logo

માધ્યમિક શિક્ષણ કક્ષાએ અંગ્રેજી વિષયમાં દાખલ થયેલા સંવર્ધિત પ્રત્યાયન અભિગમ વિશે સુરત શહેરના શિક્ષકો અને નિષ્ણાતોના અભિપ્રાયો


સારાંશ

આજના ઝડપથી પરિવર્તન પામતા વિશ્વમા જો કઇ સ્થિર છે તો તે પરિવર્તન જ છે. પરિવર્તન પામતા વિશ્વમા ટકી રહેવા માટે શિક્ષણ ક્ષેત્રે પણ વિવિધ તબક્કે પરિવર્તનો થતા રહ્યા છે. આવુ જ એક પરિવર્તન અંગ્રેજી વિષય શિક્ષણ મા ModCom Approach છે આથી અધ્યેતાએ ModCom Approach વિશે શિક્ષકો અને નિષ્ણાંતોના અભિપ્રાયો શુ હશે તે મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. અધ્યેતાએ 84 માધ્યમિક શાળાઓમા માધ્યમિક કક્ષાએ અંગ્રેજી વિષયનુ અધ્યાયન કરાવતા તમામ કુલ 150 શિક્ષકોને અભ્યાસમા આવરી લીધા હતા. પ્રસ્તુત સર્વેક્ષણમા સ્વરચિત અભિપ્રયાવલિ અને પ્રશ્નાવલીનો ઉપકરણ તરીકે ઉપયોગ કરવામા આવ્યો હતો માહિતી પ્રુથક્કરણ અને તારણોની વિગતે ચર્ચા સંશોધન પેપરમા કરવામાં આવી છે.

પ્રસ્તાવના

આજની પેઢીની પાયાની જરૂરિયાતોમાની એક જરૂરિયાત શિક્ષણ છે આજના સ્પર્ધા અને આધુનિક ટેક્નોલોજીના યુગમા શિક્ષણની જવાબદારી ખૂબ જ વધી જાય છે. શિક્ષણે એવા નાગરિકોનુ નિર્માણ કરવાનુ છે કે જેઓ વર્તમાન સમયની જરૂરિયાતોને સંતોષી શકે. આ હેતુની સિધ્ધિ અર્થે સમગ્ર શિક્ષણ વ્યવસ્થાને વિવિધ વિષયો અને તબક્કાઓમાં વર્ગીકૃત કરવામાં આવી છે શાળેય શિક્ષણમાં વિવિધ વિષયો જેવા કે ગુજરાતી, ગણિત,સમાજવિધા, વિજ્ઞાન, સંસ્કૃત, અંગ્રેજીનો સમાવેશ કરવામાં આવે છે પ્રત્યેક વિષયનું પોતીકું મહત્વ છે પરંતુ આ વિવિધ વિષયો પૈકી વર્તમાન સમયમાં અંગ્રેજી વિષયનું મહત્વ વિશેષ અંકાઇ રહયું છે. પરિવર્તન પામતા વિશ્વમાં અંગ્રેજી શિક્ષણ પધ્ધતિમાં પણ સમયાંતરે પરિવર્તનો થતા રહયા છે આવું જ એક પરિવર્તન ModCom Approach આધરિત પુસ્તકોનો પ્રવેશ છે. અંગ્રેજી શિક્ષણમાં રાજય સરકાર દ્વારા " ModCom Approach " દાખલ કરવામાં આવ્યો છે તેને પરિણામે વર્ગોમાં વ્યવહારુ અંગ્રેજી શીખવવાના પ્રયત્નો શિક્ષકો દ્વારા થાય તે ઇચ્છનીય છે ઉચ્ચ હેતુ સિધ્ધ કરવા અને વિધાર્થીઓની અંગ્રેજી વિષયમાં પ્રત્યાયન ક્ષમતા વધે એવી પૂર્વ વિચારણા વડે અધ્યાપન કરાવતા શિક્ષકોને કોઇ સમસ્યાઓ નડે છે ખરી? વગેરે જેવા પ્રશ્નોનો ઉકેલ મેળવવા અધ્યેતાએ પ્રસ્તુત અભ્યાસ હાથ ધર્યો હતો.

અભ્યાસના હેતુઓ

અધ્યેતાએ પ્રસ્તુત અભ્યાસ માટે નીચેના હેતુઓ નક્કી કર્યા હતા.

