી ભાગવાને બદલે તેને ભોગવવાની ,શીખી ,કે શીખવવાની તૈયારી દાખવવામાં આવશે તો સમાજે જે અપેક્ષાઓ સાથે તન-મન-હ્ર્દયમાં આપણને ગુરૂપદે સ્થાપ્યા છે તેને પણ સાર્થક કરી શકીશું અને વિધાર્થી પણ કઇ નવી જ રીતે શિખવાનો આનંદ મેળવી સાચા અધ્યાપક તરીકે પ્રમાણિત કરશે.તો જ સમાજ અને વિધાર્થીનું સાચું FEEDBACK મેળવવાનોં વાસ્તવિક આનંદ પણ મેળવી શકીશું.

જ્ઞાન વિસ્ફોટના આ સમયમાં આપણા વિષયને લગતા તેમજ બહુમુખી જ્ઞાનને આત્મસાત કરવાની પ્રતિબધ્ધતા દાખવવી પડશે જ.એ જ્ઞાન મેળવવા માટે તથા તે મેળવી તેને વિધાર્થીઓ સમક્ષ પ્રસાર માટે ટેકનોલોજીનો સહારો લેવામાં આવે તો સરળ પ્રત્યાયન થકી વિધાર્થીમાં તેટલી જ સરળતાથી પ્રતિનિધાન થઇ શકે. મોટાભાગની કોલેજમાં મલ્ટીમિડિયા પ્રોજેક્ટરનો ઉપયોગ થતો નથી અથવા થતો હોય તો માત્ર ગણ્યાગાંઠ્યા અધ્યાપકો જ તેનો પ્રસંગોપાત ઉપયોગ કરતા હોય છે.ઘણા નવી જનરેશનના અધ્યાપકો કોમ્પુટરનો સરળતાથી ઉપયોગ કરતા દેખાય છે પણ જેટલો ઉપયોગ Facebook, youtube, twitter, blog ના સર્ફિંગ માટે વધુ થતો હોય છે.તેના બદલે પોતના વિષયને લગતી અભ્યાસસામગ્રીની શોધી તેને અપ લોડ –ડાઉનલોડ કરવા તરફ વળે તે જરૂરી છે.કોલેજમાં ઉપલબ્ધ કોમ્પુટર સંસાધનોનો ઉપયોગ શિક્ષણ અને જ્ઞાનપ્રસાર કરતાં વહીવટી કાર્ય માટે વધુ થતો હોય છે.ઘણા સમયથી સરકારશ્રી અને માન. ઉચ્ચાશિક્ષણ કમિશ્નરશ્રીની કચેરી શિક્ષણપધ્ધતિને આઇ.ટી.ની દીશામાં લઇ જવાનો અભિગમ રાખે છે. Bisag, Sandhan , Roobroo જેવા સંસાધન અને પ્રોગ્રામ દ્વારા અભુતપૂર્વ કામ થયુ છે.પરંતુ વાસ્તવિકતા એ છે કે ઉપલબ્ધ વાનાંનો જેટલો યથાર્થ ઉપયોગ થવો જોઇએ તેટલો થયો નથી.ઘણી જગ્યાએ માત્ર ફોટોગ્રાફી કરી રેકોર્ડ રાખી માત્ર ડોક્યુમેંટેશન માટે જ ઉપયોગ થાય છે. માટે આ બધાના યથાર્થ ઉપયોગમાં કોલેજના આચાર્યશ્રી અને સંચાલક મંડળ તેમજ ખુદ અધ્યાપકો સુકાની બની શિક્ષણની નૌકાને નવી હવા પ્રત્યે સકારાત્મકપણે પ્રયત્નપૂર્વક વાળી શકે છે. અધ્યાપકો અને વિધાર્થીઓમાં નવી ટેકનિક અંગે વ્યાપક જાગૃતિ ઊભી કરી અધ્યયન-અધ્યાપન પ્રક્રીયાને ખરા અર્થમાં આધુનિક બનાવી જૂની ઘરેડમાંથી બહાર લાવી શકે.

