logo

સુન્દરમની બાલકવિતામા ગુજરાતી વ્યાકરણ

સુન્દરમ એટલે ત્રિભુવનદાસ લુહાર. ગાંઘીયુગના આ સમર્થ સર્જક જેટલા વાર્તાકાર તરીકે જાણીતા છે, કવિ તરીકે જાણીતા છે તેટલા બાલકવિતા ક્ષેત્રે જાણીતા નથી. તેમના અન્ય સાહિત્યને જેટલી પ્રસિઘ્ઘિ મળી છે તેટલી તેમના બાળકાવ્યોને મળી નથી . હકીકત તો એ છે કે સુન્દરમે બાળકોને નજરમાં રાખી ને અને જે પોતાની જાત ને બાળક કહેવરાવવા તૈયાર હોય તેમને માટે પણ ઘણા કાવ્યો લખેલા અને તે સાચવીને સફેદ દોરીથી બાંઘીને રાખી પણ મૂકેલા .સુઘા સુન્દરમ આ કાવ્યો અને જે અન્ય કાવ્યસંગ્રહોમાં છપાયા હતા તેમને પણ એકત્રિત કરી 'સુન્દરમની બાલકવિતા' શીર્ષક હેઠળ સૌ પ્રથમવાર ઈસ ૧૯૩૯માં છપાવીને પ્રસિધ્ધ કરે છે .' રંગરંગ વાદળિયાં','ચક ચક ચકલાં','આ આવ્યા પતંગિયા'''ગાતો ગાતો જાય કનૈયો,'' સોનેરી શમણાં સોનલના' ,એમ પાંચ ભાગમાં સંગ્રહીત મનમોહક મુખપ્રુષ્ડ્વાળા આ કાવ્યસંપુટનું ૧૯૫૬ અને ૨૦૦૨મા પુન: મુદ્ર્ણ થાય છે.

બાલસાહિત્યને સમૃઘ્ઘ કરતા આ સંપુટમા અબાલવૃઘ્ઘ સૌ ને ગમે તેવું ઘણું વિષય વૈવિધ્યછે. નદીના, તારાના, સાગરના, પહાડના, ઝ્રરણાના, વાદળ, ખેતરના, મસ્તીના, માતાજીના, દેશભકિતના, વરસાદના, રમકડાના, દીવાના, સપના, માતૃપ્રેમ, પ્રાર્થનાના, પતંગિયાના, પક્ષીના, પ્રાણીના, દેવીદેવતાના કેટલાયે નાનામોટા કાવ્યો છે જે ખાતા, રમતા, ભમતા, નાચતા, ગાતા, રડતા, રિસાતા, તોફાન કરતા, હસતા, ફરતા, ઉડતા, દોડતા, પડતા, આખડતા, સંતાતા, પકડાતા, ઉછરતા, ઉભરતા, બાળકોને જાણે એક અનેરી ભાવસૃષ્ટિમા લઇ જાય છે,આ કાવ્યો થકી બાળકોને પ્રકૃતિને પ્રેમ કરતા, ઇશ્વરના અસ્તિત્વને પ્રણિપાત કરતા, આત્મવિશ્વાસને ઉજાગર કરતા, બુલંદી સર કરવા,પ્રેરીત કરે છે.વિનય વિવેક શીખવે છે,

રમતા,જમતા,હરતા,ફરતા,બાળકને અક્ષરનાઅજવાળાથી ઉજમાળુ પણ બનાવવાનું છે એવાત કવિ ભુલ્યા નથી. આજે બાળકને વર્ગખંડમાં બેસાડીને શીખવવામા આવે છે એના કરતા થોડી જુદી રીતે કાવ્યના વિષયમાં જ કકકો ,બારાક્ષરી,આંક ,અંગ્રેજીશબ્દો ,પ્રાણાયામ એવીરીતે આવરી લીઘા છેકે બાળક સહજમાં ગીત ગાતાગાતા જ જ્ઞાનામૃતનું પાન કરીલે.અને, એને ભણતરનો ભાર પણ ન લાગે. ભાષાનું જ્ઞાન આપવું હોય તો જે તે ભાષાનું વ્યાકરણ બાળકને સમજાવવું જોઇએ એ સુન્દરમ જાણે છે. બાળક શીખવાની શરુઆત સાંભળીને કરતુ હોય છે. એથી સુન્દરમ બાળકને કર્ણપ્રિય અને પરીચિત લાગે તેવા પશુ પંખીના,વાદળના અવાજના રવાનુકારી શબ્દો અને દ્વિરુક્તિવાળા ગીત થીજ ગુજરાતી વ્યાકરણ શીખવવાની શરૂઆત કરેછે.

