logo

વિવેચનની પ્રક્રિયા’ – લેખકની સરાહનીય સજ્જતા

પુસ્તકનું નામ : વિવેચનની પ્રક્રિયા, લેખક : રમણલાલ જોશી, પ્રકાશક : આર. આર. શેઠની કંપની, મૂલ્ય : ૩૫

ગુજરાતી વિવેચન ક્ષેત્રે ‘વિવેચનની પ્રક્રિયા’ જેવું મહત્વનું પુસ્તક આપનાર શ્રી રમણલાલ જોશીનું સાહિત્ય ક્ષેત્રે થયેલું પ્રદાન ખૂબ જ નોંધપાત્ર છે. તેમના આ પુસ્તકમાં તેમણે વિવિધ પ્રસંગોએ ઊભી થયેલી જરૂરીયાત મુજબ કરેલાં વિવેચનોને સમાવ્યાં છે. તેમાંથી તેમના વિવેચક તરીકેના વ્યક્તિત્વનું એક સબળ પાસુ આપણી સામે ઊભરી આવે છે. અહીં ૯ જેટલા વિભાગોમાં તેમના ૨૯ જેટલા વિવેચન લેખો સમાવિષ્ટ થયા છે. તેમાં વિષયની દ્રષ્ટિએ ને સ્વરૂપની દ્રષ્ટિએ જળવાયેલું વૈવિધ્ય વિવેચન પણ રસપ્રદ રીતે માણી શકાય છે તેનો ઉત્તમ નમૂનો બની રહે છે. તેમના આ લેખોમાંથી પસાર થતાં મને જણાયેલી તેમની વિવેચક તરીકેની વિશેષતાઓ આ લેખોના કેટલાક અંશોને નોંધીને બતાવવાનો અહીં નમ્ર પ્રયાસ છે.

પ્રારંભે મૂકાયેલો ‘વિવેચનની પ્રક્રિયા’ લેખ તેમના આ ક્ષેત્રના અભાસની ઊંડી સૂઝબૂઝનું ઉત્તમ પ્રતિબિંબ પાડે એવો છે. આ અભાસ તેમણે ગુજરાતી સાહિત્ય પરિષદના ૨૯મા અધિવેશનના સાહિત્ય-વિવેચન વિભાગના પ્રમુખ તરીકે આપેલા વ્યાખ્યાન નિમિત્તે થયેલો છે. આ અભ્યાસમાં તેમણે કયા કયા પ્રશ્નોની છણાવટ કરી છે તે પ્રારંભે જ દર્શાવી દીધું છે. “વિવેચનકારનો શબ્દ શું સિદ્ધ કરે છે? એનું પ્રયોજન શું? વિવેચન પ્રવૃત્તિ જો સમાજને અને સાહિત્યને ઉપકારક છે તો એની પ્રક્રિયા કેવીક હશે?” – ને આ મુદ્દાઓની ઝીણવટભરી ચર્ચા અનેક પાશ્ચાત્ય અને ભારતીય વિદ્વાનોના મત-મતાંતરોંને ટાંકીને પોતાને જે કહેવું છે તે ખૂબ જ સ્પષ્ટ રીતે કહી શક્યા છે. રિચર્ડ્ઝ સારા વિવેચકનાં જે ત્રણ લક્ષણો દર્શાવે છે. : (૧) વિવેચક જે કળાકૃતિનું મૂલ્યાંકન કરતો હોય એની સાથે પ્રસ્તુત એવી મન:સ્થિતિનો અનુભવ કરવાની તેની કુશળતા (૨) અનુભવનાં ઉપરચોટિયાં લક્ષણોની બાબતમાં તેમને એકબીજાથી જુદાં તારવવાની શક્તિ અને (૩) મૂલ્યોનું નક્કર મૂલ્યાંકન કરવાની શક્તિ – તે તેમના આ પુસ્તકમાં પણ આપણને જોવા મળે છે. તો વિવેચનની હાલના સંજોગાઓમાં રહેલી આવશ્યક્તા દર્શાવવા તેમણે કહ્યું છે: “કળાઓ પ્રત્યેના આવા વિસ્મયનો ભાવ આજે આપણે ગુમાવી રહ્યા તો નથી ને એવી દહેશત રહે છે. આજની દુનિયાને ભૌતિક સંપત્તિ કે વિકાસ બચાવી શકે એમ નથી. રાજકારણ વિશે તો માનવજાતિએ હાથ ધોઈ નાખ્યા છે. આજની ક્ષણે મોટી અનિવાર્યતા એ છે કે જીવનના કેન્દ્રમાં કલ્પનોત્થ સાહિત્યની પુન:સ્થાપના થાય. દુનિયાના નક્શાને વિજ્ઞાપનમાંથી ઊઠાવીને ધર્મના માળખામાં મૂકવાથી કદાચ એ નહિં બને. એ તો શક્ય બનશે સર્જનાત્મક સાહિત્ય આદિ કળાઓથી. આપણો સમાજ જેને માટે યોગ્ય છે એની કળા આપણને મળી છે એમ કહેવું બરાબર નથી. પણ આપણી કળા જેને માટે યોગ્ય છે એવો સમાજ આપણે મેળવીએ છીએ. એવો સમાજ કેળવાય એ માટે કળા પ્રત્યેની સમજદારીપૂર્વકની અભિરુચિ ઘડવામાં આજને તબક્કે વિવેચનની ચરિતાર્થતા રહેલી છે.” (પૃ. ૧૯-૨૦) આ પેરેગ્રાફ તેમના નિજી વ્યક્તિત્વનો પડઘો તો પાડે જ છે સાથે સાથે વર્તમાન વિગતો વિશેના તેમના ચિંતનને પણ રજૂ કરે છે.