ગુજરાતના ઘણા સ્વનિર્ભર કેમ્પસની કોલેજો(મોટેભગે ટેકનિકલ એજ્યુકેશનની કોલેજોમાં)માં આ કામગીરી ખંતથી થતી જોવા મળે છે.જેને નજરસમક્ષ રાખી અન્ય સંસ્થાઓ પણ આ અભિગમ દાખવી શકે.સરકારી અને અનુદાનિત કોલેજોમાં આવું જ વાતાવરણ ઊભું થાય તે ઉચ્ચશિક્ષણના હિતમાં છે.પરંપરિત શિક્ષણ પ્ધ્ધતિથી આપણને નુકશાન થયું છે એમ કહેવાનો મારો ઇરાદો જરાય નથી.જે તે સમયમાં જે કઇં પણ ઉપલબ્ધ હતું તેને આધારે દેશની કઇ પેઢીઓ ભણીગણી કોઇને કોઇ ક્ષેત્રે રાષ્ટ્રનિર્માણમાં પોતાનું યથેચ્છ યોગદાન આપી રહી છે.એ પણ કઇ નાનીસુની ઉપલબ્ધી નથી.પરંતુ પરંપરિત શિક્ષણ વ્યવસ્થાને પકડી,આળસું બની નવતર પ્રયોગો કર્યા વગર માત્ર બેસી રહીશું, નવી ટેકનોલોજી આત્મસાત નહી કરીએ અને વિધાર્થીઓને તેના લાભથી વંચિત રાખીશું તો આવનારી પેઢીઓ આપણને માફ નહી કરે. તેમજ તેમને વંચિત રાખવાથી થનારા નુકશાનની સઘળી જવાબદારી આપણા શીરે રહેશે.ઉપરાંત નવી ટેકનોલોજીથી ઘડાયેલ નવા અધ્યાપકો વચ્ચે ગર્વ સાથે નોકરી કરવી હોય અને વ્યાવસાયિક સંતોષ મેળવવો હોય તો ટેકનોલોજીને આશીર્વાદ ઘણી અપનાવી, નવા જમાનાના અપડેટ અધ્યાપક બનીએ.હાલ આપણી પાસે જે ભૌતિક સુવિધાઓ આઇ.ટી બાબતે ઉપલબ્ધ છે તેનો કેવી રીતે ઉત્તમ ઉપયોગ કરી આપણી આર્ટસ,સાયંસ અને કોમર્સ કોલેજોના શિક્ષણને ગુણવત્તાસભર બનાવી શકીએ તે જોઇએ.

