logo

વિજ્ઞાન અને ટેક્નોલોજી વિષયના ‘કેટલાક સામાન્ય રોગો’ એકમ પર CAI કાર્યક્રમની રચના અને અસરકારકતા

સારાંશ :

શિક્ષણ એ પરિવર્તનશીલ, પ્રગતિશીલ અને પ્રયોગાત્મક છે. કમ્પ્યૂટર વીસમી સદીની ક્રાંતિકારી શોધ છે, જયારે એકવીસમી સદી એ કમ્પ્યૂટર, ઈન્ફોર્મેશન અને ઈન્ટરનેટની છે. વિશ્વમાં જ્ઞાન અને માહિતીનો સતત વધારો થતો જઈ રહ્યો છે. આજના ઈન્ટરનેટ અને કમ્પ્યૂટર ટેકનોલોજીના જમાનામાં શિક્ષણક્ષેત્રે આમૂલ પરિવર્તનો થયા છે. વિશ્વમાં જ્ઞાન અને માહિતીનો સતત વધારો થતો જ રહ્યો છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે જ્ઞાનમાં ઝડપી વધારો થાય છે. ઘણા પ્રયોગો , શોધ સંશોધનોના ફળસ્વરૂપે શિક્ષણના નૂતન ક્લેવરો, સ્વરૂપો, પદ્ધતિઓ, પ્રયુકિતઓ અસ્તિત્વમાં આવી અમલી બન્યા છે. વિજ્ઞાન અને ટેક્નોલોજી વિષય એ રોજિંદા જીવન સાથે ગુંથાયેલ વિષય છે, તે જીવનલક્ષી વિષય છે, જેની દ્વારા વ્યક્તિમાં કેટલાક આવશ્યક કૌશલ્યો અને વલણો આકાર પામે છે. તેથી આવા વિષયને વધુ પ્રયોગાત્મક અને અનુભવો દ્વારા શીખવવું જોઈએ જેથી વધુ ગહન અધ્યયન શક્ય બને. પ્રસ્તુત સંશોધન વિજ્ઞાન અને ટેક્નોલોજી વિષયના ‘કેટલાક સામાન્ય રોગો’ એકમ પર CAI કાર્યક્રમની રચના અને અસરકારકતા ચકાસવા હાથ ધરાયું હતું. જે માટે કેટલાક હેતુઓ નક્કી કરવામાં આવ્યા હતા, જે હેતુઓને આધારે ઉત્ક્લ્પનાની રચના કરી હતી. પ્રાપ્ત માહિતીના પૃથક્કરણ માટે ‘ટી’ કસોટી અને ટકાવારીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પ્રાયોગિક જૂથ અને નિયંત્રિત જૂથના વિદ્યાર્થીઓ પૂર્વજ્ઞાન સંદર્ભે સમાન હતા. CAI કાર્યક્રમના અમલ બાદ પ્રાયોગિક જૂથ અને નિયંત્રિત જૂથના સરાસરી લબ્ધિઆંકો વચ્ચે ૧૫.૩૫ નો તફાવત જોવા મળ્યો હતો. ‘ટી’ મૂલ્ય ૨૬.૪૭ હતું, જેને આધારે કહી શકાય કે પ્રાયોગિક જૂથમાં થયેલ અધ્યયન વધુ અસરકારક રહ્યું હતું. પ્રાયોગિક જૂથમાં છોકરાઓ અને છોકરીઓ માટે કાર્યક્રમ એક સમાન અસરકારક જણાયો હતો. કાર્યક્રમ સંદર્ભે અભિપ્રાયાવલિના તારણોમાં વિદ્યાર્થીઓને કાર્યક્રમ રસપ્રદ લાગ્યો હતો. તેઓ કાર્યક્રમ દ્વારા આ એકમ ફળદાયી રીતે શીખી શકયા. અન્ય વિષયોમાં પણ તેમને CAI કાર્યક્રમ દ્વારા શિક્ષણ મેળવવાનું ગમશે. કાર્યક્રમ હોંશિયાર અને નબળા બંને વિદ્યાર્થીઓને કંઈક વિશેષ ઉપયોગી છે. CAI કાર્યક્રમ દ્વારા તેઓ સરળતાથી અને અસરકારક શીખી શકયા હતા. ચાવીરૂપ શબ્દો : CAI કાર્યક્રમ, કેટલાક સામાન્ય રોગો.