" ઘમક ઝ્મક" માં
પપ પપ પપ પપ પપ પા આ એક મજાની મોટર બોલે,
ટુહુ ટુહુ કુઊ,ટુહુ કુ....... ઊ,કુઊ કુઊ,
આ એક મજાની કોયલ બોલે :
કુકુઊ ,કુકુઊ કુક કુક્ કુક્.
ઢમ ઢમ ઢળ ઢમ, ઢમઢમ ઢળ ઢમ,
ઢમઢમ ઢળ ઢમઢમ ઢળ
ઢમ,ઢમ,ઢળઢળ ઢા.,.....આ એક મજાની પડઘમ ગગડે
ઢમઢડ ઢમ ઢળ ,ઢળ ઢળ ઢળ..... ઢમ ઢમ ઢમ.

અવાજ સાથે કુદરતનો પણ પરીચય કરાવે છે.

તારા ટમક ટમક
ચાંદો ચમક ચમક
મેઘ ઘમક ઘમક
વીજ લપક લપક

મારું નામ "ક"કાવ્ય વડે જ અક્ષરની ઓળખ કેવી સરળ રીતે કરાવેછે! જુવો !

મારુ નામ ક, કમળનો ક
તારુ નામ ગ, ગણેશ નો ગ ,
બેનનુ નામ ચ ,ચન્દ્રાનો ચ્
બાનુ નામ જ,જમનાનો જ,

બાપુજીનો બ,બળવંતનો બ આમ,બાળકને એના સ્વજનોના નામ આવડી જાય અને કક્કાના અક્ષર પણ એ ઓળખવા લાગે! છેને સરળ રીત .એજ ગીતમા 'રુ'.અન 'રૂ'નો ભેદ બતાવે છે .

મોટો રુઆબ,
હાથમા રૂમાલ.

એમ ' રુ' અને'રૂ' ક્યાં વપરાય એ પણ ઉદાહરણ સાથે કેવું ગીતમાં જ વણી લે છે! સંવૃત ,વિવૃત અક્ષરના ઉચ્ચારણનો ખ્યાલ પણ આજ ગીતમાં આપતા કહે છે,

ખિસ્સામા પેન,
માથે છે હૅટ
વેરી ગુડ કૅટ .

એક નાનકડા ગીતમા કેટલા અક્ષ્રરો અને ઉચ્ચારણો આવરી લીધા છે ! ! સુન્દરમની આજ તો કમાલ છે.
નાના બાળકોને લખવામા 'ડ','ટ','ઇ','ઉ','ઊ','ઢ'અનુસ્વાર કયાં લખાય,ક્યાં ન લખાય એપણ 'આમ લખાય' ગીતમાં શીખવે છે.

જુઓ ત્યારે આમ લખાય....

ડ નો ડગલો ડ ડ ડ ડગલે ને પગલે
ઢ નો ઢગલો ઢગલો ઢ ઢ ઢ
ઢમ ઢમ ઢમ , મોટી પડઘમ
ઇ ની છે ઇચ્છા, નાની એવી "ઇ"
ઇ ના તો ઇશ્વ્રર ,મોટી એતો ઈ
દીર્ઘ ઈ ભાઇ
યાદ રહેશે ભાઇ!
ઉ નોતો કે ઉત્તર ઉ ઉ ઉ ,
માથે મૂકો મીંડ
ુ થાય ઉં ઉં ઉં
ઊ મોટો ઊપડે ઊ ઊ ઊ
ઊંટ માથે બેસી વનમા જાય પેસી
શું તે પૂછો ત્યારે શું ..શું ... શું.. શું
શુ તે શુક્ર્વાર શુ..શુ...શુ..શુ..

