logo

‘સર્જનાત્મક અભિવ્યક્તિ એટલે કળા’

સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં રસનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. કાવ્યશાસ્ત્રમાં જે મહત્ત્વ રસને પ્રાપ્ત છે તેવું મહત્ત્વ અન્ય તત્ત્વોને પ્રાપ્ત નથી. રીતિ, અલંકાર, ગુણ, વૃત્તિ વગેરે તત્ત્વો રસાશ્રિત થઈ સ્વપ્રકટન કરે છે. કાવ્યશાસ્ત્રમાં રસનો પ્રારંભ ભરતરસસૂત્રથી મનાય છે. પરવર્તી કાવ્યાચાર્યોએ રસસૂત્રને આધારે રસ-વિવેચન કર્યુ છે. સંસ્કૃત વાઙ્ગમયમાં રસ શબ્દ વિભિન્ન અર્થોમાં પ્રયોજાયો છે. વેદોમાં રસ શબ્દ વિભિન્ન અર્થમાં પ્રયુક્ત છે. જેવા કે-

तं गोभिवर्षणं रसं मदायं देववीतये ।
सुतं भराय सं सृज ।। (ऋग्वेद, 9/6/6)

ઋગ્વેદની ઋચામાં સોમરસના સંદર્ભમાં રસ શબ્દ પ્રયુક્ત છે. તૈત્તિરિયોપનિષદમાં रसो वै सः (2/7) પરબ્રહ્મ સ્વરૂપે પ્રાપ્ત છે. તેને પ્રાપ્ત કરી જીવ આનંદની અનુભૂતિ કરે છે તેવું વિધાન છે. નિરુક્તમાં આચાર્ય યાસ્ક अश्विन શબ્દનું નિર્વચન આપતાં यद्व्यशनुवाते सर्व रसेनान्ये, ज्योतिषान्यः। (निरुक्तम्, 12/1/1) પ્રસ્તુત સંદર્ભો રસની વિવિધતા તથા પ્રાચીનતા સૂચવે છે. સ્વયં આચાર્ય ભરતનું કથન છે કે નાટકના નિર્માણમાં રસતત્ત્વ અથર્વવેદમાંથી ગ્રહિત કરવામાં આવ્યું रसनाथर्वणादपि (ना.शा., 1/17). કાવ્યાચાર્યો કાવ્યમાં રસની પ્રધાનતા-અનિવાર્યતા સ્વીકારે છે. અલંકારાદિ કાવ્યશોભાકારક તત્ત્વો છે. પરંતુ કાવ્યનો આત્મા તો રસ છે. અગ્નિપુરાણ રસને કાવ્યનો આત્મા કહે છે. वाग्वैदग्ध्यप्रधानेऽपि रस एवात्र जीवितम् (अ.पु. 337/33) આચાર્ય ભોજ કાવ્યને રસાન્વિત કહે છે. रसान्वितं कविः कूर्वन् कीर्तिं प्रीतिं च विन्दति । (सरस्वतीकण्ठाभरणम्, 1/2) આચાર્ય વિશ્વનાથ वाक्यंरसात्मकम् काव्यम् । રસાત્મક વાક્ય કાવ્ય છે, તેવું કહી રસને કાવ્યનું પ્રધાનતત્ત્વ માને છે. આચાર્ય દંડી બધા અલંકારોનું રસમાં પર્યવસાન માને છે. कामं सर्वोऽप्यलंकारा रसमथै निषिञ्चति (काव्यादर्शः 1/66)

પ્રસ્તુત ઉદ્ધરણોથી રસનું મહત્ત્વ પ્રતિપાદિત થાય છે. આચાર્યોએ કાવ્યના મૂળતત્ત્વ કે આત્મ તત્ત્વ તરીકે રસનો પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે સ્વીકાર કર્યો છે. આચાર્ય મમ્મટે દોષનું લક્ષણ પ્રસ્તુત કરતાં કાવ્યના મુખ્યાર્થ તરીકે રસનું પ્રતિપાદન કર્યું છે, मुख्यार्थ हतिर्दोषो रसश्च मुख्यतदाश्रयादवाच्यः ।. સંસ્કૃત કાવ્યશાસ્ત્રના ઇતિહાસનો પ્રારંભ આચાર્ય ભરતથી થાય છે. ભરતમુનિ પૂર્વે નન્દિકેશ્વર, કોહલ વગેરે આચાર્યો થયા પરંતુ તેમના ગ્રંથો અદ્યાવધિ પ્રાપ્ત નથી. માત્ર નામનો સંકેત પ્રાપ્ત થયો છે. આથી આચાર્ય ભરતને કાવ્યશાસ્ત્રના આદિ આચાર્ય મનાય છે. આચાર્ય રાજશેખરે રસાધિકારણના પ્રવક્તા નન્દિકેશ્વરને માન્યા છે. સ્વયં ભરતમુનિએ નાટ્યશાસ્ત્રમાં નન્દિકેશ્વરનો ઉલ્લેખ કર્યો છે. આચાર્ય અભિનવગુપ્તે અભિનવભારતીમાં નન્દિકેશ્વરનો મત દર્શાવ્યો છે. “यत्कीर्तिधरेण नन्दिकेश्वरमतमत्रागमित्वेन” (अ.भा. अध्याय – 29) પરંતુ અભિનવગુપ્ત સ્વયં નન્દિકેશ્વરના કોઈ ગ્રન્થ પ્રાપ્ત નથી તેમ જણાવે છે. આચાર્ય નન્દિકેશ્વરને રસસમ્પ્રદાયના પ્રણેતા સિદ્ધ કરવામાં પ્રમાણોનો અભાવ પ્રવર્તે છે.

રસસૂત્ર -

આચાર્ય ભરતમુનિએ નાટ્યશાસ્ત્રનાં છઠ્ઠા અધ્યાયમાં રસસૂત્ર અથવા રસનું લક્ષણ પ્રતિપાદિત કર્યું છે. तत्र विभावानुभावव्यभिचारिसंयोगाद्रसनिष्पत्तिः । (ना.शा. 6/32) અર્થાત્ વિભાવ, અનુભાવ અને વ્યભિચારિભાવના સંયોગથી રસની નિષ્પત્તિ થાય છે.

