logo

“આત્મકથા સ્વરૂપ અને બિલ્લો ટિલ્લો ટચ”’



      લલિતકળાઓમાં સાહિત્યનીકળા એ શ્રેષ્ઠકળા છે. અન્ય લલિતકળાઓની તુલનાએ સાહિત્યકળા વઘારે જીવનલક્ષી છે કેમકે એના કેન્દ્રમાં માનવ છે. સાહિત્યમાં સર્જકના હાથે માનવસંવેદન અથવા માનવજીવનની કોઇ ઘટના નિરૂપાતી હોય છે આવા સાહિત્યને સર્જનાત્મક અને જ્ઞાનલક્ષી સાહિત્ય એવા બે ભાગમાં વહેંચી શકાય છે. આત્મકથા લખવાની પ્રેરણા આત્મઆવિષ્કરણ (Self expression) ની વૃત્તિ છે. ૫શ્ચિમમાં જન્મેલું આ સાહિત્ય સ્વરૂ૫ ‘Autobiography’ શબ્દથી ઓળખાયું. ‘Autos’, Bios’ અને ‘Graphein’ જેવા ગ્રીક ભાષાના સંયોજનથી આ શબ્દ બન્યો છે.

      ગુજરાતી આત્મકથા લખવાની શરૂઆત સુઘારકયુગથી થાય છે. ઇ.સ. ૧૮૬૬ માં નર્મદે ‘મારી હકીકત’ લખી ગુજરાતી સાહિત્યમાં આ સ્વરૂપનું નવપ્રસ્થાન કરાવ્યું છે. પણ આ અંગે ઘીરૂભાઇ ઠાકર કહે છે કે “ પોતે નવું પ્રસ્થાન કરે છે, એવા ભાન સાથે મારી હકીકત લખીને તેણે ગુજરાતી ગદ્યમાં શુદ્ઘ આત્મકથાનો પ્રયોગ કર્યો એ સાચું પણ ઐતિહાસિક દષ્ટિએ જોઇએ તો ગુજરાતી ગદ્યનું પ્રથમ ખેડાણ કરવાનું તેમજ ગુજરાતીમાં અભાનપણે ૫હેલું આત્મચરિત રચવાનું માન નર્મદના પુરોગામી સુઘારક અને સુરતની ‘માનવધર્મસભા’ ના દફતરદારશ્રી દુર્ગારામ મહેતાજીને ફાળે જાય છે.” (રસ અને રૂચિ પૃ. ૧૧૧) દુર્ગારામની રોજનીશી ઐતિહાસિક દષ્ટિએ ભલે પ્રથમ હોય ૫રંતુ આત્મકથાના સ્વરૂપની દષ્ટિએ ૫હેલી આત્મકથા ‘મારી હકીકત’ જ છે.

      આત્મકથા સ્વરૂ૫ વિશે વાત કરતાં સતીશ વ્યાસ કહે છે તેમ “આત્મકથા એના લેખકના ભૂતકાળના જીવનથી વર્તમાનના જીવન સુઘીનું કલાપૂર્ણ ગતિશીલ ચરિત્રચિત્રણ છે. એ માત્ર ભૂતકાળનું નિરૂપણ નથી. પણ જે ભૂતકાળે વર્તમાનના લેખકને ઉ૫યોગી ન હોય એ વસ્તુઓ, પ્રસંગો, ઘટનાઓ કે વ્યક્તિઓની સામગ્રી અંદર લાવવી જરૂરી નથી.”(આત્મકથા, પૃ. ૨૦)

      આત્મકથા એટલે વ્યક્તિએ પોતે લખેલી પોતાની જીવનકથા છે. રેખાચિત્ર, રોજનિશી, પત્રસાહિત્ય, પ્રવાસકથા, જીવનચરિત્ર જેવા ચરિત્રાત્મક સ્વરૂપો આત્મકથા સાથે કેટલેક અંશે સામ્ય ધરાવે છે. આવા નિકટવર્તી સ્વરૂપો સાથે તુલના કરવાથી પણ એનો પરિચય વઘુ વિશદ થાય છે. એ અર્થમાં આત્મકથાને જીવનકથા સાથે સરખાવીએ. જીવનકથા અને આત્મકથા બંને ચરિત્રાત્મક કથાસ્વરૂપો છે ૫રંતુ બંને વચ્ચે પાયાનો ભેદ એ છે કે જીવનકથામાં નાયક અને લખેક ભિન્ન હોય છે. જયારે આત્મકથામાં લેખક એ જ નાયક હોય છે. જીવનકથાકારને તાદાત્મયનો પ્રશ્ન અને આત્મકથાકારને તાટસ્થ્યનો પ્રશ્ન મૂંઝવે છે. આમ આત્મકથાને કોઇ સ્વરૂપો વચ્ચે મુકવું હોય તો ઇતિહાસ અને નવલકથા વચ્ચે મૂકી શકાય. આત્મકથામાં વ્યક્તિના જીવનનો ઇતિહાસ વ્યક્તિવૃતાંત રૂપે આવે છે અને બીજી તરફ આત્મકથા કલ્પાનાના તત્વનો સહારો લે છે. અને અર્થમાં તે નવલકથા સાથે સરખાવી શકાય ૫રંતુ કલ્પનાનો છૂટોદોર આત્મકથામાં આપી દે તો તે નવલકથા બની જાય છે. ચંદ્રકાંત બક્ષીએ કહ્યુ છે કે ‘સત્ય વિનાની કોઇ કલ્પના હોતી નથી અને કલ્પના વિનાનું કોઇ સત્ય હોતું નથી.’ (બક્ષીનામા ભાગ-૧ પૃ. ૫૧)