પ્રસ્તાવના

શિક્ષણ એ પરિવર્તનશીલ, પ્રગતિશીલ અને પ્રયોગાત્મક છે. વેદ, ઉપનિષદ, ૠષિવર્યોના યુગથી આજના ઈન્ટરનેટ અને કમ્પ્યૂટર ટેકનોલોજીના જમાનામાં શિક્ષણમાં આમૂલ પરિવર્તનો થયા છે. એકવીસમી સદીમાં વિજ્ઞાન અને ટેકનોલોજીએ વિશ્વમાં હરણફાળ ભરી છે. વિશ્વમાં જ્ઞાન અને માહિતીનો સતત વધારો થતો જઈ રહ્યો છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે વિશ્વમાં શિક્ષણનું ક્ષેત્ર તીવ્ર ગતિએ પરિવર્તન પામી રહ્યું છે. આજની શિક્ષણપ્રથાનું માળખું કેટલાક અપવાદને બાદ કરતાં આ ટેકનોલોજીના પ્રવાહથી અલાયદુ રહી શક્યું નથી.
વિજ્ઞાન અને ટેકનોલોજી એ રોજિંદા જીવનમાં વણાઈ ગયેલ વિષય છે. તે જીવનલક્ષી વિષય છે. તેના દ્વારા વ્યકિતમાં કેટલાક આવશ્યક કૌશલ્યો અને વલણો આકાર પામે છે. તેથી આ વિષયને ફક્ત સૈધ્ધાંતિક રીતે જ ન શીખવવતા તેને વધુ પ્રયોગાત્મક અને અનુભવો દ્વારા શીખવવું જોઈએ, જેથી વધુ ગહન અધ્યયન શક્ય બને.
કમ્પ્યૂટરે શિક્ષણક્ષેત્રે ક્રાંતિ સર્જી છે. તે શિક્ષણના દરેક ક્ષેત્રોમાં ઉપયોગી છે. તેથી જ વિજ્ઞાન અને ટેકનોલોજીના શિક્ષણકાર્યમાં સંશોધકે ‘કેટલાક સામાન્ય રોગો’ એકમ પર (CAI કાર્યક્રમ દ્વારા શિક્ષણ અને શિક્ષક-વિદ્યાર્થીઓ વચ્ચે ચર્ચા દ્વારા અધ્યયન) અસરકારકતા ચકાસવાનું નક્કી કર્યું હતું.