વિભાવ -

આલમ્બન વિભાવ અને ઉદ્દીપન વિભાવ એમ બે વિભાવો(કારણો)ના પ્રકારો છે. નાયક-નાયિકા, પરસ્પર આલમ્બન વિભાવ છે. ઉર્વશીને જોઈ પુરુરવાના મનમાં પ્રેમાર્વિભાવ થાય છે. તે જ પ્રકારે પુરુરવાને જોઈ ઉર્વશીના મનમાં પ્રેમાર્વિભાવ થાય છે. પુરુરવાના મનમાં વિદ્યમાન રતિરૂપાત્મક સ્થાયિભાવ ઉર્વશીને અવલમ્બ્ય પ્રાદુર્ભૂત થાય છે. તેમ ઉર્વશીના મનમાં વિદ્યમાન રતિરૂપાત્મક સ્થાયિભાવ પુરુરવાને અવલમ્બ્ય પ્રાદુર્ભૂત થાય છે. જેથી પરસ્પર આલમ્બન વિભાવ (કારણ) છે. ઉદ્દીપન વિભાવ નાયક-નાયિકામાં જે ભાવ જન્મ્યો છે તેને પ્રદીપ્ત કરે છે. જેમ કે, ઉદ્યાનનું વાતાવરણ, વસંતઋતુનો સમય, મધુર ધ્વનિ (સંગીત), પક્ષીઓનો અવાજ, ચંદ્રિકા વગેરે લૌકિક જગતમાં જેને કારણો કહીએ છીએ.

અનુભાવ -

अनुपश्चाद् भवति इति अनुभावः અર્થાત્ જે પછીથી થતી ક્રિયા (કાર્ય) અનુભાવ કહેવાય છે. જેમ કે, નાયક-નાયિકા પરસ્પર જોતાં પ્રેમાર્દ થાય, તેમનામાં રહેલા સુષુપ્ત ભાવોનું પ્રકટીકરણ આંગિક, વાચિક વગેરે દ્વારા થાય છે. જેમ કે, નેત્રકટાક્ષ, વક્રોક્તિવચનનું કથન વગેરે. જેમ કે, દુષ્યન્ત શકુન્તલાને જોઈ કહે છે मधुरं आसां कन्यकानां दर्शनम् । તો ઉર્વશી પોતાની એકાવલી (એક સેરની મોતીની માળા) ઝાડીમાં ભરાયાના બહાને પુરુરવાને વધુ વખત જોવાનો ઉપક્રમ કરે છે. द्रઢં खलु लग्ना જેવા વિધાનોને અનુભાવો કહેવાય છે.

વ્યભિચારીભાવ -

વ્યભિચારિભાવનું અપર નામ સંચારી ભાવ છે. જેને સહાયક કારણ કહેવાય છે. જે તેત્રીશ (૩૩) છે. વ્યભિચારિભાવો નાયક-નાયિકાના માધ્યમથી સામાજિક(સહૃદયીજનો)ના હૃદયમાં સંક્રમણ (વ્યભિચરણ) કરે છે.

સ્થાયિભાવ -

સ્થાયિભાવો સહજવૃત્તિથી રહેલાં છે. સામાજિકો (સહૃદયીજનો)ના હૃદયમાં સ્થિત રતિ વગેરે સ્થાયિભાવો અભિવ્યક્ત થાય છે. આચાર્ય ભરતમુનિએ રસસૂત્રમાં સ્થાયિભાવોનો નિર્દેશ કર્યો નથી. કારણ કે સ્થાયિભાવો પ્રેક્ષકોના (સામાજિકો)ના હૃદયમાં રહેલા જ છે. જે નટ-નટીમાં ઉપયુક્ત થતા નથી. નાટ્યપ્રયોગમાં મંચ પર જેનું મંચન કે પ્રકટીકરણ થાય છે તેનું જ નિરૂપણ કર્યું છે. સ્થાયિભાવો તો બધા જ ભાવોમાં પ્રધાન છે. જેમ સમાન લક્ષણ ધરાવતા પુરુષોમાંથી કુશળ, શીલ, વિદ્યાપરાયણ વ્યક્તિ રાજા થાય છે, તેમ બધા જ ભાવોમાં જે પ્રધાન છે તે સ્થાયિભાવ કહેવાય છે. રતિ, હાસ, શોક, ક્રોધ, ઉત્સાહ, ભય, જુગુપ્સા, વિસ્મય તથા નિર્વેદ એમ નવ ભાવ છે. ભરત પ્રથમ આઠનો નાટ્યશાસ્ત્રમાં ઉલ્લેખ કરે છે. મનમાં પ્રેમાર્દતા - રતિ, વાણી વગેરેનો વિકાર હાસ, સ્વજનના મૃત્યુથી જન્મતો હૃદયનો વિકાર શોક, વિપરીત પરિણામથી – ક્રોધ, કાર્યના આરંભમાં આવેશ - ઉત્સાહ, રૌદ્રશક્તિ દર્શનથી - ભય, દોષદર્શનથી થતો - જુગુપ્સા, હૃદયનો વિસ્ફાર - વિસ્મય, તત્ત્વજ્ઞાનથી ઉદ્ભવતો બુદ્ધિમાં નિર્વેદ.

રસસૂત્રના વ્યાખ્યાકારો -

ભરતમુનિના રસસૂત્ર પર ઉત્તરવર્તી આચાર્યોએ વ્યાખ્યાઓ આપી વિભિન્ન રીતે વિસ્તારપૂર્વક ચર્ચા કરી છે. અભિનવગુપ્તની નાટ્યશાસ્ત્ર પરની ‘અભિનવભારતી’ ટીકા તથા આચાર્ય મમ્મટના ‘કાવ્યપ્રકાશ’ વગેરેમાં આ આચાર્યોની વ્યાખ્યાઓ ઉદ્ધૃત છે. આચાર્ય અભિનવગુપ્તે ભટ્ટ લોલ્લટ, શંકુક, ભટ્ટ નાયકની વ્યાખ્યાઓનો ઉલ્લેખ તથા ખંડન કરીને પોતાના મતની સ્થાપના કરી છે. અભિનવના મતનું અનુસરણ મમ્મટે કર્યું છે. આ આચાર્યોએ રસસૂત્રમાં આવેલા ‘સંયોગ’ તથા ‘નિષ્પત્તિ’ પ્રાયઃ આ બે શબ્દો ઉપર વિવાદ જોવા મળે છે. જેનું સંક્ષિપ્ત વિવરણ આ પ્રમાણે છેઃ