  1. કોલેજના એક કરતા વધુ રૂમને ઑડિયો વિઝ્યુલ સુવિધાથી સભર બનાવી મલ્ટી મિડિયા પ્રોજેક્ટરથી ત્વરીત ઉપયોગ કરી શકાય તેવા બનાવવા.
  2. ઑડિયો વિઝ્યુલ રૂમને ઇન્ટરનેટની બ્રોડબેન્ડ કનેક્શનથી સજ્જ કરવા અને ટુ વે કોમ્યુનિકેશન સિસ્ટમ ઊભી કરવી.જેથી જ્ઞાનનું જીવંત આદાનપ્રદાન કરી શકાય.
  3. બાયસેગના પ્રસારણમાં પ્રસારિત થતા વ્યાખ્યાન વિધાર્થી સીધા પ્રસારણથી જોઇ શકે તેવી વ્યવસ્થા પૂરી પાડવી.
  4. બાયસેગના વાર્ષિક સમયપત્રકને આધારે લાગુ પડતા વ્યાખ્યાનને કોલેજના સમય પત્રકમાં સામેલ કરવા જેથી તમામ વિષયના તજજ્ઞો દ્વારા રજૂ થતા વ્યાખ્યાનનો લાભ વિધાર્થીઓને નિયમિત મળી રહે.
  5. જુદી જુદી કોલેજની વેબસાઇટ પર મૂકવામાં આવેલ સારી શૈક્ષણિક અને સહ અભ્યાસિક પ્રવૃતિથી માહિતગર થવું.જેથી આપણે પણ આપણી કોલેજને એ તરફ લઇ જવાની નવી દિશા સાંપડે.
  6. કોલેજમાં રહેલી DELLની સુવિધાને સાચા અર્થમાં વિધાર્થી ઉપયોગી બનાવવી અને તેનો ઉપયોગ સિમિત ન કરી દેતાં વિધાર્થીઓને કોમ્પ્યુટરના પાયાનું શિક્ષણ આપવા પણ કરવો.
  7. ખુલ્લા બજારમાં કે સાહિત્યિક કે વૈજ્ઞાનિક સંસ્થાઓમાં ઉપલબ્ધ હોય તેવી અભ્યાસક્રમની CD/DVD ને મલ્ટીમિડિયા પ્રોજેક્ટરથી વિધાર્થીઓ સમક્ષ પહોચતી કરવી.
  8. ગ્રંથાલયની સાથે સાથે CD/DVD, E-BOOK, E-JOURNAL, E-MAGAGIN સુલભ કરાવવા.
  9. અભ્યાસક્રમના કેટલાક મુદ્દાઓને POWER POINT PRESANTETION થી તૈયાર કરી વિધાર્થી સમક્ષ મૂકવા જોઇએ જેથી અધ્યાપક અને વિધાર્થીઓની વિષય સામગ્રી અને ટેકનોલોજી એમ બંનેની સજજતામાં વધારો થાય.
  10. અધ્યાપકે નવીન ટેકનોલોજીથી મેળવેલ વિષય સામગ્રીને કે પોતાના દ્વારા નવ સર્જીત સામગ્રીને નેટ પર અપલોડ કરીને કે ઇ-મેઇલ દ્વારા અન્ય અધ્યાપકો સુધી પહોંચાડવી અને એજ રીતે અન્ય પાસેથી મેળવવી જેથી તેનો વ્યાપક પ્રમાણમાં અને સરળતાથી ઉપયોગ કરી શકાય.
જો કે ઉપરોક્ત સગવડો કોલેજમાં ઊભી કરવી થોડી ખર્ચાર બને રહે ખરી.ક્યાંક નવી ભૌતિક સુવિધા પણ ઊભી કરવી પડે એવું બને.પરંતુ સાચી વાત એ છે કે આજે તમામ કોલેજો જરૂરી સગવડો ધરાવે જ છે અને સ્થિતિ એવી પણ નથી કે ખર્ચ ન કરી શકાય.સરકારશ્રી, શિક્ષણવિદો ,શિક્ષણચિંતકો વગેરે દ્વારા જે નવિન પધ્ધતિઓ,પ્રયોગો ,સૂચનો આપવામાં આવે તેને નજર અંદાજ કર્યા વિના હકારત્મક બની વ્યાવસાયિક ફરજ અને નૈતિક-સામાજિક જવાબદારી સમજી તેને અપનાવવા. શિક્ષણ અને વિધાર્થીઓના હિતમાં હોય તેવી તમામ પ્રવૃતિઓ ખૂબ નિષ્ઠાથી કરવી. જેથી શિક્ષણને એક ડગલું આગળ લઇ જવામાં આપણે પણ નિમિત્ત બનીએ.શિક્ષણથી આપણું શું થયું ? તેનો વિચાર કરી આપણા થકી શિક્ષણને શું મળ્યું ? તેનો વિચાર કરવાથી નવી પ્રેરણા મળશે.જે વ્યવસાય થકી આપણે ઉજળા છીએ તે વ્યવસાયને ઉજળો બનાવવા જે કંઇ પણ કરવું પડે તે દ્રઢ આત્મનિશ્ચય સાથે કરીશું તો ચોક્કસ પરિણામ પણ મળશે અને આત્મસંતોષ પણ..

*************************************************** 

ડૉ. પંકજ પટેલ
સરકારી વિનયન કોલેજ,
બાયડ (જિ:સાબરકાંઠા)

Previousindexnext
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us