logo

ગણિત શિક્ષણમાં ગુણવત્તા સુધારણા- એક સર્વેક્ષણ

સારાંશ:

શિક્ષણના ઝડપી વિકાસ માટે શૈક્ષણિક ક્ષેત્રે ગુણવત્તા લાવવી આવશ્યક છે. શાળામાં શિખવવામાં આવતા વિવિધ વિષયો પૈકી ગણિત અને વિજ્ઞાન વિષયોનું અધ્યયન વિદ્યાર્થીઓ માટે ખૂબજ મહત્વનું છે. અસરકારક અધ્યયન માટે શિક્ષણ પદ્ધતિઓ, વિષયવસ્તુ, ભૌતિક સુવિધાઓ તેમજ શિક્ષણ પ્રક્રિયામાં સુધાર કરવો જરૂરી છે. પ્રસ્તુત સંશોધન નો મુખ્ય હેતુ ગણિત શિક્ષણમાં ગુણવત્તા લાવવા માટે શિક્ષણ પદ્ધતિઓ, શૈક્ષણિક સાધન સામગ્રી તેમજ અન્ય કઇ બાબતોની ગુણવત્તા સુધારવાની આવશ્યકતા છે એ જાણવાનો હતો. પ્રસ્તુત સંશોધનમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ચાર બી.એડ્ કોલેજના ગણિત પદ્ધતિના ૪૬ તાલીમાર્થીઓની પસંદગી કરી મુક્ત પ્રશ્નાવલિ દ્વારા માહિતી એકત્ર કરવામાં આવી હતી. આ સંદર્ભની ઊંડાણપૂર્વકની માહિતી પ્રસ્તુત સંશોધનપત્ર માં રજૂ કરવામાં આવી છે.

ચાવીરૂપ શબ્દો: ગુણવત્તા અને અસરકારક અધ્યયન

પ્રસ્તાવના

પ્રવર્તમાન સમયમાં સૌથી વધુ ચર્ચાતો શબ્દ ગુણવત્તા છે.દરેક ક્ષેત્રમાં ગુણવત્તાને પ્રાધાન્ય આપવામાં આવે છે. તે જ રીતે શિક્ષણમાં પણ ગુણવત્તાનો આગ્રહ રાખવામાં આવે એ સ્વાભાવિક છે. શાળાઓમાં ગુણવત્તાનો આધાર અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા પર રહેલો છે.

વછરાજાની(૨૦૦૭)1 ના મત મુજબ,
“તમે જે કરો છો, તે કરવું જોઇએ તેમ કરો,એટલું જ નહી પરંતુ કરવું જોઇએ તેનાથી વિશેષ કાળજી લઇને કરો ત્યારે ગુણવત્તા નો જન્મ થાય છે.”
શિક્ષણક્ષેત્રે ટકવા માટે ગુણવત્તા અનિવાર્ય છે. વિદ્યાર્થીઓની સમજશક્તિ, તર્કશક્તિ, સંવાદશક્તિ, વિવિધ કૌશલ્યો વિકસે એ જરૂરી છે. વિદ્યાર્થીઓ ઉચ્ચશિક્ષણ મેળવે એવી વ્યવસ્થા થઇ રહી છે ત્યારે શિક્ષણમાં ઉચ્ચ ગુણવત્તા પ્રાપ્ત કરવી જરૂરી છે. વિદ્યાર્થીઓ ને આપવામાં આવતું શિક્ષણ માહિતી કેન્દ્રિત કરતાં વધારે અનુભવજન્ય અને અતિઆવશ્યક છે. વિદ્યાર્થી ઓ સ્વયં શીખે, પ્રવૃત્તિઓ કરે, પ્રયોગો કરે અને જ્ઞાન મેળવી વિષયવસ્તુની સંપૂર્ણ સમજ મેળવે એ જરૂરી છે.

પટેલ (૨૦૦૪)2 નોંધે છે કે, શૈક્ષણિક ગુણવત્તા સુધારણા માટે નીચેના પરિબળો જવાબદાર હોઇ શકે.

  • શિક્ષકોની યોગ્ય તાલીમ
  • શૈક્ષણિક સ્રોતોના આધારો
  • ગુણવત્તા સુધારણા માટે યોગ્ય દિશાસૂચન
  • અધ્યયન-અધ્યાપન
  • અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા વગેરે.