ભટ્ટ લોલ્લટ -

રસવાદી ધારાના આચાર્ય ભટ્ટ લોલ્લટ, ઉદભટ્ટના પરવર્તી અને અભિનવના પૂર્વવર્તી હતા અને કદાચિત પ્રસિદ્ધ કાશ્મીરી દાર્શનિક કલ્લટ (સમય નવમી શતાબ્દીનો મધ્ય)ના સમકાલીન હતા. કાવ્યશાસ્ત્રના અતિરિક્ત તેઓ દર્શનશાસ્ત્રના પણ પંડિત હતા અને કદાચિત કવિતા પ્રત્યે એમને વિશેષ રુચિ હતી. આચાર્ય ભટ્ટ લોલ્લટ મીમાંસકે આથી જ ભરતસૂત્રની વ્યાખ્યા મીમાંસા દર્શનને આધાર બનાવીને કરી છે. એમણે આ સૂત્રના ‘સંયોગ’ અને ‘નિષ્પત્તિ’ આ બંને શબ્દાર્થના આધાર પર રસસૂત્રની વ્યાખ્યા કરી છે. એમણે સંયોગ શબ્દનો અર્થ સંબંધ તથા નિષ્પત્તિનો અર્થ ઉત્પત્તિ કર્યો છે અને સંયોગ શબ્દનો અર્થ સંબંધ પણ ત્રણ પ્રકારનો માન્યો છે. ઉત્પાદ્ય-ઉત્પાદક ભાવસંબંધ, ગમ્ય-ગમક ભાવસંબંધ અને પોષ્ય-પોષક ભાવસંબંધ. આ પ્રકારે નિષ્પત્તિ શબ્દના ત્રણ અર્થ પણ ભટ્ટ લોલ્લટ માને છે. ઉત્પત્તિ, અભિવ્યક્તિ (પ્રતીતિ) અને પુષ્ટિ. આ પ્રકારે ભટ્ટ લોલ્લટની દૃષ્ટિમાં ભરતના રસસૂત્રનો અર્થ થયો. ‘લલનાદિ આલંબન તથા ઉધાન આદિ ઉદ્દીપન વિભાવોથી ઉત્પાદ્યોત્પાદક ભાવસંબંધના દ્વારા ઉત્પન્ન, કટાક્ષ, ભૂજાક્ષેપ અનુભાવોથી ગમ્ય-ગમ્યક ભાવસંબંધના દ્વારા અભિવ્યક્ત (પ્રતીતિયોગ્ય) અને નિર્વેદાદિ વ્યભિચારી ભાવોથી પોષ્ય-પોષક ભાવસંબંધના દ્વારા પુષ્ટ (ઉપચિત) રત્યાદિ સ્થાયી ભાવ જ રસ છે. આ રસની સ્થિતિ મુખ્યતઃ તો અનુકાર્ય રામાદિમાં છે. પરંતુ એના રૂપમાં અભિનેતા હોવાને કારણે અનુકર્તામાં પણ રસ પ્રતીતિ થાય છે.’ આ પ્રકારે અહીં પણ સ્થાયિભાવની સાથે વિભાવોનો સંયોગ અર્થાત્ ઉત્પાદ્ય-ઉત્પાદક ભાવસંબંધ, અનુભાવોની સાથે ગમ્ય-ગમક ભાવસંબંધ તથા વ્યભિચારીભાવોનો પોષ્ય-પોષક ભાવસંબંધથી રસ પુષ્ટ બની પ્રતીત થાય છે. આ વ્યાખ્યાનો ભાવ એ છે કે જે પ્રકાર સાપના અભાવમાં તથા રજ્જુની સર્પવત્ સ્થિતિ પર જે ભય ઉત્પન્ન થાય છે, આ પ્રકારે વિષયી અનુરાગ રૂપ રતિ ન હોવા છતાં રતિ દૃષ્ટિગોચર થવા લાગે છે તો તે સહૃદયના હૃદયમાં ચમત્કાર પેદા કરવાને કારણે ‘રસ’ કહેવાય છે. અહીં જે પ્રકારે ‘સંયોગ’ શબ્દના ત્રણ અર્થ છે તેમ ભરત રસસૂત્રમાં આવેલા ‘નિષ્પત્તિ’ શબ્દના પણ ત્રણ અર્થ સમજવા જોઈએ. વિભાવની સાથે સ્થાયિભાવનો સંયોગ અર્થાત્ ઉત્પાદ્ય-ઉત્પાદક ભાવસંબંધ હોવાને કારણે રસની નિષ્પત્તિ અર્થાત્ ઉત્પત્તિ હોય છે. આથી અહીં નિષ્પત્તિ શબ્દનો અર્થ પ્રતીતિ થાય છે અને વ્યભિચારી ભાવોની સાથે પોષ્ય-પોષક ભાવસંબંધ હોવાથી રસની નિષ્પત્તિ તથા પુષ્ટિ થાય છે. અહીં નિષ્પત્તિ શબ્દનો અર્થ પુષ્ટિ થાય છે. અહીં આ વ્યાખ્યાનો આ અભિપ્રાય છે. આથી નિષ્કર્ષતઃ ભટ્ટ લોલ્લટની દૃષ્ટિમાં સામાજિકો(પ્રેક્ષકો)ને રસાનુભૂતિ પોતાનામાં થતી નથી. પરંતુ એ અનુકર્તા નટો-અભિનેતાઓમાં થાય છે. જેના પર ઐતિહાસિક પાત્રોનો આરોપ કરવામાં આવે છે. આ આરોપના પરિણામસ્વરૂપ સામાજિક સ્વયં પણ ચમત્કૃત બની આનંદનો અનુભવ કરે છે. કારણ કે પ્રેક્ષકોની રસાનુભૂતિ નટોમાં ઐતિહાસિક પાત્રોના આરોપના કારણે માનવામાં આવે છે. આથી ભટ્ટ લોલ્લટના મતને ‘આરોપવાદ’ કે ‘ઉત્પત્તિવાદ’ કહેવામાં આવે છે. અનુકર્તા નટો અભિનેતામાં રસની ઉત્પત્તિ માનવાને કારણે આ સિદ્ધાંતને ઉત્પત્તિ ઉપચિતિવાદના નામથી અભિહિત કરવામાં આવે છે.

સમીક્ષા -

ભટ્ટ લોલ્લટનો આ મત સંપૂર્ણ જિજ્ઞાસાઓનું સમાધાન ન કરી શકવાને કારણે માન્ય ન થઈ શક્યો. ભરતસૂત્રના પરવર્તી વ્યાખ્યાકાર શંકુક અને ભટ્ટ નાયકે ભટ્ટ લોલ્લટની આરોપવાદી વ્યાખ્યાને અયુક્તિપૂર્ણ અને અસંગત કહેલી છે. અહીં એમની સમીક્ષા પ્રસ્તુત છે.