  1. અંગ્રેજી વિષયમાં દાખલ થયેલા સંવર્ધિત પ્રત્યાયન અભિગમની પરિચિતતતા સંદર્ભે શિક્ષકોના અભિપ્રયો પ્રાપ્ત કરવા.
  2. સંવર્ધિત પ્રત્યાયન અભિગમના અમલીકરણ સંદર્ભે શિક્ષકોને નડતી સમસ્યાઓ જાણવી.
  3. સંવર્ધિત પ્રત્યાયન અભિગમ આધરિત પાઠયપુસ્તક સંદર્ભે શિક્ષકોના અભિપ્રાયો મેળવવા.
  4. સંવર્ધિત પ્રત્યાયન અભિગમ વડે અધ્યયન કરતાં વિધાર્થીઓની સમસ્યાઓ સંદર્ભે શિક્ષકોના અભિપ્રાયો પ્રાપ્ત કરવા.
  5. સંવધિત પ્રત્યાયન અભિગમ વિશે નિષ્ણાનતોના અભિપ્રાયો મેળવવા.
અભ્યાસની પધ્ધતિ

પ્રસ્તુત અભ્યાસ અર્થે સર્વેક્ષણ પધ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

વ્યાપવિશ્વ અને નમૂના પસંદગી

સંશોધનના વ્યાપવિશ્વ તરીકે સુરત શહેરની ગુજરાતી માધ્યમની તમામ માધ્યમિક શાળાઓનો સમાવેશ કરાયો હતો જયારે નમૂના તરીકે તમામ અનુદાનિત ૮૪ માધ્યમિક શાળાઓમાં અંગ્રેજી વિષયનું અધ્યાપન કરાવતા કુલ ૧૫૦ શિક્ષકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આમ, વ્યાપવિશ્વ એ જ નમૂનો હતો તદુપરાંત સુરત શહેરની ૫ બી.એડ. કોલેજોમાં અંગ્રેજી વિષયનું અધ્યાપન કરાવતાં છ પ્રાધ્યાપકોને નિષ્ણાત તરીકે અભ્યાસ હેઠળ આવરી લેવામાં આવ્યા હતા.

ઉપકરણની પસંદગી અને રચના

પ્રસ્તુત અભ્યાસમાં માહિતી એકત્રિત કરવા વિષયને અનુરૂપ સ્વરચિત અભિપ્રાયાવલી અને પ્રશ્નાવલિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

માહિતી પૃથક્કરણની રીત

અભિપ્રાયાવલિ પર પ્રાપ્ત પ્રતિચારોના પૃથક્કરણ માટે સરેરાશ ભારાંક શોધી અગ્રતાક્રમ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત પાંચ વિકલ્પો પર આવૃતિ પ્રાપ્ત કરી તેનો કાઇવર્ગ શોધી વિધાનની સાર્થકતા શોધવામાં આવી હતી. પ્રશ્નાવલિ પર પ્રાપ્ત પ્રતિચારો માટે ટકાવારી શોધવામાં આવી હતી.

અભ્યાસના તારણો

  1. સંવર્ધિત પ્રત્યાયન અભિગમ અંતર્ગત વ્યાકરણના પાસાંને ગૌણ ગણવામાં આવે છે.
  2. મોટી સંખ્યા ધરાવતા વિધાર્થીઓના વગોમાં કથન કૌશલ્યનું મૂલ્યાંકન યોગ્ય રીતે થઇ શકતું નથી.
  3. સંવર્ધિત પ્રત્યાયન અભિગમ આધારિત પાઠ્યપુસ્તક ધ્વારા મૌખિક અભિવ્યક્તિને સ્થાન મળે છે.
  4. આ અભિગમથી અધ્યાપનકાર્ય કરાવવા માટે વધુ સમયની જરૂરિયાત રહે છે.
  5. બધાંજ નિષ્ણાતોએ જણાવ્યું કે સંવર્ધિત પ્રત્યાયન અભિગમથી શિક્ષકો સફળતાપૂર્વક અધ્યાપન કરાવી શકશે.

સંદર્ભ::

  1. Best, J.W.and Kahn, J.V. (1995).Research in Education. ( Seventh Edition ).New Delhi : Prentice Hall of India Private Limited.
  2. Brumfit, C.J. and Johnson, K. (1979)The Communicative Approach to language Teaching. New York: Oxford University Press.
  3. Good, C.V. (1959). Dictionary of Education. New York: Me Grew HillBook Co. Little Wood. W. (1981). Communicative Language Teaching. America. Cambridge university Press.
  4. ઉચાટ, ડી.એ. અને અન્યો (૧૯૯૮). સંશોધન અહેવાલનું લેખન શી રીતે કરશો? રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી.
  5. શાહ, ડી.બી. (૨૦૦૪). શૈક્ષણિક સંશોધન. અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ.

*************************************************** 

પ્રા. દીપ્તિ પી. શ્રોફ
( એમ.એ.,એમ.એડ.)
આસિસ્ટંટ પ્રોફેસર, શિક્ષણ ભારતી કોલેજ ઓફ એજ્યુ.,
ભરથાણા, સુરત.
shroff.dipty@yahoo.com
Phone No- 098247 60333

Previousindexnext
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel
Home  |  Archive  |  Advisory Committee  |  Contact us