ઉપરોક્ત તર્કાધારને ધ્યાનમાં લઇ સંશોધકે ગણિત શિક્ષણમાં ગુણવત્તા સુધારણા માટે શું કરી શકાય એ સંદર્ભે સર્વેક્ષણ હાથ ધર્યુ હતું.

અભ્યાસના હેતુઓ
  1. બી.એડ્.ના પ્રશિક્ષણાર્થીઓ પાસેથી વિવિધ શિક્ષણપદ્ધતિ દ્વારા ગણિત શિક્ષણમાં ગુણવત્તા સુધારણા અંગેના અભિપ્રાયો મેળવવા.
  2. બી.એડ્.ના પ્રશિક્ષણાર્થીઓ પાસેથી વિવિધ શૈક્ષણિક સાધન સામગ્રીના ઉપયોગ દ્વારા ગણિત શિક્ષણમાં ગુણવત્તા સુધારણા અંગેના અભિપ્રાયો મેળવવા.
  3. બી.એડ્.ના પ્રશિક્ષણાર્થીઓ પાસેથી ગણિત શિક્ષણમાં ગુણવત્તા સુધારણા અંગેના સૂચનો મેળવવા.
અભ્યાસના પ્રશ્નો
  1. બી.એડ્.ના પ્રશિક્ષણાર્થીઓ વિવિધ શિક્ષણપદ્ધતિ દ્વારા ગણિત શિક્ષણમાં ગુણવત્તા સુધારણા અંગે કયા અભિપ્રાયો ધરાવે છે?
  2. બી.એડ્.ના પ્રશિક્ષણાર્થીઓ વિવિધ શૈક્ષણિક સાધન સામગ્રીના ઉપયોગ દ્વારા ગણિત શિક્ષણમાં ગુણવત્તા સુધારણા અંગે કયા અભિપ્રાયો ધરાવે છે?
  3. બી.એડ્.ના પ્રશિક્ષણાર્થીઓનાં ગણિત શિક્ષણમાં ગુણવત્તા સુધારણા માટેનાં સૂચનો કયા હશે?
વ્યાપવિશ્વ અને નમૂના પસંદગી
પ્રસ્તુત અભ્યાસના વ્યાપવિશ્વમાં ગુજરાત રાજ્યની શિક્ષણ મહાવિદ્યાલયોનો સમાવેશ કર્યો હતો. જેમાંથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ૩૧ પૈકી ચાર શિક્ષણ મહાવિદ્યાલયોની યાદચ્છિક પસંદગી કરી હતી. જેમાં ચારેય શિક્ષણ મહાવિદ્યાલયોના ગણિત પદ્ધતિના કુલ ૪૬ પ્રશિક્ષણાર્થીઓનો નમૂના તરીકે સમાવેશ કર્યો હતો.

સંશોધન પદ્ધતિ
પ્રસ્તુત અભ્યાસ માટે સર્વેક્ષણ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો.

ઉપકરણ પસંદગી
પ્રસ્તુત અભ્યાસમાં પ્રશિક્ષણાર્થીઓ માટે પ્રશ્નાવલિની રચના કરવામાં આવી હતી. જેમાં ત્રણ મુક્ત જવાબી પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

માહિતી એકત્રીકરણ
અભ્યાસમાં સમાવિષ્ટ નમૂનાનાં પાત્રોને રૂબરૂ મળી પ્રશ્નાવલિ આપી તેના આધારે મુક્ત ઉp|રો મેળવવામાં આવ્યા હતા.

માહિતી પૃથક્કરણ
પ્રશિક્ષણાર્થીઓના ઉત્તરોનું વિષયવસ્તુ વિશ્ર્લેષણ દ્વારા ગુણાત્મક પૃથક્કરણ કરી તારણો મેળવવામાં આવ્યા હતા.