  1. આ મતમાં સ્થાયિભાવની સાથે સંયોગ માનવામાં આવ્યો છે. ભરતના મૂળ સૂત્રમાં એનો ઉલ્લેખ પણ નથી અને આ ઉપચિત સ્થાયિભાવને રસ માનવામાં પણ ઘણી આપત્તિઓ છે. આ સ્થિતિમાં હાસ્યના સ્મિત, હસિત આદિ છ ભેદોની કલ્પના નિરર્થક બની જશે. જેના કારણે રસની અખંડ, પરિપૂર્ણ, તીવ્રત, તીવ્રતર, તીવ્રતમ આદિ ઘણી અનુચિત શ્રેણીઓ માનવી પડશે.
  2. કારણ અને કાર્યનું સમાન અધિકરણ હોવું જોઈએ. ભટ્ટ લોલ્લટના આરોપવાદમાં રસની સત્તાને અનુકાર્યમાં માનવામાં આવી છે અને રસાસ્વાદનો અધિકારી તરીકે પ્રેક્ષકને સ્વીકારવામાં આવ્યો છે. જો સામાજિકોને એનાથી પૂર્ણજ્ઞાન ન હોય તો તેઓ પ્રેક્ષાગૃહ સુધી ન જાય.
  3. આ આરોપવાદ ન્યાયશાસ્ત્રીય કાર્ય-કારણ સિદ્ધાંત પર આધારિત નથી. કારણ કે કારણ હંમેશા નિયતપૂર્વવર્તી હોય છે (नियतपूर्ववर्ती कारणम् - तर्कसंग्रह). આ પ્રકારે ભટ્ટ લોલ્લટ રસની ઉત્પત્તિ માને છે. એની પૂર્વસ્થિતિ માનતા નથી.
  4. અનુકર્તા નટમાં અનુકાર્ય રામાદિનો આરોપ પણ સંભવ નથી. સીતા રામાદિ તો અત્યારે જગતમાં નથી, આથી આ સમયે કરવામાં આવેલા અભિનયથી એમનામાં રસની ઉત્પત્તિ ન થઈ શકે.
  5. બીજાના પ્રતિકૂળ વેદનીય શોક, ભય, જુગુપ્સા આદિ દુઃખાત્મક ભાવ નટોમાં આરોપિત હોવાને કારણે અનન્તર સામાજિકો માટે પણ દુઃખ પર્યવસાયી જ બનશે. તેવા ભાવોથી આનંદસ્વરૂપ રસની પ્રતીતિ સંભવ નથી. આ તો વિભાવન વ્યાપારની અલૌકિકતાનું પરિણામ છે. જેનાથી પ્રતિકૂળ ભાવોની પ્રતીતિ પણ આનંદમય હોય છે. પરંતુ ભટ્ટ લોલ્લટે એવા કોઈ વ્યાપારની કલ્પના કરી નથી.
  6. રસને વિભાવાદિનું કાર્ય માનવામાં આવ્યું છે. જો રસ કાર્ય છે તો વિભાવાદિ કારણ થયા. કાર્ય એકવાર નિર્મિત થયા બાદ કારણ વિના પણ તેનું અસ્તિત્વ રહે છે. જેમ કે, ઘડો બન્યા પછી કુંભકારનું અસ્તિત્વ ન રહે તોપણ ઘડો રહે જ છે.
  7. અનુકરણની સફળતાથી રસ થાય છે તે યોગ્ય નથી. જ્યાં સુધી અનુકાર્યથી સંબંધ ન હોય ત્યાં સુધી અનુકરણ કેવું?
  8. ભટ્ટ લોલ્લટે અનુકાર્યનિષ્ઠ રસના જ્ઞાનના આધાર પર સામાજિકોના રસાસ્વાદનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ જ્ઞાનના આધાર પર અનુભૂતિની કલ્પના પણ તાર્કિક નથી. વસ્તુતઃ રસની અનુભૂતિ હોય છે, જ્ઞાનની નહીં. જ્ઞાન બૌદ્ધિક હોય છે અને એની ઉપલબ્ધિ મસ્તિષ્ક દ્વારા થાય છે. એનાથી વિપરીત અનુભૂતિ આત્મા, હૃદય, અંતકરણ અથવા મન દ્વારા લભ્ય થાય છે. ફલતઃ આરોપિત અનુકાર્યમાં રસના શુષ્ક જ્ઞાનના સહારે રસાનુભૂતિ સંભવ નથી. આ પ્રકારે જેમ ભટ્ટ લોલ્લટે ભરતસૂત્રની વ્યાખ્યા કરી છે અને રસને દાર્શનિક આધાર પર પ્રતિષ્ઠિત કરવાનો પ્રયત્ન કર્યો છે એનાથી એમના રસવાદી હોવા અંગે કોઈ સંદેહ નથી રહેતો, પરંતુ એમની આ વ્યાખ્યા સ્વીકૃત થઈ શકે તેમ નથી.