એવું લાગે છે જાણે સુન્દરમ સામે ઉભા રહીને બઘું શીખવી રહ્યા છે.એકજ ગીતમાં બાળક ઇ,ઈ,ઉ,ઊ અને અનુસ્વાર ક્યાં,ક્યારે વપરાય એ પણ સમજાવે છે.ઉદાહરણ આપવા પસંદ કરેલા ઉંદર અને ઊંટ,ઉત્તર, પણ બાળકને અપરીચિત નથી."ક"ની કથામા બારાક્ષ્રરી અને સ્વર,વ્યંજન કઈ રીતે બનેછે ,એમને કઇ રીતે લખાય તેમાટે જે રીતે' ક' ને કાનો,માત્ર,હ્ર્સ્વઇ,દીર્ઘઈ ,ઉ,ઊ ઐ,ઔ,અં અને અઃ લાગે છે એની વાત કરતા વિસર્ગની(:) ઓળખ સમાઘીસ્થ શંકરના હળવાફૂલ ઉચ્છ્વાસના'અહ્' ના અવાજના ઉદાહરણથી આપે છે.અને (:) લખાય કઇ રીતે તે સમજાવવા શંકરના લલાટેલાગતા ચિહ્ન્ ને જાણે આંગળી મૂકીને બતાવી આપે છે. આ કાવ્યમાંકવિ સુન્દરમ,ભક્ત સુન્દરમ એકરૂપ થઇ જતાલાગે છે.ગુજરાતી મા અનુસ્વારનુ પણ મહત્વ છે.સુન્દરમ બાળકોને જાણે પૂછે છે, "મીંડુ તો લખતા જાણો છો ને!.

" મીંડુ ... ગોળ મજાનુ ચાંદા જેવુ મીંડુ""પેંડાની વાત"કાવ્યમા એકવચન,બહુવચન હું,તું ,તે .પેલો સર્વનામની વાત જાણેચીંઘીને બતાવે છે. પહેલો પુરુષ એકવચન,બહુવચન ની વાત સમજાવતા લખે છે..

" હું તે હું છું" અને 'તું' છે તે 'તું'
",હું ના 'અમે'અને' તું 'ના 'તમે'
'તમે' ને પેલો જરાક દૂર ઉભેલો છે તે ' તે '
છે તે બધા 'તેઓ' બને.

બાળકને સ્ત્રીલીંગ,પુલ્લિંગ ના ભેદ " હું હું અમે" ના ગીતમા સમજાવે છે.

હું રમતો હતો,
હું ભમતો હતો,
હું રમતી હતી

બાળકને સ્ત્રીલીંગ,પુલ્લિંગ ના ભેદ " હું હું અમે" ના ગીતમા સમજાવે છે.

હું ભમતો હતો,
હું રમતી હતી,
હું ભમતી હતી,

બાળકને ત્રીજા પુરુષ ' તેને ' અને' તેણે 'ક્યાં વપરાય ?તે બે વચ્ચેનો ભેદ પણ ઉદાહરણ સાથે સમજાવતા' તેને'..'તેણે' ..મા 'લખે છે

તેને તો .. હું તેને જોઉં છું
તેને તેને તેને (હા યાદ રાખો તેને )
તેણે તો ... તેણે મને કીધું તેણે દૂઘ પીઘું
તેણે તેને જોયો
તેણે દાવ ખાઘો. (તેને નહી .તેણે ચારવાર તેણે) કોને પુછો કોને
મારે કોને કહેવુ?
મારે કોને રોવુ?
કોણે એટલે કોણે સમજ્યાને?
કોણે કામ કર્યુ?
કોણે મન હર્યુ એજ કાવ્યમા' છું' ' છે' નો ભેદ બતાવે છે 'હું ગાઉ છું—તું નાચે છે.

હું તું વચ્ચે ના ભેદ પછી વચનનો ખ્યાલ પણ બાળકને ઉદાહરણથી જ સમજાવે છે. ગુજરાતીમાં બે વચન છે.'એક વચન' અને' બહુ વચન' ક્યારે એક વચન વપરાય અને ક્યારે બહુવચન વપરાય તેનો ખ્યાલ આપતા લખે છે ' ઘોડો એકવચન,ઘોડા બહુવચન' 'ઘોડાઓ બહુવચન '