બીજા ભાગમાં તેમણે આધુનિક વિવેચન, ગુજરાતી વિવેચન સાહિત્ય: ૧૯૭૮-૭૯ તથા પ્રમાણભૂત પાત્રપરિચય એમ ત્રણ લેખો સમાવ્યા છે. આ લેખોમાં વિવેચન પ્રવૃત્તિ વિષયક ગુજરાતી સાહિત્યના સંદર્ભમાં થતી હિલચાલનું સ્વસ્થ દર્શન રજૂ થયું છે. આધુનિક વિવેચનમાં તેમણે આધુનિક વિવેચને બીજી માનવવિદ્યાઓનાં ઓજારોને કામે લગાડ્યાં એ સ્વીકારીને પણ તેની મહત્વની મર્યાદાઓ અહીં તેમણે મુદ્દાસર બતાવી આપી છે. બીજા લેખોમાં ગુજરાતી વિવેચન સાહિત્યના ક્ષેત્રે પ્રદાન કરનારા વિવેચકોની વિશેષતાઓ અને મર્યાદાઓ ટૂંકમાં પણ સચોટ રીતે આંગળી મૂકીને બતાવી આપી છે. થોડાંક દ્રષ્ટાંતો જોઈએ,

  1. વિવેચક તરીકેની શ્રી સુંદરમની સરદયતા, રસિકતા, સાહિત્યપ્રીતિ, સમગ્ર પરિવેશની જાણકારી અને એક બૃહદ્ સંદર્ભમાં સાહિત્યપદાર્થનું યથાર્થ મૂલ્યાંકન કરવાની શક્તિનું પ્રદર્શન થાય છે. (સુંદરમ્ વિશે)
  2. શ્રી મનસુખભાઈને પોતાનું ચોક્કસ દ્રષ્ટિબિંદું હોય છે, એ માટેનો આગ્રહ હોય છે, પણ પૂર્વગ્રહ કે અહમહમિકા ક્યારેય હોતાં નથી.xxx તે પોતાની વાત તર્કસુસંગત રીતે રજૂ કરે છે, એ અંગેની દલીલો આપે છે, પણ સર્વત્ર વૈજ્ઞાનિકતાની સાથોસાથ સરદયતાજન્ય વ્યાપક સમભાવ સંલગ્ન હોવાને કારણે એમનાં લખાણો માત્ર આસ્વાદ્ય જ નહીં, વિચારપ્રેરક પણ નિવડે છે. (શ્રી મનસુખલાલ ઝવેરી વિશે)
  3. ‘આમોદ’માં એમના તેજસ્વી સ્વાધ્યાયના પરિપાક રૂપે જુદા જુદા વિષયો પરના અભ્યાસ નિબંધો આપણને મળ્યા છે. xxxxx કવિ ન્હાનાલાલના કાવ્યસતનું તેમનું અનુશલીન દ્યોતક દ્રષ્ટિબિંદુઓ આપવા સાથે એમની કવિતાના સૌંદર્ય-અંશને પ્રગટ કરી આપે છે. (શ્રી સુંદરજી બોટાઈ વિશે)