શંકુક -

શ્રી શંકુક ભટ્ટ લોલ્લટ ઉપરાંત ભરતસૂત્રના દ્વિતીય પ્રસિદ્ધ વ્યાખ્યાકાર છે. તેઓ પણ કાશ્મીરી આચાર્ય હતા અને એમનો સંબંધ શૈવદર્શનથી હતો. એમનો સમય નવમી સદીના આરંભનો માનવામાં આવે છે. નૈયાયિક શંકુકે રસને અનુમાન પ્રમાણ ગમ્ય (અનુમેય) પ્રતિપાદિત કર્યું. આથી એમનો મત અનુમાનવાદ અથવા અનુમિતિવાદથી અભિહિત છે. એમનો મત ન્યાયશાસ્ત્ર પર આધારિત છે. શંકુકે સંયોગાત્ પદનો અર્થ ‘અનુમાપ્ય-અનુમાપક સંબંધાત્’ અને ‘નિષ્પત્તિ’નો અર્થ ‘અનુમિતિ’ કર્યો છે. આ કારણે એમના અભિમતને ‘અનુમિતિવાદ’ કહેવામાં આવે છે. એમાં એમણે સામાજિકની સાથે રસનો સંબંધ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. આ વ્યાખ્યા અનુસાર નટ કૃત્રિમ રૂપથી અનુભાવ આદિનું પ્રકાશન કરે છે. પરંતુ એના સૌંદર્યના બળથી એનામાં વાસ્તવિકતા જેવી પ્રતીતિ થાય છે. આ કૃત્રિમ અનુભાવ આદિને જોઈને સામાજિક નટમાં વસ્તુતઃ વિદ્યમાન ન હોવા છતાં રસનું અનુમાન કરી લે છે અને પોતાની મનોકામનાથી વશીભૂત થઈ આ અનુમીયમાન રસનું આસ્વાદન કરે છે. આનું વિસ્તૃત નિરૂપણ આ પ્રમાણે છે.
સામાજિક જ્યારે રંગમંચ પર કોઈ કુશળ અભિનેતાને અભિનય કરતો જુએ તો તે તેને રામ જ સમજી લે છે. આ અવસ્થામાં નટમાં રામની જે પ્રતીતિ હોય છે તે એક વિલક્ષણ જ્ઞાન છે. આ જ્ઞાન ચાર પ્રકારનું છે. સમ્યક્, મિથ્યા, સંશય અને સાદૃશ્ય. નટમાં રામની પ્રતીતિ હોવી આ ચારેય પ્રકારના જ્ઞાનથી વિલક્ષણ છે. કારણ કે સામાજિકનું આ જ્ઞાન સમ્યક્ પ્રતીતિ નથી. મિથ્યા કે સંશય પ્રતીતિ નથી કે નથી સાદૃશ્ય પ્રતીતિ. આ પ્રતીતિ વસ્તુતઃ ‘ચિત્ર તુરંગ પ્રતીતિ’ છે. ચિત્ર તુરંગ ન્યાયથી થાય છે. જે પ્રકારે ચિત્રમાં ઘોડાને જોઈને આ ચિત્ર વસ્તુતઃ ઘોડાનું ન હોવા છતાં પણ તે ઘોડો છે એ પ્રકારની પ્રતીતિ થાય છે. આ પ્રકારની અભિનયમાં પણ પ્રતીતિ થાય છે. આ અભિનયમાં રામની ઉપસ્થિતિ ન હોવા છતાં પણ રામનો અભિનય કરવાવાળા અભિનેતામાં સામાજિકને રામની પ્રતીતિ થાય છે.
આ પ્રકારે કાવ્યોના અનુશીલનથી તથા શિક્ષાના અભ્યાસથી સિદ્ધ કરેલા પોતાના (અનુભાવ ઇત્યાદિ) કાર્યથી નટના દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા કૃત્રિમ હોવા છતાં વાસ્તવિક લાગે તેવા વિભાવાદિ શબ્દથી વ્યવહૃત થવાવાળા કારણ, કાર્ય અને સહકારીઓની સાથે ‘સંયોગ’ અર્થાત્ ગમ્યગમક ભાવરૂપ સંબંધથી અનુમીયમાન હોવા છતાં વસ્તુના સૌંદર્યના કારણ તથા આસ્વાદનો વિષય હોવાથી અન્ય અનુમીયમાન અર્થોની વિલક્ષણ સ્થાયી રૂપથી સંભાવ્યમાન રતિ આદિ ભાવ (નટમાં વાસ્તવ રૂપમાં) વિદ્યમાન ન હોવા છતાં સામાજિકના સંસ્કારોથી (स्वात्मगत्वेन) આસ્વાદ કરવામાં પ્રવૃત્ત રસ કહેવાય છે. આ શ્રી શંકુકનો અભિમત છે.
આને સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો ‘સામાજિક અભિનયકુશળ અભિનેતામાં રામાદિની અભિન્નતાનો અનુભવ કરીને પ્રાસંગિક, આલંબન-ઉદ્દીપન વિભાવ, અનુભાવ અને સંચારીભાવરૂપ હેતુઓથી આ નટમાં શ્રુંગારાદિ રસનું અનુમાન કરે છે. આ અનુમાન આ પ્રકારે છે. જેમ કે, કોઈ સ્થાન પર ધુમાડો ન હોવા છતાં ધુમ્મસ આદિનો ધુમાડો સમજીને એના દ્વારા અગ્નિનું અનુમાન કરવામાં આવે છે. આ રસાનુમિતિની પ્રક્રિયામાં સામાજિક છે, અનુમાનકર્તા છે, અભિનેતા (નટ) પક્ષ છે, વિભાવાદિ ઉપકરણ છે અને રસ અનુમેય છે. જોકે રસનું વાસ્તવિક અસ્તિત્વ આ અભિનેતાઓમાં જ રહે છે. તથાપિ અનુમેય રસની વિલક્ષણતા અને રસનીયતાના કારણે અનુમાન કરવાવાળા સામાજિકોને રસાસ્વાદ થાય છે. નિષ્કર્ષતઃ સામાજિક અભિનેતાને જ વાસ્તવિક રામાદિ સમજીને એનામાં શ્રુંગારાદિ રસોનું અનુમાન કરે છે. આ અનુમાન વિલક્ષણતા અને રસનીયતાને કારણે અનુમાતા (અનુમાનકર્તા) સામાજિકને પણ આનંદમગ્ન (રસમગ્ન) કહે છે.

સમીક્ષા -

  1. શંકુકે અનુમાન તથા અનુકરણનો આશ્રય લઈને આ વિષયની વ્યાખ્યા કરવાનો પ્રયાસ કર્યો છે.
  2. શંકુકની દૃષ્ટિથી સામાજિક મૂળ નાટકગત રસનું અભિનેતામાં અનુમાન કરીને આનંદિત થાય છે. પરંતુ સામાજિકને એ નિશ્ચિત થઈ જાય કે સીતાદિ વિભાવ કૃત્રિમ છે. તો એને રતિ આદિ ભાવોની અનુમિતિ ન થઈ શકવાથી રસાનુભૂતિ થઈ નહીં શકે. કારણ કે એકના હૃદયમાં રસ અથવા ભાવનું અનુમાન બીજાના હૃદયમાં સંભવ નથી.
  3. બંને આચાર્યો (ભટ્ટ લોલ્લટ અને શંકુક)એ પ્રેક્ષકના અતિરિક્ત નાયકમાં જ રસની મૂળ સ્થિતિ માની લેવાની મોટી ક્ષતિ કરી છે.
  4. કોઈ પણ વાતનું અનુમાન કરી લેવાથી વાસ્તવિક આનંદની પ્રાપ્તિ હોતી નથી. જે પ્રકારે શંકુકે સીતા આદિ વિભાવોને અનુમિતિનો હેતુ બતાવ્યો છે તે કૃત્રિમ તથા કલ્પિત છે. આ કારણે જો અભિનેતાઓમાં રસનું અનુમાન કરી લેવામાં આવે તોપણ ચમત્કારજનક ન હોઈ શકે. જેમ કે, સુખનું નામ લેવાથી દુઃખી વ્યક્તિ સુખાનુભવ ન કરવા લાગે.
  5. ડો. રાકેશ ગુપ્ત અનુસાર ચિત્ર તુરંગ જ્ઞાન ઉક્ત જ્ઞાનચતુષ્ટ્યથી ભિન્ન નથી. ચિત્રાંકિત અશ્વને જોનાર તેને ચિત્રાંકિત અશ્વ જ સમજે છે, વિલક્ષણ નહીં. જોકે ચિત્રકલાના અનભિજ્ઞની સમક્ષ દૂરથી કોઈ સજીવ અશ્વચિત્ર રાખવામાં આવે તો એને અશ્વનું યથાર્થ જ્ઞાન થશે જે સંશયાત્મક જ્ઞાન. ડો. રાકેશ ગુપ્તના તર્કના પૂર્વાર્ધથી તો સચ્ચિદાનન્દ ચૌધરી સહમત છે. પરંતુ ઉત્તરાર્ધથી નહીં, કારણ કે એમના ઉદાહરણ અનુસાર પ્રથમ તો ચિત્રકલાથી અનભિજ્ઞ દર્શકને સામે રાખવામાં આવ્યો છે તથા ચિત્રને ઘણા દૂરથી દર્શાવ્યું છે. એનાથી વિપરીત નાટકમાં નટ સામાજિકથી બહુ દૂર હોતા નથી અને સામાજિક પણ નટના પરિચયથી અજાણ હોતો નથી.
  6. શંકુકે અનુમિતિ જ્ઞાન અને પ્રત્યક્ષ જ્ઞાનથી પ્રાપ્ત આનંદમાં અંતર સમજવામાં ક્ષતિ કરી છે.

આ પ્રકારે શ્રી શંકુકની વ્યાખ્યા પણ ભટ્ટ લોલ્લટની વ્યાખ્યાની જેમ સર્વમાન્ય ન થઈ શકી.