અભ્યાસના તારણો
  1. વિવિધ શિક્ષણપદ્ધતિ દ્વારા ગણિત શિક્ષણમાં ગુણવત્તા સુધારણા અંગેના તારણો:
  2. વિદ્યાર્થીઓને આગમન- નિગમન અને સંશ્લેશણ અભિગમોથી શિક્ષણકાર્ય કરાવવું.
    સ્વાધ્યાય પદ્ધતિ અને સ્વ-અધ્યયન પદ્ધતિને મહત્વ આપવું.
    મુખગણિત અને વૈદિકગણિતનો શક્ય એટલો વધુ ઉપયોગ કરવો.
    નબળા વિદ્યાર્થીઓને ધ્યાનમાં લઇ નિદાન-ઉપચાર કાર્ય કરવું.

  3. વિવિધ શૈક્ષણિક સાધન સામગ્રીના ઉપયોગ દ્વારા ગણિત શિક્ષણમાં ગુણવત્તા સુધારણા અંગેના તારણો:
  4. વિષયવસ્તુને અનુરૂપ શૈક્ષણિક સાધનો જેવા કે ચાર્ટ, આકૃતિ, નમૂનાઓનો ઉપયોગ કરવો.
    ઘનફળ - ક્ષેત્રફળ એકમની સમજ આપવા વિવિધ મોડેલનો ઉપયોગ કરવો.
    ત્રિકોણ, ચતુષ્કોણ, ત્રિકોણમિતિ જેવા એકમોની સમજ આપી દાખલાઓનું વારંવાર પુનરાવર્તન કરાવવું.
    દ્રશ્ય-શ્રાવ્ય સાધનો જેવા કે એલ.સી.ડી, ઓ.એચ.પી., અને ટી.વી.નો ઉપયોગ કરી વિદ્યાર્થીઓને અમૂર્ત થી મૂર્ત ખ્યાલોની સમજ આપવી.
    કમ્પ્યુટરના ફ્લેશ, ઓટો કેડ જેવા પ્રોગ્રામનો ઉપયોગ કરી થ્રી-ડી ઇફેક્ટ આપી વિષયવસ્તુ સરળતાથી શીખવી શકાય.

  5. ગણિત શિક્ષણની ગુણવત્તા સુધારણા માટેના સૂચનો:
  6. હેતુ આધારિત શિક્ષણકાર્ય કરવું.
    તજજ્ઞોનાં વ્યાખ્યાનો ગોઠવી વિદ્યાર્થીઓ સાથે ચર્ચાઓ યોજવી.
    વર્ગખંડમાં સ્વતંત્ર ભાવાવરણની રચના કરવી.
    પ્રાથૅનાસભામાં ગણિતશાશ્ત્રીઓના ઊંડાણપૂર્વક પરિચય આપવા.
    વિદ્યાર્થીઓને ગણિતના વધુ ને વધુ પુસ્તકો અને સામાયિકોથી પરિચિત કરાવવા.
    વિદ્યાર્થીઓને ગણિતમંડળની પ્રવૃત્તિઓથીપરિચિત કરાવવા.
    વિદ્યાર્થીઓને ઉપયોગિતામૂલ્ય, સામાજિકમૂલ્ય અને નિયામક મૂલ્યોની સમજ આપવી.
    વિદ્યાર્થીઓને નવિનપદ્ધતિઓ દ્વારા વધુ ને વધુ ઉદાહરણો આપીને દ્રઢીકરણ, વિહંગાવલોકન અને મૌખિક કાર્ય કરાવવું.
    નોટીસબોર્ડ પર ગાણિતિક કોયડાઓ મૂકી વિદ્યાર્થીઓને ઉકેલ મેળવવા કહેવું.
    વિદ્યાર્થીઓને ગણિતના વિવિધ ક્ષેત્રમાં થતા ઉપયોગ થી પરિચિત કરાવવા.
    શાળા કક્ષાએ શિક્ષણકાર્ય કરાવતા શિક્ષકો પાસેથી અભિપ્રાયો મેળવી અભ્યાસક્રમ સુધારણા કરવી .

*************************************************** 

રાજેશ આર. રાઠોડ
પ્રાધ્યાપક,
ભગવાન મહાવીર કોલેજ ઓફ ઍજ્યુકેશન(એમ.એડ્),
ભરથાણા, સુરત .
સમ્પર્ક : મો. ૯૪૨૬૮-૫૪૫૩૪
ઇ-મેઇલ: raja3822@yahoo.co.in

Previousindexnext
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us