  4. ગુજરાતી કવિતાને તેમણે ભાષા, છંદ, લય, અલંકાર વગેરે દ્રષ્ટિએ તપાસી છે. એમની તપાસ સર્વગ્રાહી અને સૂક્ષ્મ છે. ગુજરાતી કવિતામાં પ્રગટ થયેલી આધુનિકતા અને સાચી પ્રયોગશીલતાને પણ તેમણે ઉત્સાહપૂર્વક પોંખી છે. (શ્રી ઉશનસ્ વિશે)
  5. વિવેચ્યકૃતિની ઝીણવટપૂર્વકની તપાસ એમના વિવેચનલેખોનો આગળ તરી આવતો ગુણ છે. એ તપાસનાં તારણોની રજૂઆત પ્રત્યેક વિવેચન લેખમાં જુદી જુદી હોવાને કારણે સમગ્ર પુસ્તકમાં વિષય વૈવિધ્યની સાથે વિવેચનશૈલીનું વૈવિધ્ય પણ સિદ્ધ થાય છે. (શ્રી રાધેશ્યામ શર્મા વિશે).
  6. પ્રમોદકુમારની વિશેષતા સાહિત્ય વિવેચનના મૂળભૂત પ્રશ્નો ઊભા કરવામાં રહેલી છે. એની માંડણીમાં તે અનેક પાશ્ચાત્ય સાહિત્યશાસ્ત્રના ગ્રંથોના સંદર્ભો આપે છે. એમનો નિબંધ પ્રશ્નથી શરૂ થઈ પ્રશ્નમાં પરીણમે છે. (શ્રી પ્રમોદકુમાર પટેલ વિશે).
  7. તે પણ માંડીને વાત કરનારા છે. એથી સ્વાભાવિક રીતે જ વિષયાન્તરમાં તે રાચે છે અને એમના વાચકો પણ સાચકલી સાહિત્યપ્રીતિથી મંડાયેલી સાહિત્યવાર્તા માણે છે. xxxxx નિશે:ષ નિરૂપણ કરવાના લોભમાંથી આ પ્રકારની અધ્યાપકીય નિરૂપણરીતિ વિક્સી છે. (શ્રી ચંદ્રકાન્ત શેઠ વિશે)

આ ઉપરાંત જયંત કોઠારી, યશવંત ત્રિવેદી, ચન્દ્રશંકર ભટ્ટ, ચી.ના. પટેલ, ધીરુ પરીખ, મફત ઓઝા, રમણલાલ ચી.શાહ, દીપક મહેતા, પ્રવીણ દરજી, ઈશ્વર્લાલ દવે, અનિલા દલાલ, કનુભાઈ જાની, વગેરે અનેક વિવેચકોની વિવેચન પ્રવૃત્તિને ટૂંકમાં પણ નોંધપાત્ર રીતે દર્શાવી છે.