ભટ્ટ નાયક -

ભરતસૂત્રના તૃતીય પ્રસિદ્ધ વ્યાખ્યાકાર છે ભટ્ટ નાયક. એમનો આર્વિભાવ સમય આનંદવર્ધનની પછી અને અભિનવથી પહેલાં દસમી શતાબ્દીના ઉત્તરાર્ધનો માની શકાય. ભટ્ટ નાયકનો ગ્રંથ ‘હૃદયદર્પણ’ આજે કેવળ સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં નામશેષ રહેવા પામ્યો છે અને અભિનવગુપ્ત તથા એમના પરવર્તી કશ્મીરી શૈવદ્વૈતવાદીઓના તર્કોમાં શિરમોર ભટ્ટ નાયકનો મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત લુપ્ત થઈ ગયો છે. ભટ્ટ નાયક હૃદયવાદી આલોચક હતા. તે હૃદયની પરિપૂર્ણતાથી કાવ્યનો ઉદ્ભવ માને છે. એમના અનુસાર જ્યાં સુધી હૃદય ભાવથી પરિપૂર્ણ ન થઈ જાય ત્યાં સુધી પદ્યમયરૂપમાં તે એને ઉદ્ગીર્ણ ન કરી શકે.
ભટ્ટ નાયકનો મત સાંખ્ય અનુગામી મનાય છે. અથવા સાંખ્યદર્શન પર આધારિત છે. એમણે પોતાના પૂર્વાચાર્યોના મતનું ખંડન કરી પછી પોતાના પક્ષની સ્થાપના કરી. એમનો મત ભુક્તિવાદ અથવા ભોગવાદના નામથી વિખ્યાત છે. અભિનવગુપ્તે ‘અભિનવભારતી’ તથા ‘ધ્વન્યાલોક લોચન’ બંનેમાં એમના મતને વિસ્તૃત રૂપમાં સાદર રજૂ કર્યો છે. પરંતુ અભિનવ એમનું ખંડન કરે છે. એમના અનુસાર ‘સંયોગ’ શબ્દનો અર્થ છે ભોજ્ય-ભોજકત્વ ભાવસંબંધ. ‘નિષ્પત્તિ’નો અર્થ છે ભુક્તિ અથવા ભોગ. આથી એમનો અભિમત ભોગવાદના નામથી અભિહિત થયો છે. એમની દૃષ્ટિ નાટકના સામાજિકની સાથે સાથે કાવ્યના સહૃદય પાઠક પ્રતિ પણ ગઈ તથા સૌ પ્રથમવાર સાધારણીકરણની દૃષ્ટિએ એમણે રસનું વિવેચન કર્યું.
‘સંયોગ’ ભોજ્ય-ભોજકત્વ સંબંધ અને નિષ્પત્તિ ભુક્તિથી આની સંમતિમાં વિભાવાદિથી રસનિષ્પત્તિ થાય છે. ભોગનો અર્થ છે સત્ત્વ ગુણના ઉદ્રેકથી પ્રાદુર્ભૂત પ્રકાશરૂપ આનંદનું જ્ઞાન. આ પ્રકારે વિભાવાદિના રસથી ભોજ્ય-ભોજક ભાવસંબંધ છે. આ પ્રકારે ભટ્ટ નાયકે ભુક્તિવાદની સ્થાપના કરવા માટે શબ્દમાં સ્વીકૃતિ અભિધા અને લક્ષણાશક્તિની અતિરિક્ત ‘ભાવકત્વ’ તથા ‘ભોજકત્વ’રૂપી બે નવીન વ્યાપારોની પરિકલ્પના કરીને એનો સ્વીકાર કર્યો છે તથા સામાજિકની રસાનુભૂતિનું પ્રતિપાદન કરવાનો પ્રયત્ન કર્યો છે. ભટ્ટ નાયકના મતાનુસાર નહીં તટસ્થ (નટગત અથવા અનુકાર્યગત રૂપથી) અને નહીં સ્વગત રૂપથી રસની પ્રતીતિ, ઉત્પત્તિ અથવા અભિવ્યક્તિ થાય છે. પરંતુ કાવ્ય અને નાટકમાં અભિધાનથી ત્વરિત પશ્ચાત્ થનાર વિભાવાદિના સાધારણીકરણરૂપ ભાવકત્વ નામના વ્યાપારથી ભાવ્યમાન (સાધારણીકૃત) સ્થાયિભાવ સત્ત્વના ઉદ્રેકથી પ્રકાશ અને આનંદમય અથવા બ્રહ્માસ્વાદની સમાન ભોજકત્વ વ્યાપાર દ્વારા આસ્વાદિત કરવામાં આવે છે. આ ભટ્ટ નાયકનો મત છે.
ભટ્ટ નાયક અનુસાર રસની સ્થિતિ ન તટસ્થતાથી પાત્ર અથવા અભિનેતામાં હોય છે અને ન સામાજિકગત હોય છે. જો રસને પાત્રગત (રામાદિ અનુકાર્યગત) અથવા અભિનેતાગત માનવામાં આવે તો એનો સામાજિકના હૃદયની સાથે સંબંધ ન થઈ શકે. કારણ કે સામાજિક માટે તટસ્થ હોવાથી આ નિષ્પ્રયોજન છે. જો રસને આત્મગત (સામાજિકગત) માનીએ તો આ સંગત ન ગણાય એનું કારણ એ છે કે રસની નિષ્પત્તિ સીતા આદિ વિભાવો દ્વારા થાય છે. સીતા આદિ રામની પ્રતિ વિભાવ હોઈ શકે છે. પરંતુ સામાજિકોની પ્રતિ ન હોઈ શકે. એનાથી અતિરિક્ત સીતા આદિના પ્રતિ પૂજનીય બુદ્ધિ હોવાથી સામાજિક અને શ્રુંગાર આદિ રસો માટે કોઈ પણ રીતે વિભાવ આદિના રૂપમાં સ્વીકાર કરી ન શકે. આ પ્રકારે રસની સ્થિતિ તટસ્થગત થઈ શકે છે, પરંતુ સામાજિકગત થઈ શકતી નથી. રસનિષ્પત્તિનું પ્રતિપાદન કરતાં તેઓ પ્રસ્તુત કરે છે કે કાવ્યના શબ્દ અન્ય શબ્દોથી વિલક્ષણ હોય છે. એમાં એક તો અભિધા વ્યાપાર હોય છે તથા એનાથી ભિન્ન બે અન્ય વ્યાપાર ભાવકત્વ અને ભોજકત્વ હોય છે. એમાં અભિધા વ્યાપાર વાચ્યાર્થવિષયક અને ભાજકત્વ વ્યાપાર સહૃદયવિષયક હોય છે. કાવ્યમાં જો કેવળ અભિધા વ્યાપારને જ માનવામાં આવે તો રસનિષ્ઠ કાવ્યનો શ્લેષ આદિ અલંકૃત કાવ્યથી તથા તન્ત્ર આદિ શાસ્ત્રોથી કોઈ ભેદ રહેશે નહીં. આથી અભિધાથી અતિરિક્ત ભાવકત્વ અને ભોજકત્વ વ્યાપારને માનવો જોઈએ.
અભિધા દ્વારા કાવ્યનો વાચ્યાર્થને જાણ્યા બાદ એનાથી વિલક્ષણ ભાવકત્વ વ્યાપાર દ્વારા વિભાવ આદિનું સાધારણીકરણ થઈ જાય છે. આ કાર્ય અભિધા દ્વારા સંભવ નથી. જો એવું હોય તો કાવ્યમાં રસાનુકૂળ અલંકાર, રીતિ, વૃત્તિ આદિ વિધિવિધાનોના ઉલ્લેખની કોઈ અપેક્ષા ન હોઈ શકે. કાવ્યાર્થને મનમાં રમણ હેતુ એનું ભાવન કરાવવા અભિધાથી ભિન્ન એક વિલક્ષણ વ્યાપારની આવશ્યકતા છે. ભટ્ટ નાયકની દૃષ્ટિમાં આ વ્યાપાર ભાવના જ છે. ત્યાર બાદ ભાવના દ્વારા વિભાવાદિના સાધારણીકૃત થઈ જવાથી ભોગ નામનો તૃતીય શબ્દ વ્યાપાર સહૃદય અને સામાજિક રસનો આસ્વાદ કરે છે. ભટ્ટ નાયક અનુસાર ભાવિત રસનો ભોગ સાધારણ ભૌતિક રૂપથી વિલક્ષણ પરબ્રહ્માસ્વાદની સમાન છે. સામાન્ય પ્રત્યક્ષ અનુભવ અને સ્મૃત્યાત્મક અનુભવથી આ રસાસ્વાદ સર્વથા વિલક્ષણ છે.