સંશોધનનાં હેતુઓ

  • ધોરણ-૮નાં પ્રાયોગિક જૂથ(CAI કાર્યક્રમ દ્વારા શિક્ષણ અને શિક્ષક-વિદ્યાર્થી વચ્ચે ચર્ચા દ્વારા અધ્યયન)ના વિદ્યાર્થીઓ પર કાર્યક્રમની અસરકારકતા તપાસવી.
  • ધોરણ-૮નાં પ્રાયોગિક જૂથ અને નિયંત્રિત જૂથમાં થતા અધ્યયનનો તુલનાત્મક અભ્યાસ કરવો.
  • પ્રાયોગિક જૂથના વિદ્યાર્થીંઓ પર CAI કાર્યક્રમ દ્વારા થતા અધ્યયન પર જાતિયતાની અસર તપાસવી.
  • ધોરણ-૮નાં પ્રાયોગિક જૂથનાં વિદ્યાર્થીઓનાં કાર્યક્રમ અંગેના અભિપ્રાયો જાણવા.
ઉત્કલ્પનાઓ
  • પ્રાયોગિક જૂથના વિદ્યાર્થીઓનાં પૂર્વકસોટી અને ઉત્તરકસોટીનાં સરાસરી પ્રાપ્તાંકો વચ્ચે અર્થસૂચક તફાવત જોવા મળશે નહિ.
  • પ્રાયોગિક જૂથ અને નિયંત્રિત જૂથનાં વિદ્યાર્થીઓના પૂર્વકસોટીનાં સરાસરી પ્રાપ્તાંકો વચ્ચે અર્થસૂચક તફાવત જોવા મળશે નહિ.
  • પ્રાયોગિક જૂથ અને નિયંત્રિત જૂથનાં વિદ્યાર્થીઓના સરાસરી લબ્ધિઆંક વચ્ચે અર્થસૂચક તફાવત જોવા મળશે નહિ.
  • પ્રાયોગિક જૂથનાં છોકરાઓ અને છોકરીઓના સરાસરી લબ્ધિઆંક વચ્ચે અર્થસૂચક તફાવત જોવા મળશે નહિ.
મહpવ
  • વિદ્યાર્થીઓને અધ્યયન અને સ્વઅધ્યયન માટે CAI કાર્યક્રમ ઉપયોગી પૂરવાર થશે.
  • વર્તમાન શિક્ષકો અને ભાવિ શિક્ષકોને અધ્યયન પ્રવિધિ અને શૈક્ષણિક ઉપકરણના ઉપયોગ બાબતે દિશાસૂચન કરી શક્શે.
  • શિક્ષણની ગુણવત્તા સુધારણામાં ઉપયોગી પૂરવાર થશે.
  • શૈક્ષણિક સાઘનોના વધુ ઉપયોગ અંગે પ્રોત્સાહિત કરી શકશે.
સંશોધનનું સીમાંકન
  • પ્રસ્તુત સંશોધન માત્ર ધો-8 પૂરતું મર્યાદિત હતું.
  • માત્ર ધો-8 નાં વિવિધ વિષયો પૈકી ફક્ત વિજ્ઞાન & ટેકનોલોજીનાં એક એકમ ‘કેટલાક સામાન્ય રોગો’ એકમ પૂરતું મર્યાદિત હતું.
  • સંશોધન ગુજરાતી માધ્યમનાં વિદ્યાર્થીઓ પૂરતું મર્યાદિત હતું.
  • સંશોધનમાં ૮૦ વિદ્યાર્થીઓનો જ સમાવેશ કરવામાં આવ્યો હતો.
વ્યાપવિશ્વ અને નમૂના પસંદગી

માધ્યમિક સ્તરનાં ધો-8ના ગુજરાતી માધ્યમમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયનો અભ્યાસ કરતા સુરત શહેરનાં શૈક્ષણિક વર્ષ ૨૦૧૦-૧૧નાં તમામ વિદ્યાર્થીઓ પ્રસ્તુત સંશોધન માટેનું વ્યાપવિશ્વ બન્યા હતા.

સારણી -૧.૧
નમૂનાની પસંદગી


પ્રાયોગિક જૂથ

નિયંત્રિત જૂથ

CAI કાર્યક્રમ દ્વારા શિક્ષણ અને શિક્ષક વિદ્યાર્થીઓ વચ્ચે ચર્ચા દ્વારા અધ્યયન

પરંપરાગત પદ્ધતિ દ્વારા અધ્યયન

 

છોકરાઓ

છોકરીઓ

છોકરાઓ

છોકરીઓ

૨૦

૨૦

૨૦

૨૦

કલ= ૪૦

કલ= ૪૦

 

સંશોધન યોજના
પ્રસ્તુત સંશોધનની પ્રાયોગિક યોજના તરીકે ‘પૂર્વકસોટી-ઉત્તરકસોટી નિયંત્રિત જૂથ’ યોજના પસંદ કરવામાં આવી હતી.
સારણી-૧.૨
ચલોની સ્પષ્ટતા


ચલ

ચલનું સ્વરૂપ

સ્વતંત્ર ચલ

શિક્ષણ પદ્ધતિ
૧. CAI કાર્યક્રમ દ્વારા અધ્યયન
૨. પરંપરાગત શિક્ષણપદ્ધતિ દ્વારા અધ્યયન

પરતંત્ર ચલ

ઉત્તરકસોટીના સિદ્ધિ પ્રાપ્તાંકો

સહચલ

પૂર્વક્સોટીનાં પ્રાપ્તાંકો

પરિવર્તક ચલ

જાતીયતા: ૧. છોકરાઓ, ૨. છોકરીઓ

અંકુશિત ચલ

કક્ષા – ૮,  વિષય – વિજ્ઞાન અને ટેક્નોલોજી,
એકમ – કેટલાક સામાન્ય રોગો

આંતરવર્તી ચલ

રોગો અંગેનું પૂર્વજ્ઞાન, રસ, ઉત્સાહ, જિજ્ઞાસા, સમજશકિત.