ત્રીજા ભાગમાં ‘ન્હાનાલાલનો સમય સંદર્ભ’ લેખમાં તેમના સમયના પુનરુત્થાનકાળની રાજકીય, સમાજીક, આર્થિક,વૈચારિક તથા પ્રજાકીય સ્થિતિઓ અને ઘટનાઓના સંદર્ભે ન્હાનાલાલના વ્યક્તિત્વને ઉજાગર કર્યું છે. ન્હાનાલાલની વૃત્તબદ્ધ કવિતા લેખમાં; “તેમની વૃત્તબદ્ધ રચનાઓ, આપણે અગાઉ જોયું તેમ, કવિની કવિતાશક્તિના સ્વાભાવિક ઉન્મેષરૂપે હતી અને તેઓ ડોલનશૈલી તરફ વળ્યા તે વૃત્તો પરના પોતાના અસામર્થ્યને લીધે નહિ પણ અભિવ્યક્તિ-માધ્યમની શોધની અનિવાર્યતાને કારણે. પરીણામે તેમની ડોલનશૈલીને પણ કવિની છંદની તાલીમ મદદરૂપ થઈ છે.” તેમ વૃત્તો પર સામર્થ્ય હોવા છતાં આવશ્યક્તાને પરીણામે ડોલનશૈલી ઉદભવી છે તે બતાવી આપ્યું છે. તો ન્હાનાલાલ : વિવેચક લેખમાં તેમના વિવેચનાત્મક લખાણોનાં દસ લક્ષણો તારવી બતાવ્યા પછી તેમની મર્યાદા સંદર્ભે પણ સૂચક વિધાન કર્યું છે જેમ કે; “લેખકમાં કવિ-પ્રકૃતિ-સહજ પયગંબરી આવેશ છે અને સાહિત્યકૃતિઓ વિશે તે ચાલુ ઉચ્ચ સ્વરે બોલે છે. ક્યારેક તેમના વિધાનોમાં અત્યુક્તિ ભળે છે.xxxxxx ન્હાનાલાલના પૂર્વગ્રહો અને પક્ષવાદી માન્યતાઓ તેમને વિવેચક તરીકે આત્યંતિક બનવા પ્રેરે છે.”

ચોથા ભાગમાં સાત લેખો સમાવિષ્ટ છે. જેમાં પાંચ લેખો જુદા જુદા કવિઓના કાવ્યસંગ્રહોની પ્રસ્તાવના અંતર્ગત લખાયેલા છે. કવિ પૂજાલાલના ‘કાવ્યસેતુ’સંગ્રહની પ્રસ્તાવના ‘ઉર્ધ્વાભિમુખ કવિની કવિતા’, કવિ જયંત પાઠકના કાવ્યસંગ્રહ ‘અનુનય’ની પ્રસ્તાવના ‘વેદનાની વેલનાં રૂપાળાં ફૂલો, કવિ રમેશ પારેખના કાવ્યસંગ્રહ ‘ખડિંગ’ ની પ્રસ્તાવના ‘ખડિંગ ખડિંગ અવાજ’ કવિ સુધિર દેસાઈના ‘સૂર્યને તરતો મૂકું છું’ ની પ્રસ્તાવના ‘ખીલ્યા ગુલમહોર જેમ’ છે તો જગદીશ જોષીની કવિતાની મૂલવણી તેમના ‘વમળનાં વન’માં કરી છે. કવિતા અંગેની તેમની સૂઝ-સમજનો ખ્યાલ ઉપરોક્ત લેખોમાં જોવા મળે છે. રમેશ પારેખના ગીતોમાં ઢાળસંદર્ભે તેઓ કહે છે; “ગીતોમાં જૂનાઢાળોને તેમણે નવી રીતે પ્રયોજ્યા, અને પુનર્જીવિત કર્યા અને સુસ્વરતા સાથે સાંકળી દઈ એક નવું જ લાવણ્ય પ્રગટ કર્યું એ એમની સિદ્ધિ છે. એ જ રીતે સૌરાષ્ટ્રની લોકબોલીના લહેકા અને તળપદા શબ્દોનો કાવ્યમય વિનિયોગ કરી એક જુદી જ પદાવલિનું નિર્માણ કર્યું તે પણ એમની સભર સર્જકતાનો વિશિષ્ટ ઉન્મેષ ગણાય.” (પૃ. ૧૨૫) તો રમેશ પારેખની કવિતામાં આવતા ‘લીલા’ રંગ વિશેનું તેઓનું તારણ: “રમેશ પારેખની કવિતામાં આવતો લીલો રંગ એમની આંતરીક અભીપ્સા અને ઝંખનાનો વાચક બની રહે છે. રમેશની સમગ્ર કવિતામાં જે સૌમ્યતા છે, શામક્તા છે તે એમાં પ્રયોજાયેલા લીલા રંગના કારણે છે, અને એમની રંગદર્શિતાને સંયમિત કરવામાં એમનો ફાળો નાનો સૂનો નથી: (પૃ. ૧૨૭). આમ, જે તે કવિની સર્જકતા કે કવિતા વિશેનું તેમનું મૂલ્યાંકન એકદમ સચોટ હોય છે. જેમાં તેમની વિવેચકીય શક્તિની સાથે તેમનો બહોળો અભ્યાસ પણ પ્રતિબિંબિત થવા પામ્યો છે.