સમીક્ષા -

  1. આ પ્રથમ વ્યાખ્યાકાર છે જેણે દર્શકની મહત્તા સ્વીકારી છે.
  2. ભાવકત્વનું કામ વ્યંજના અથવા ચર્વણાથી સિદ્ધ થઈ જાય છે. ભાવકત્વ તો ભાવોનો ગુણ જ છે. काव्यार्थान् भावयंतीति भावाः અર્થાત્ જે કાવ્યાર્થોને ભાવનાનો વિષય બનાવે તે ભાવ છે. આ પ્રકારે એની સ્વતંત્ર સ્થિતિ માનવી ઉચિત નથી.
  3. અભિનવગુપ્તે કહ્યું છે કે એમના ભાવકત્વ અને ભોજકત્વ વ્યાપારનું શાસ્ત્રમાં કોઈ પ્રમાણ નથી અને સાથે જ ભટ્ટ નાયક પ્રતિપાદિત ભાવના અને ભોગ નામના બે સર્વથા નવીન શબ્દવ્યાપારોનું ખંડન કર્યું છે. લક્ષણા અને વ્યંજના આ શબ્દશક્તિઓના અસ્તિત્વમાં બે નવીન શબ્દોની સ્વીકૃતિ શ્રેયસ્કર નથી. અભિનવગુપ્તની દૃષ્ટિમાં શબ્દોની વ્યંજકતા હોય છે. જેનાથી વિભાવન નામના એક વિલક્ષણ વ્યાપારનો સ્વતઃ ઉદ્ભવ હોય છે અને તે વિભાવાદિને વિભાવિત કરી સહૃદયીઓને સાધારણીકરણ કરાવવાની સામર્થ્યતા રાખે છે.
  4. ભોગનો ભાવ રસમાં જ નિહિત છે. आस्वाद्यत्वाद्रसः જેનું આસ્વાદન અથવા ભોગ થઈ શકે તે રસ છે. એના માટે ભિન્ન સત્તા માનવાની આવશ્યકતા નથી.
  5. અભિધાના સંબંધમાં કોઈને આપત્તિ ન હોઈ શકે. સાધારણીકરણમાં રામનાં અસાધારણ કાર્યોથી દર્શક પ્રભાવિત થાય છે. એમને સાધારણ સમજી લેવામાત્રથી નહીં.
  6. ભટ્ટ નાયક દ્વારા પ્રતિપાદિત ભાવના વ્યાપારજન્ય સાધારણીકરણ થતો જ નથી. ભટ્ટ નાયકના સાધારણીકરણમાં વૈયક્તિક સંબંધ અને દેશકાલાદિનો પરિહાર બતાવવામાં આવ્યો છે. પરંતુ બધાં જ સ્થળોએ તે સંભવ નથી.
  7. આલંકારિકોએ ભાવકત્વનો સ્વીકાર કર્યો નથી અને ભોજકત્વ ક્રિયાને વ્યંજના માનીને સાધારણીકરણને વ્યંજનાનું કાર્ય માન્યું છે.
  8. કાવ્યની ક્રિયાઓથી જ કાર્યની સિદ્ધિ માનવામાં આવી છે. તેમ છતાં ભટ્ટ નાયકના ભોગવાદી સિદ્ધાંતનું મહત્ત્વ ઓછું નથી. એમના દ્વારા પ્રતિપાદિત સત્ત્વોદ્રેક, વિશ્રાન્તિ, સાધારણીકરણ આદિ વિષયોનો અભિનવગુપ્તે પણ યથાવત્ સ્વીકાર કર્યો છે. આને સ્પષ્ટ કરી રસને બ્રહ્માસ્વાદ સહોદર પ્રમાણિત કર્યો છે. રસમીમાંસામાં આજે પણ આ વિષયોને કોઈ ને કોઈ રૂપમાં સ્વીકૃતિ પ્રાપ્ત છે.

આ પ્રકારે ભટ્ટ નાયકે પણ સ્પષ્ટીકરણ ન કર્યું અને મુખ્ય રૂપથી અપ્રામાણિક ભોજકત્વ વ્યાપાર પર આશ્રિત હોવાથી ભટ્ટ નાયકનો ભુક્તિવાદ વિદ્વાનોમાં આદર પ્રાપ્ત ન કરી શક્યો.