ઉપકરણોની પસંદગી અને સંરચના

પ્રસ્તુત પ્રયોગ માટે સંશોધકે બે પ્રકારના ઉપકરણોનો ઉપયોગ કર્યો હતો.
ઉપકરણ – ૧ પ્રયોગ હાથ ધરવા માટેનું ઉપકરણ:

સંશોધક દ્વારા સ્વરચિત CAI કાર્યક્રમ.

ઉપકરણ – ૨ પ્રયોગની અસરકારકતા ચકાસવા માટેના ઉપકરણો:

- સંશોધક દ્વારા સ્વરચિત
લક્ષ્યકસોટી(પૂર્વકસોટી/ઉત્તરકસોટી)
અભિપ્રાયાવલિ

CAI કાર્યક્રમની રચના

CAI કાર્યક્રમની રચના સંદર્ભે સંશોધકે સૌપ્રથમ ધોરણ -૮ અને એકમ તરીકે ‘કેટલાક સામાન્ય રોગો’ સમગ્ર એકમ લેવાનું નક્કી કર્યું હતું. એકમની પસંદગી કર્યા બાદ સંશોધનના હેતુઓને આધારે વિષયવસ્તુનો તલસ્પર્શી અને ઊંડાણપૂર્વક અભ્યાસ કરી તાર્કિક રીતે સુસંગત બને તેવા CAI કાર્યક્રમની રચના કરી હતી, જેથી વિદ્યાર્થીંઓને એકમ સરળતાથી સમજાય. CAI કાર્યક્રમ સંદર્ભે વિષયવસ્તુના નિષ્ણાંત તેમજ કમ્પ્યૂટર અનુભવીના સૂચનો અને માર્ગદર્શનને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. CAI કાર્યક્રમ માટે નીચેની બાબતોને ધ્યાનમાં લીધી હતી:

  1. CAI કાર્યક્રમ અંગેની સી.ડી. માટેની હસ્તપ્રત તૈયાર કરવી.
  2. CAI કાર્યક્રમમાં ચિત્રો અને ઉદાહરણની રજૂઆત.
  3. CAI કાર્યક્રમને ક્રિયાન્વિત કરવા માટેના પગથિયા.
CAI કાર્યક્રમ તૈયાર થયા પછી તેનો શૈક્ષણિક રીતે ઉપયોગ કરતા પહેલા પૂર્વેક્ષણ કરી કાર્યક્રમ પરત્વેના વિદ્યાર્થીંઓના અને શિક્ષકોના અભિપ્રાયો મેળવવામાં આવ્યા હતા અને તેના આધારે જરૂરી સુધારા વધારા કરવામાં આવ્યા હતા.

પ્રયોગની અસરકારકતા ચકાસવા માટેના બે ઉપકરણોની સંરચના સંશોધક દ્વારા કરવામાં આવી હતી.
  1. લક્ષ્યકસોટી (પૂર્વકસોટી/ઉત્તરકસોટી)
  2. CAI કાર્યક્રમ અંગેની અભિપ્રયાવલિ
લક્ષ્યકસોટીની રચના

સંશોધકે લક્ષ્યકસોટીની રચના એસ. એસ. સી. બોર્ડના પ્રશ્નપત્રના પ્રવર્તમાન માળખાને ધ્યાનમાં રાખીને કુલ ૫૦ માર્કસની લક્ષ્યકસોટીની રચના બે વિભાગમાં કરી હતી, જે પૈકી પ્રથમ વિભાગમાં ટૂંકજવાબી પ્રશ્નો અને નિબંધ પ્રકારના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

CAI કાર્યકમ અંગેની અભિપ્રાયાવલિની રચના

CAI કાર્યક્રમ અંગેના વિદ્યાર્થીંઓના અભિપ્રાયો જાણવા માટે સંશોધકે ૨૦ વિધાનોની ત્રિબિંદુ આધારિત અભિપ્રાયાવલિની રચના કરી હતી.