પાંચમો ભાગ નવલકથા અને વાર્તા વિશેના વિવેચનને લગતો છે. ‘ગુણસુંદરીનું કુટુંબજાળ’માં ‘સરસ્વતીચંન્દ્ર’ નવલકથાના આ બીજા ભાગ અંગે પ્રકાશ પાડ્યો છે. ‘દેવદાસ’ : મુગ્ધ પ્રણયની કરુણ કથા’ લેખમાં દેવદાસ નવલકથાના કથાવસ્તુને સ્પષ્ટ કરતાં કરતાં તેના સર્જક અને કૃતિ વિશેષોને આકર્ષક રીતે ગૂંથી લીધા છે. શરદબાબુ વિશે તેઓ કહે છે; “શરદબાબુ નવલકથાકાર તરીકે ‘મેલોડ્રામેટિક’ થયા સિવાય આલેખન કરી શકતા નથી તે આ નવલકથાના અંતભાગમાં મૃત્યુ સામે બાથ ભીડી પારુની પાસે પહોંચવા મથતા દેવદાસના ચિત્રણમાં જોઈ શકાય છે. (પૃ. ૧૭૩) આ કૃતિની વાત કરતાં રામનારાયણ પાઠકે જે ટિપ્પણી કરી છે તેને પણ તેમણે વણી લઈને એ વિશે પોતાનું દ્રષ્ટિબિંદુ રજૂ કર્યું છે. ‘પ્રતિકાર અને પ્રતિભાવની કથા’ શ્રી સુનિલ ગંગોપાધ્યાયની ‘સ્વર્ગની નીચે મનુષ્ય’ કૃતિનો શ્રી ભોળાભાઈ પટેલે કરેલો અનુવાદનો આમુખ છે. આ કૃતિમાં આવતાં આસ્વાદ્ય સ્થાનોની સાથે સાથે સ્વપ્ન ટેક્નિકનો સર્જક દ્વારા થયેલા પ્રયોગની યોગ્યતા સાબિત કરી આપી છે. ‘છેલ્લા દાયકાની ગુજરાતી નવલકથા:એક દ્રષ્ટિપાત’માં નવલકથાનો ટૂંકો વિકાસ અને તેના સર્જકોની વિશેષતાઓ અને કળાકીય દ્રષ્ટિકોણ ને આલેખી આપ્યો છે.

‘શ્રી સુંદરમને કવિ તરીકે જ આપણે સવિશેષ ઓળખીએ છીએ. પણ તેમની સર્જકતા વાર્તા પ્રકારમાં પણ અનવદ્ય રૂપનિર્માણ દ્વારા ચિરસ્થાયી અસર મૂકી જાય છે’ આ વિધાન તેમણે સુંદરમની વાર્તાઓનું વિવેચન કરતાં ઉચ્ચારી છે. સુંદરમની વાર્તાઓનું કળાકીય પાસું તેમણે સુંદર રીતે ઉજાગર કર્યું છે. શ્રી મોહંલાલ પટેલની ‘બ્લાઈન્ડ વર્મ’માં ગરોળીનું પ્રતીક’-કેવી રીતે ગૂંથાયું છે તે ગરોળીનો ઉલ્લેખ વાર્તામાં કેવી રીતે ને કેટલી વખત થયો છે તે નોંધીને બતાવ્યું છે.