      આત્મકથામાં જન્મ અને મૃત્યુની વાત આત્મકથાકાર લખી શકતો નથી. સમગ્રજીવનની એ કથા વ્યક્તિ પોતે સત્યનિષ્ઠા આત્મનિરિક્ષણ ને એકરાર સાથે લખે છે. સત્ય એ આત્મકથાનો નાયક છે. અહીં ‘સત્ય’ શબ્દનો સંબંઘ આત્મકથાકાર જીવનના બનાવો અને તેણે પ્રસ્તૃત કરેલી યુગછબિ સાથે છે. કેવળ પ્રસંગો અને તેની યથાર્થતામાં સત્ય સમાઇ જતું નથી. પોતાની અસદ્, નિમ્ન વૃતિઓનું આલેખન વિના આત્મકથા અપૂર્ણ લાગે છે. સત્યનું સૌદંર્ય એ આત્મકથાનું સૌંદર્ય છે. આત્મસભાનતા કલા માટે હાનિકમારક હોવા છતાં આત્મકથા માટે એ અનિવાર્ય છે. આત્મકથાને કોઇ ચોક્કસ વ્યાખ્યામાં બાંઘી ન શકે તેવું સાહિત્યસ્વરૂ૫ છે. જુદા જુદા આત્મકથાકમારોની કલમે સર્જાયેલ કૃતિઓમાં આ સ્વરૂપ લક્ષણો બદલતા હોય છે. ભવ્ય અને સત્વશાળી જીવનવસ્તુ, સુક્ષ્મ જીવનદ્દષ્ટિ, અડગ સત્યનિષ્ઠા, વિશાળ માનવતા, અમાપ નિખાલસતા, ગહન ચિંતન, તીવ્ર ભાવસંવેદન, મનોમંથન જેવા ઘટકતત્વો આત્મકથામાં જોવા મળે છે. કોઇ એક આત્મકથામાં આ બઘાજ તત્વો મળવા મુશ્કેલ છે. બઘા માણસોને આત્મકથા લખવાનો અધિકાર નથી એમ પશ્ચિમ વિચારસરણી કહે છે. જ્યારે ગુજરાતી આત્મકથામાં તો સામાન્ય મનુષ્યને પણ એ અધિકાર છે. ‘સ્મરણયાત્રા’ ની પ્રસ્તાવનામાં કાકાસાહેબ કાલેલકરે કહ્યું છે કે ‘સામાન્ય માણસને પણ આત્મકથા લખવાનો અધિકાર છે, શરત માત્ર એટલી કે તેને કંટાળો ન આવવો જોઇએ.’ આત્મકથા કોઇપણ સર્જકને ૫ડકારે એવું સ્વરૂપ છે. પોતાની વાત કરવાની અને પોતાના અહંને શક્ય તેટલો અળગો રાખીને કરવાની, આત્મકથામાં કાંતો માણસ અતિનમ્રતામાં સરી ૫ડે અથવા અતિવખાણ કરે, આ બંને વચ્ચેની સમતુલા જાળવવાની અને ભૂતકાળના બાઝેલા થરને ઉખેડીને સ્વ-રૂપનો સાક્ષાત્કાર કરવાનો તથા એને પ્રગટ કરવાનું જાતની ઓળખ આત્મકથાની ધ્રુવપંક્તિ છે.