માહિતી એકત્રીકરણ

માહિતી એકત્રીકરણ માટે સુરત શહેરની એક માધ્યમિક શાળાની પસંદગી કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાનાં ધોરણ-૮નાં ૧૫૦ વિદ્યાર્થીંઓમાંથી ૮૦ વિદ્યાર્થીંઓને ચિઠ્ઠી ઉપાડ પદ્ધતિ દ્વારા ૪૦-૪૦ વિદ્યાર્થીંઓના બે જૂથ બનાવવામાં આવ્યા હતા. જેમાંથી એક પ્રાયોગિક જૂથ અને એક નિયંત્રિત જૂથ હતું. આ બંને જૂથોના વિદ્યાર્થીંઓને પૂર્વકસોટી આપવામાં આવી હતી જેનો આશય વિદ્યાર્થીંઓ એકમ સંદર્ભે કેટલું પૂર્વજ્ઞાન ધરાવે છે તે જાણવાનો હતો. ત્યારબાદ પ્રાયોગિક જૂથને CAI કાર્યક્રમ દ્વારા શિક્ષણ અને શિક્ષક વિદ્યાર્થીંઓ વચ્ચે ચર્ચા દ્વારા અધ્યયન કરાવવામાં આવ્યું હતું અને નિયંત્રિત જૂથને પરંપરાગત પદ્ધતિ દ્વારા અધ્યયન કરાવવામાં આવ્યું હતું. (બંને જૂથોને છ-તાસ(૨૪૦ મિનિટ) શીખવવામાં આવ્યું હતું.) ત્યારબાદ બંને જૂથોને ૫૦ ગુણની ઉત્તરકસોટી આપવામાં આવી હતી. કાર્યક્રમ સંદર્ભે પ્રાયોગિક જૂથને અભિપ્રયાવલિ આપવામાં આવી હતી, જેનો આશય કાર્યક્રમ સંદર્ભે વિદ્યાર્થીંઓના અભિપ્રાય જાણવાનો હતો.

અંકશાસ્ત્રીય પૃથક્કરણની રીત

પ્રસ્તુત સંશોધનમાં પૂર્વકસોટી, ઉત્તરકસોટી અને લબ્ધિઆંકોના પૃથક્કરણ માટે ‘ટી’ કસોટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જયારે અભિપ્રાયાવલિના અભિપ્રાયોનું પૃથક્કરણ કરવા માટે ટકાવારી અને ક્રમાંકનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