છઠ્ઠા ભાગમાં શ્રી કિશનસિંહ ચાવડાના ‘અમાસથી પૂનમ ભાણી’ ની તેમણે કરેલી ગતિનું વર્ણન ‘શ્રેયાર્થીની અંતર્યાત્રા’માં લઈને અને બહાદુરશાહ પંડિતના લઘુનિબંધસંગ્રહના ‘રોચક બોધાત્મકતા’ પુસ્તકને આવકાર્યું છે. સાતમા ભાગમાં કવિની મુલાકાતમાં પ્રશ્નોની પસંદગીની સુંદરમના આંતર-બહિર સત્વ અને તથ્યને ઉજાગર કરે છે.. તો ગુલાબદાસ બ્રોકર સાથેની ટૂંકી વાર્તા વિષયક પ્રશ્નોત્તરી પણ ટૂંકીવાર્તાની સ્થગિતતા અને સ્વરૂપ વિષયક સુંદર વિચારણા રજૂ કરે છે. શ્રી રસિકલાલ પરીખ સાથેની મુલાકાત નાટકના સ્વરૂપ અંતર્ગત વિચારો દર્શાવે છે. આઠમા ભાગમાં ‘વિવેચન પ્રક્રિયા, સમકાલીન અને ગોવર્ધનરામ’માં તેમને પૂછાયેલા પ્રશ્નોના વિગતે આપેલા જવાબોમાં તેમના મંતવ્યો અને તે વિશેની વિશદ સમજ પ્રગટે છે. આધુનિક કવિતા અને તેમના વિવેચન વિશેની સ્પષ્ટ સમજ અહીં આ પ્રશ્નોત્તરીમાં દેખાઈ આવે છે. અંતિમ નવમા ભાગમાં ‘મૅથ્યુ આર્નલ્ડનો કાવ્યવિચાર’ માં પ્રારંભે તેમના જીવનની વિગતો આપી તેમના ઘડતરની કથા અને પછી તેમણે પ્રતિપાદિત કરેલા કાવ્યવિચારને ઝીણવટભરી દ્રષ્ટિથી મૂકી આપ્યો છે. અહીં પાશ્ચાત્ય વિવેચકો અને મીમાંસકોનો તેમનો અભાસ પણ જોઈ શકાય છે.

આમ વિવેચક તરીકેની તેમની વિશદ વિચારણા, ઊંડી સમજણ, બહોળો અભ્યાસ, કૃતિનાં કળાત્મક પાસંઓને પામવાની મથામણ, સ્વરૂપ સભાનતા, ઝીણવટભર્યું જોવાની વૃત્તિ, આસ્વાદ્ય અને રસાવહ ગદ્યશૈલી તેમના વિવેચનોને આસ્વાદક બનાવે છે. વિવેચનનો ભાર આપણને વર્તાતો નથી ને કૃતિ તથા સ્વરૂપગત વિચારને હળવાશથી રજૂ કરવાની વૃત્તિને કારણે આપણને કોઈ આસ્વાદ્ય કૃતિ વાંચતા હોવાનો અનુભવ થાય છે.

સંદર્ભગ્રંથ:::

(૧) વિવેચનની પ્રક્રિયા – રમણલાલ જોશી.
(૨) વાચનયાત્રાનો પ્રસાદ – મહેન્દ્ર મેઘાણી
(૩) ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ભાગ – ૩

*************************************************** 

ડૉ. પ્રવીણ વાઘેલા
એમ.એમ.ચૌધરી આર્ટસ કોલેજ, રાજેન્દ્રનગર,
તા. ભિલોડા, જિ. સાબરકાંઠા.

Previousindexnext
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |   Powered By : Knowledge Consortium of Gujarat

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us