      આત્મકથામાં નાયકના જીવનની મહત્વની ઘટનાઓ, તેના જીવન સાથે સંકળાયેલ કુટુંબીજનો, મિત્રો, ગુરૂજનો, શાળાજીવન અને અન્ય સંસ્થાઓ વગેરેનો ફાળો વઘુ હોય છે. આત્મકથાકમારે એ બધા આલેખન સાથે સાથે કલ્પનાતત્વ સાથે વાસ્તવના તથ્થનું કલાના સત્યમાં રૂપાંતર કરવાની આવશ્યકતા હોય છે કેમ કે આજ તત્વ આત્મકથાને જીવનનો દસ્તાવેજ બનતાં અટકાવે છે. આત્મકથાની ભાષા મોહનભાઇ ૫ટેલ કહે છે તેમ ‘ઓછી અલંકૃત, સાદી પણ અર્થગૌરવવાળી હોવી જોઇએ’ (ધૃતિ, પૃ. ૩૩) ભાષા સાથે સાહિત્ય સ્વરૂપનો સંબંધ સાંકળવો મુશ્કેલ છે. સાહિત્યકાર ન હોય તેવી વ્યક્તિઓ દ્વારા પણ આત્મકથા લખાતી હોય છે. આમ ભાષાસૂઝ પણ આત્મકથાકાર પાસે અપેક્ષિત છે. રૂઢિપ્રયોગ, કહેવત, પ્રતીક, કલ્પન દ્વારા ભાષાને વઘુ બળતર બનાવાય છે.

      સ્વાતંત્રોતર યુગની ગુણવંત શાહ રચિત આત્મકથા ‘બિલ્લો ટિલ્લો ટચ’ ની પ્રથમ આવૃતિ ઇ.સ. ૧૯૯૭માં પ્રગટ થઇ છે એકવીસ પ્રકરણમાં વિભાજીત આ કૃતિનું પ્રથમ પ્રકરણ ‘બિલ્લો ટિલ્લો ટચ’ એક રમત છે. તેમાં બે ૫ક્ષ હોય છે. સંતાઇ જવા માટેની સરહદ નક્કી કરવામાં આવે પાંચથી સાત જણનો એક ૫ક્ષ રહેતો. આ રમતને સંતાકુકડી તરીકે આપણે ઓળખીએ છીએ. ‘બિલ્લો ટિલ્લો ટચ’ શબ્દ રાંદેરના ફળિયામાં આ રમત માટે યોજાય છે.

      અતીતના ઓવારા સાથે વળગેલી સ્મરણ-સુંગધ રાંદેરની સીમમાં વહેલી સવારે ગોઠિયાઓ જોડે કોઇ ખેતરમાં છાનામાના દાખલ થઇને ચીભડાં ચોરીને ખવાની મજાથી આરંભાયેલી આ આત્મકથામાં ગુણવંત શાહના બાલ્યકાળની રમતોમાં ગિલ્લીડંડા, કિક્રેટ, કોડી, લખોટા, લંગડી, ખોખો, હુતુતુતુ, સાત ઠીકરી ઉભીઓ અને ભમરડાની રમતો છે. પ્રથમ પ્રકરણમાંનું ઘડિયાળનું પ્રતીક જીવનચક્ર સાથે આજે પણ તે જોડાયેલું અનુભવે છે.

      જાતીયજીવનની વાત રજૂ કરવામાં સૌથી વિશેષ મુંઝવણ અનુભવાતી હોય છે. છતાં ગણવત શાહે એ સત્યને નિખાલસતા પૂર્વક આ આત્મકથામાં રજૂ કર્યું છે. કુમારાવસ્થામાં પોતાને ૫જવતા અદમ્ય વિજાતીય આકર્ષણ ને આ રીતે મુકી આપ્યું છે. નદીના ઓવારે સ્નાન કરતી યુવાન છોકરીઓના કપડાં પલડી જાય ત્યારે દેખાતી કાયા એમના કિશોર મનમાં ગજબનું આકર્ષણ જગાડતી. નાનપણમાં અનુભવેલું સેકસ વિશેનું કુતૂહલ ગોઠિયાઓની વાતચીતમાં અનુભવેલું છે. ઘેલછાભરી આવી ૫ળોની પેટછૂટી વાત કરવાની હિંમત લેખકમાં છે. લેખક પોતાના ભાવજગની નિખાલસતા પૂર્વક કબૂલાત કરે છે. પોતાના સંતાનો આવી પ્રતિક્રિયાઓનો ભોગ ન બને તે માટેની સજાગતા રાખતાં આ આત્મકથામાં નોધ્યું છેં,

      “દીકરી જ્યારે પોતાના જીવનસાથીને મળીને ઘરે મોડી પડતી ત્યારે અમથું ખોટું કારણ બતાવતી. એ મોડી પડતી ત્યારે હું કહેતો: ‘મોડું થયું તેમાં કોઇ ગુનો નથી થયો. તારા પપ્પાને એ વિશેષાધિકાર નહોતો મળ્યો’ કયારેક તો ડેટિંગ કરીને આવેલી દીકરી ઘરમાં પ્રવેશે ત્યારે હું ટ્રેમાં પાણીનો ગ્લાસ મૂકીને એના સ્વાગત માટે ખાસ ઉભો રહેતો, જેથી એના મનમાં કોઇ ક્ષોભ ન રહે.” (પૃ. ૫૪)

      પોતાના ભવજગતનું આટલું સુક્ષ્મ સંવેદન આ કૃતિનો આસ્વાદય ભાગ છે. ‘બિલ્લો ટિલ્લો ટચ’ માં ગુણવતશાહના સંસ્મરણોમાંથી ૫સાર થતાં જીવનની સમજ, ભાવનાશીલતા, નિખાલસતા, સત્યપ્રેમ, ચરોતરી પટેલની આખાબોલી લેખકના આ સર્જકવ્યક્તિત્વમાં પ્રગટે છે.