સંશોધનોના તારણો

પ્રસ્તુત સંશોધનોની ફલશ્રુતિરૂપે ધોરણ -૮ માં ‘કેટલાક સામાન્ય રોગો’ એકમ માટે ૮૮ સ્લાઈડના CAI કાર્યક્રમની રચના કરવામાં આવી હતી જેની સમયમર્યાદા ચાર કલાકની હતી.
ધોરણ – ૮ માં વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયના ‘કેટલાક સામાન્ય રોગો’ એકમ પર પ્રાયોગિક જૂથના પૂર્વકસોટી અને ઉત્તરકસોટીના પ્રાપ્તાંકોની સરાસરી અનુક્રમે ૯.૬૫ અને ૪૩.૮૩ પ્રાપ્ત થઈ. આ પ્રાપ્તાંકો વચ્ચેનો સરાસરી તફાવત ૩૪.૧૮ તેમજ ‘ટી’ મૂલ્ય ૮૭.૮૭ પ્રાપ્ત થયું, જે ૦.૦૧ કક્ષાએ સાર્થક છે. તેથી શૂન્ય ઉત્ક્લ્પના-૧ નો અસ્વીકાર કરવામાં આવ્યો. જેના આધારે કહી શકાય CAI કાર્યક્રમ પ્રાયોગિક જૂથ માટે અસરકારક રહ્યો.
પ્રાયોગિક જૂથ અને નિયંત્રિત જૂથના પૂર્વકસોટીના પ્રાપ્તાંકોની સરાસરી અનુક્રમે ૯.૬૫ અને ૯.૮૩ પ્રાપ્ત થઈ. આ પ્રાપ્તાંકો વચ્ચેનો સરાસરી તફાવત ૦.૧૮ તેમજ ‘ટી’ મૂલ્ય ૦.૫૮ પ્રાપ્ત થયું, જે ૦.૦૫ કક્ષાએ સાર્થક નથી. તેથી શૂન્ય ઉત્ક્લ્પના-૨નો સ્વીકાર કરવામાં આવ્યો. પ્રાપ્ત પરિણામ પરથી કહી કે પ્રાયોગિક જૂથ અને નિયંત્રિત જૂથના વિદ્યાર્થીંઓ CAI કાર્યક્રમ દ્વારા અધ્યયન પહેલા પૂર્વજ્ઞાનના સંદર્ભમાં સમાન હતા.
પ્રાયોગિક જૂથ અને નિયંત્રિત જૂથના સરાસરી લબ્ધિઆંકો અનુક્રમે ૩૪.૧૮ અને ૧૮.૮૩ પ્રાપ્ત થઈ. આ પ્રાપ્તાંકો વચ્ચેનો સરાસરી તફાવત ૧૫.૩૫ તેમજ ‘ટી’ મૂલ્ય ૨૬.૪૭ પ્રાપ્ત થયું. જે ૦.૦૧ કક્ષાએ સાર્થક છે, તેથી શૂન્ય ઉત્ક્લ્પના-૩નો અસ્વીકાર કરવામાં આવ્યો. તેથી કહી શકાય કે ‘કેટલાક સામાન્ય રોગો’ એકમ માટે નિયંત્રિત જૂથમાં થયેલ અધ્યયન કરતા પ્રાયોગિક જૂથમાં થયેલ અધ્યયન વધુ અસરકારક હતું.
પ્રાયોગિક જૂથના છોકરાઓ અને છોકરીઓના લબ્ધિઆંકોને આધારે મળેલી સરાસરી અનુક્રમે ૩૪.૦ અને ૩૪.૩૫ છે, પ્રમાણ વિચલન અનુક્રમે ૨.૭૦ અને ૨.૩૨ છે. મધ્યકના તફાવતની પ્રમાણભૂલ ૦.૯૭ અને ‘ટી’ મૂલ્ય ૦.૩૬ છે. જે ૦.૦૫ કક્ષાએ સાર્થક નથી. તેથી ઉત્ક્લ્પના-૪નો સ્વીકાર થાય છે. પરિણામ સ્વરૂપે કહી શકાય કે પ્રાયોગિક જૂથના છોકરાઓ અને છોકરીઓ માટે CAI કાર્યક્રમ એક સમાન અસરકારક રહ્યો હતો.

‘કેટલાક સામાન્ય રોગો’ એકમ માટેના CAI કાર્યક્રમની અભિપ્રયાવલિના મુખ્ય તારણો નીચે મુજબ આવ્યા હતા.
  • વિદ્યાર્થીઓને CAI કાર્યક્રમ ખૂબ રસપ્રદ લાગ્યો.
  • CAI કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ એકમ ફળદાયી રીતે શીખી શક્યા.
  • અન્ય વિષયમાં પણ CAI કાર્યક્રમ દ્વારા શિક્ષણ મેળવવાનું ગમશે.
  • આ કાર્યક્રમ હોંશિયાર વિદ્યાર્થીઓને કઈક વિશેષ આપે છે.
  • અધ્યયનની આ પદ્ધતિ કંટાળાજનક નથી.
  • CAI કાર્યક્રમમાં દર્શાવેલ ચિત્રો અને લખાણ સ્પષ્ટ હતા.
  • CAI કાર્યક્રમમાં વિષયવસ્તુની રજૂઆત ક્રમિક છે.
  • પરંપરાગત પદ્ધતિ કરતાં CAI કાર્યક્રમ દ્વારા થતું શિક્ષણ વધુ અસરકારક હોય છે.
  • CAI કાર્યક્રમ દ્વારા અપાયેલ શિક્ષણ વિદ્યાર્થીઓ સરળતાથી સમજી શક્ય હતા.
આમ, તારણો દર્શાવે છે કે CAI કાર્યક્રમ દ્વારા થયેલ અધ્યયનની અસરકારકતા ઘણી ઊંચી જોવા મળી હતી, ઉપરાંત CAI કાર્યક્રમ આકર્ષક, રસપ્રદ લાગ્યો હતો.