અભિનવગુપ્ત -

રસ સંપ્રદાયના સર્વ પ્રથમ આચાર્ય છે અભિનવગુપ્ત. તેઓ ભરત રસસૂત્રના ચતુર્થ પરંતુ સર્વ પ્રથમ વ્યાખ્યાકાર છે. તે પોતાની અવિલક્ષણ પ્રતિભાને કારણે સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. એમનો સમય ૧૦થી ૧૧મી સદી માનવામાં આવ્યો છે. કાવ્યશાસ્ત્રથી સંબંધિત એમના બે ગ્રંથ ઉપલબ્ધ છે. ‘ધ્વન્યાલોક લોચન’ અને ‘અભિનવભારતી’. ‘ધ્વન્યાલોક લોચન’માં એમણે આનંદવર્ધનના ધ્વનિ સિદ્ધાંતનું વિશદીકરણ કર્યું છે અને ‘અભિનવભારતી’ ભરતના ‘નાટ્યશાસ્ત્ર’નું ભાષ્ય છે. જેમાં ભરતના નાટ્યસિદ્ધાંતોનું ગંભીર દાર્શનિક વ્યાખ્યાન કરવામાં આવ્યું છે. ભટ્ટ લોલ્લટે ઉત્તર મીમાંસાના, શ્રી શંકુકે ન્યાય અને ભટ્ટ નાયકે સાંખ્યના આધાર પર પોતાના મતોનું પ્રતિષ્ઠાપન કર્યું છે. આ પ્રકારે અભિનવે પણ પોતાના પૂર્વવર્તી અલંકારશાસ્ત્રના પ્રમુખ ધ્વનિવાદી આચાર્ય આનંદવર્ધનના આધાર પર ‘અભિવ્યક્તિવાદ’નું પ્રતિપાદન કર્યું છે. અભિનવગુપ્ત વ્યક્તિવાદી છે. એમનો મત અધિક મનોવૈજ્ઞાનિક છે. આથી સર્વમાન્ય છે. સમસ્ત સ્થાયિભાવ વાસના સ્વરૂપે સહૃદયના હૃદયમાં વિદ્યમાન રહે છે. વિભાવાદિ દ્વારા એ સુપ્ત સ્થાયિભાવ અભિવ્યક્ત થઈને આનંદમય રસનું સ્વરૂપ પ્રાપ્ત કરે છે. એમના અનુસાર સંયોગનો અર્થ છે વ્યંજિત અથવા ધ્વનિત હોવું (વ્યંગ્ય-વ્યંજન સંબંધ) અથવા પ્રકાશ્ય-પ્રકાશ્ય સંબંધ તથા નિષ્પત્તિનો અર્થ છે વ્યંજના દ્વારા આનંદરૂપમાં પ્રકાશિત હોવું અથવા એની અભિવ્યક્તિ હોવી. આથી તેમનો મત અભિવ્યક્તિવાદના નામે વિખ્યાત છે.
રતિ, હાસ આદિ સ્થાયિભાવ સામાજિકોના અંતઃકરણના વાસનાત્મક સંસ્કારના રૂપમાં પૂર્વતઃ વિદ્યમાન રહે છે. કાવ્યના શ્રવણ તથા નાટકના દર્શનથી સહૃદયોના મનોગત સ્થાયિભાવોનો વિભાવાદિની સાથે સંયોગ થાય છે અને આ સુપ્ત સ્થાયિભાવ જ રસ રૂપમાં અભિવ્યક્ત થઈ જાય છે. રસાભિવ્યક્તિની પૂર્વે સામાજિક અને સહૃદય વિભાવન નામના એક અલૌકિક વ્યંજના વ્યાપાર દ્વારા આ વિભાવાદિઓની સાથે સાધારણીકરણ પણ કરી લે છે. રસનિષ્પત્તિની આ પ્રક્રિયામાં વિભાવાદિ વ્યંજક છે અથવા પ્રકાશક છે અને રસ વ્યંગ્ય અથવા પ્રકાશ્ય છે. સ્થાયિભાવની રસ રૂપમાં અભિવ્યક્તિ આ પ્રકારે હોય છે. જેમ કે, માટીના પાત્રમાં પૂર્ણતઃ સ્થિત ગંધ જલના સંયોગથી અભિવ્યક્ત થઈ જાય છે. અર્થાત્ માટીના નવીન પાત્રમાં ગંધ પ્રથમથી જ વિદ્યમાન હતી. તે જલના સંસર્ગમાત્રથી અભિવ્યક્ત થઈ જાય છે. આ પ્રકારે સામાજિકોના અંતઃકરણમાં સ્થિત રતિ આદિ સ્થાયિભાવ અવ્યક્ત સ્વરૂપે રહે છે અને કાવ્ય તથા નાટકાદિના વિભાવોના સંયોગથી અભિવ્યક્ત થાય છે. આ સ્થાયિભાવ જાગૃતિ જ રસાસ્વાદ છે. અભિનવગુપ્તે રસની અભિવ્યક્તિ અથવા વ્યંજના સ્વીકાર કરી છે. આ કારણે એમનો સિદ્ધાંત અભિવ્યક્તિવાદના નામથી વિખ્યાત છે.

સમીક્ષા -

  1. રસની સ્થિતિના સંબંધમાં અભિનવગુપ્તનો વિચાર અધિક સ્પષ્ટ પરિલક્ષિત થાય છે. રસની સ્થિતિ એમણે મૂળ નાયકમાં પણ માની નથી કે નથી અનુકર્તામાં માની; તેમણે રસની સ્થિતિ સામાજિકો અને સહૃદયના હૃદયમાં માની છે. કાવ્યના પાઠકો અથવા નાટકના પ્રેક્ષકોનો અનુભાવ એનો સાક્ષી છે.
  2. સ્થાયિભાવ સંસ્કાર અથવા વાસનાના રૂપમાં સામાજિકોમાં પ્રથમથી જ સ્થિત હોય છે.
  3. અભિનવગુપ્તના અનુસાર દર્શકોના હૃદયમાં રતિ આદિ અવ્યક્ત સ્થાયિભાવ વિભાવ આદિ (વ્યંજકો)ના દ્વારા પ્રકટ થાય છે. અર્થાત્ રસ ઉત્પન્ન નથી થતો પરંતુ અભિવ્યક્ત થાય છે, જાગી ઊઠે છે. વાસનાનું પ્રકટીકરણ રસનો ઉપભોગ છે.
  4. ભટ્ટ નાયક અને અભિનવગુપ્ત આ બંનેની વ્યાખ્યાઓ યુક્તિયુક્ત છે. પરંતુ ભટ્ટ નાયકે જ્યાં ભાવના અને ભોગ નામના બે નવીન શબ્દવ્યાપારોની કલ્પના કરી છે ત્યાં અભિનવે વ્યંજનાના વિભાવનવ્યાપારથી રસની વ્યાખ્યા પ્રસ્તુત કરી છે.
  5. અભિનવે ભટ્ટ નાયકના ભોગવાદી સિદ્ધાંતનું યત્કિંચિત્ ત્રુટિઓનું પરિમાર્જન અભિવ્યક્તિવાદમાં કરી લીધું આથી આ સિદ્ધાંત દોષરહિત હોવાને કારણે સર્વમાન્ય થઈ શક્યો. આજે પણ આ સિદ્ધાંત વિદ્વાનોમાં સર્વમાન્ય છે.

*************************************************** 

ડો વિષ્ણુ પુરોહિત
અધ્યક્ષ, સંસ્કૃત વિભાગ,
સરકારી વિનયન કોલેજ, ગાંધીનગર

Previousindexnext
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |   Powered By : Knowledge Consortium of Gujarat
Home  |  Archive  |  Advisory Committee  |  Contact us