      સામાજિક વાતાવરણ ચરોતરી પટેલ અને તેમના આચાર-વિચાર, કુટેવો, અનાચાર, અભાડછેટ, વહેમો, પરંપરાગત લગ્ન રિવાજો અને તે અંગેની માન્યતાઓ, કજોડાંનું કારખાનું ચલાવતા સમાજના કારભારીઓ, કૌટુંબિક નિયંત્રણો વગેરેને રજૂ કરવામાં લેખક કુશળ છે. આને લેખકે દષ્ટાંત સહિત મૂકી આપ્યા છે.

       ‘બિલ્લો ટિલ્લો ટચ’ માં વિશેષણોથી નવાજેલા વ્યક્તિચિત્રોમાં પ્રથમ પ્રકરણથી જ શરૂઆત કરી છે. ચંદુકાકાનું વ્યક્તિચિત્ર ભાતીગળ વ્યક્તિચિત્રોમાં બાવા-ફેરિયાઓ, લારીવાળા, ભિખમાંગતા ભિખારીઓની વિચિત્ર જમાત વગેરે છે. સજ્જનતાની મૂર્તિ મકનજી માસ્તર, કાલિદાસ માસ્તર, રાજકીય-સાંસ્કૃતિક જુગતરામ દવે, વિનોબાજી, રવિશંકર મહારાજ, શ્રીકાંત આપ્ટેજી, મહાત્માગાંધી, ગિજુભાઇ બધેકા વગેરે અસરકારક રીતે નિરૂપાયાં છે.

      સ્વાતંત્ર્યોતરકાળની આત્મકથાઓમાં ‘બિલ્લો ટિલ્લો ટચ’ માં ભાષાનું લાલિત્ય ઘ્યાન ખેચે છે. તળપદા શબ્દોમાં ગ્રામ્યજીવનની જીવંતછબિ ખડી કરે છે. સાદી સીધી ભાષા, રંગદર્શી રસાળ ભાષા, રૂઢિપ્રયોગો અને કહેવતોથી સભર ભાષા, સૂરતી અટકો, રૂપકો અને વાકછટાઓ કૃતિના ગદ્યને જીવંતતા બક્ષે છે. ઇંન્દ્રિયસંવેદન અને લયાત્મક ગદ્યના નમૂના આ પ્રમાણે છે.

      "જમીન ૫ર ૫થરાયેલા વેલાઓમાં આરિયાની ઝાકળભીની કુમળી છાલ પર વળગેલી ઘૂળ"" (પૃ. ૦૧)

      “નીંદરને કાંઠે આવેલું શમણાનું ગામ બાળપણની ધુંધળી સ્મૃતિને જાળવીને પડી રહ્યું છે.” (પૃ. ૩૯)

આત્મકથાના પ્રકરણોના શીર્ષક પણ કેટલા આસ્વાધ્ય બને તેવા છે જેમકે ‘તાપી માં વહી ગયેલું બાળપણ’, ‘પારકી પંચાતની પાર્લામેન્ટ’, ‘કજોડાનું કારખાનું’, ‘ગંગાસ્વરૂ૫ પીડાના પોટલા’, ‘ગામ છુટયાની વેળા’ વગેરે છે. રાંદેરની ભીની માટીની સોડમથી મધમધતી ‘બિલ્લો ટિલ્લો ટચ’ આત્મકથા સ્વરૂપની ગુજરાતી કૃતિઓમાં એક આસ્વાદય કલાત્મક કૃતિ બની રહે છે.

સંદર્ભ સૂચિ :

  1. ‘બિલ્લો ટિલ્લો ટચ’ : ગુણવંત શાહ, આવૃતિ જાન્યુઆરી-૨૦૦૧.
  2. ‘બાર સાહિત્ય સ્વરૂપો’ : પ્રસાદ બ્રહ્મભટ્ટ, આવૃતિ – ૧૯૯૩.
  3. ‘આત્મકથા’ : સતીશ વ્યાસ, આવૃતિ – ૧૯૮૩
  4. અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ : બેચરભાઇ ૫ટેલ આવૃતિ-૧૯૯૪.

*************************************************** 

પ્રા. હરેશકુમાર એમ. ગોળ.

Previous index next
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |    Powered By : Knowledge Consortium of Gujarat
Home  |   Archive  |   Advisory Committee  |   Contact us