શૈક્ષણિક ફલિતાર્થો
  • આવા પ્રકારના અધ્યયન કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં અભિરુચિ વધારી તેમને અધ્યયન માટે તત્પર બનાવી શકાય.
  • શિક્ષણના વિવિધ સ્તરોના વિવિધ વિષયોના અધ્યયન માટે આ પ્રકારના CAI કાર્યક્રમની રચના કરી તેનો ઉપયોગ કરવાથી શિક્ષણની ગુણવત્તા વધારી શકાય.
  • શાળામાં શિક્ષકોની ગેરહાજરી સમયે તેમના તાસનો સદ્ઉપયોગ આવા કાર્યક્રમો દ્વારા કરી શકાય.
  • CAI કાર્યક્રમ દ્વારા શિક્ષકોનો વર્ગખંડમાં કાર્યબોજ ઘટાડી શકાય ઉપરાંત વિદ્યાર્થીઓને આધુનિક ટેક્નોલોજીથી શીખવી શકાય.
  • વિદ્યાર્થીંઓને ભારરૂપ અને કંટાળાજનક વિષયવસ્તુઓના મુદ્દાઓને સરળતાથી તથા રસપ્રદ રીતે આ પદ્ધતિ દ્વારા શીખવી શકાય છે અને વિદ્યાર્થીઓને વિષયવસ્તુ લાંબા સમય સુધી યાદ રાખી શકે છે.
  • CAI કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીંઓમાં કમ્પ્યૂટર દ્વારા અધ્યયન કરવાની ટેવ વિકસાવી શકાય તેમજ વિદ્યાર્થી સ્વગતિ પ્રમાણે પ્રગતિ સાધી શકે.
  • આવા કાર્યક્રમો વિષયવસ્તુને સરળતાથી સમજાવવા તથા વિષયવસ્તુના સંદર્ભમાં વાસ્તવિક સિમ્યુલેટેડ અનુભવો પુરા પાડવામાં મદદરૂપ બની શકે.
  • CAI કાર્યક્રમ દ્વારા શિક્ષક પોતાના શિક્ષણકાર્યને નવું સ્વરૂપ આપી શકે.

સંદર્ભ સાહિત્ય:-::

  1. ઉચાટ, ડી.એ.(૨૦૦૦). સંશોધનની વિશિષ્ટ પદ્ધતિઓ, રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. ગુજરાત રાજ્ય.
  2. દેસાઈ, એચ. જી. અને દેસાઈ, કે. જી.(૧૯૯૭). સંશોધન પદ્ધતિઓ અને પ્રવિધિઓ.(છઠ્ઠી આવૃત્તિ). અમદાવાદ : યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય.
  3. શાહ, ડી.બી.(૨૦૦૯). શૈક્ષણિક સંશોધન(દિશાદર્શન). અમદાવાદ : પ્રમુખ પ્રકાશન.
  4. પાઠક, એસ.(૨૦૦૮). અસરકારકતા – શિક્ષણ માટે એક અનિવાર્યતા, પ્રગતિશીલ શિક્ષણ. ૪-૫ એપ્રિલ – ૨૦૦૮. અમદાવાદ : પ્રગતિશીલ જીવન પ્રતિષ્ઠાન પ્રકાશન.
  5. Garrett, H. E.(1981). Stastics in Psychology and Education. Bombay : Vakil Feffer and Simons Ltd.

*************************************************** 

ચેતનભાઈ રમેશભાઈ પટેલ
આસિસ્ટન્ટ પ્રોફ઼ેસર,
શ્રી મહાવીર વિદ્યામંદિર ટ્રસ્ટ બી.એડ. કૉલેજ, પાંડેસરા – સુરત.
E-mail : chetanpatel.2225@yahoo.com
chetanpatel.2225@gmail.com, (M) 9978912747

Previousindexnext
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel
Home  |  Archive  |  Advisory Committee  |  Contact us