છેલ્લે લખે છે, 'રાજા એકવચન ,રાજા બહુવચન' ગુજરાતીમા વ્યક્તિને તે એક જ હોય તોપણ માનાર્થે બહુવચન વપરાયછે.આ વાતને કેટલી સરળ રીતે સાંકળી લીઘી છે.'ઘોડો'એક કરતા વઘુ હોય તો એને' ઘોડાઓ'એમ બહુવચનનો 'ઓ'પ્રત્યય લગાવો તો પણ ચાલે અને ન લગાવો તો પણ ચાલે.
એકવચન,બહુવચનનો ખ્યાલ આપ્યા પછી વિશેષણનો ખ્યાલ પણ ગીતમાજ આપે છે. પીળું.. પીળાં માં લખે છે

પીળુ પતંગિયુ ,
પીળો પતંગ,
પીળાં પીળાં ફૂલ છે,
આવી વસંત.

આજ ગીતમાં લીલા પાન,ઊંચી આંબલી,ઊંચી ડાળ,નીચી ઝૂંપડી,નીચાં મકાન એમ વિકારી વિશેષણ ક્યાં કેવી રીતે લાગુ પડે તેનો ખ્યાલ આપી દીઘો છે.
'તું .... હું' કાવ્યમાં વિરોધી શબ્દોનો ખ્યાલ આ રીતે આપ્યો છે.

'તું આગળ ત્યારે પાછળ હું,
તું પાછળ ત્યાં હું આગળ, તું ઊંચે ત્યારે નીચે હું,
તું અંદર ત્યારે બહાર હું,

કવિ બરાબર જાણે છે કે બાળકોને વ્યાકરણ ભણવાનો કંટાળો આવતો હોય છે. એથી એ બાળકોને ઉદ્દેશીને' ભણો વ્યાકરણ' મા વ્યાકરણનું મહત્વ સમજાવતા કહે છે,

' ઓ મારાં બાળક
આ તમે ભણો વ્યાકરણ
એ નથી સુક્કું છે કો રણ
એ ઝરણ રસોનું ગુલમઘમઘ,

કવિ આ ગુલોના ચમનને લૂંટી લેવા,ભાવ થકી ભેટી લેવા કહે છે. જો બાળક ભાષાનું વ્યાકરણ બરાબર સમજી લે તો એ ભાષામાં અવશ્ય નિપુણતા પ્રાપ્ત કરી શકે છે.આજે પણ બાળકોને ગુજરાતી વિષય અન્ય વિષયના પ્રમાણમા અઘરો પડે છે તેનું એક કારણ તેમનું નબળું વ્યાકરણ છે. આજના કોમ્પ્યૂટરયુગમાં ,અન્યભાષાના આક્ર્મણ સામે ગુજરાતી ને ટકાવી રાખવી હશે તો બાળકોને ગુજરાતી વ્યાકરણ શીખવવું જ પડશે. સુન્દરમના 'સમગ્ર બાલકવિતા' સંપુટના વ્યાકરણ પણ ગાતા ગાતા શીખવતા આ કાવ્યો આજે પણ મદદરૂપ બની શકે તેમ છે. સુન્દરમ આ કાવ્યોને માત્ર કાવ્યો તરીકે જ ઓળખાવે છે. એને કોઇ નામના કે રાગના બંધનમા બાંધતા નથી.હા,બને એટલા સારા રાગ ઢાળ થી ગાવા ભલામણ જરુર કરેછે બાળકોને ગમે તેવા સૂરમાં પણ ગાવા ગમે તેવા આ કાવ્યો સચિત્ર હોઈ નયનરમ્ય પણ એટલા જ છે. ક્ક્કો,નામ,સર્વનામ,સમાનાર્થી,વિરુધ્ધાર્થી શબ્દો,રવાનુકારી અને દ્વિરુક્તિવાળા શબ્દો,એકવચન,બહુવચન,વિકારી વિશેષણ,'ઓ' પ્રત્યયનું કાર્યક્ષેત્ર,ટ,ડ,ઢ,નો ભેદ,અનુસ્વાર ક્યાંવપરાય તેની સહજ રીતે સમજ આપતા આ કાવ્યો ગુજરાતી ભાષા શીખવા ઇચ્છતા દરેક માટે દીવાદાંડી રૂપ છે.

*************************************************** 

Dr. Archana Pandya
S.L.U Arts & Commerce College,
Ahmadabad .

Previousindexnext
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |   Powered By : Knowledge Consortium of Gujarat
Home  |  Archive  |  Advisory Committee  |  Contact us