logo

ચંપારણ સત્યાગ્રહનો સરદાર વલ્લભભાઇ પટેલ પર પ્રભાવ

પ્રસ્તાવિકઃ-

અમેરિકામાં અબ્રાહમ લિંકનની શહીદી અને ભારતમાં મહાત્મા ગાંધીજીના મૃત્યુ સમયે સમગ્ર વિશ્વએ ઊંડો શોક મનાવ્યો હતો. એ.એમ. ફોર્સ્ટર, આર્નોલ્ડ ટોયનબી, ડૉ. જે.એચ. હોમ્સ વગેરે જેવા વિદ્વાનોના મતે ગાંધીજી તેમના સમયના શ્રેષ્ઠતમ માનવ હતા. કે જેમણે એક રક્તદીન ક્રાંતિ મારફતે દેશને મુક્તિ આપવીહતી. મોટા ભાગના અને ગાંધીજીના સંપર્કમાં આવેલા કેટલાક અંગ્રેજ અમલદારોના મતે તેમની સિદ્ધિનું રહસ્ય તેમનું ચારિત્ર્ય હતું. આમ નિઃશંક મહાત્મા ગાંધીજી તેમના યુગના યુગપુરુષ હતા.

સમકાલીન સાક્ષીનો જ દાખલો ટાંકીએ તો રેજિનાલ્ડ સોરેનસનનું માનવું હતું કે ગાંધીજીએ ફક્ત ભારત પર જ નહીં પરંતુ આપણા પૂરા યુગ પર, ધારણા પરનો જે પ્રભાવપાથર્યો હતો, તેનું કારણ એ હતું કે તેઓ આત્માની શક્તિના સાક્ષી હતા.[1] ગાંધીજીના ક્રાંતિકારી વિચારો જેવા કે સત્ય, અહિંસા, સ્વ-કાર્ય, સેવા, રચનાત્મક કાર્યક્રમોમાં અને આશ્રમનાં કાર્યોમાં દળણાં, દળવાં, અનાજ સાફ કરવા, પાયખાના સાફ કરવાં વગેરે અને એ દ્વારા દેશ સ્વતંત્રતા મેળવશે. ભણેલા, ગણેલા શિક્ષિત અને વકીલ મંડળમાં તેમના આવા ક્રાંતિકારી વિચારો પ્રથ્યે શરૂઆતમાં સંદેહ, અસુસંગતતા અને દેશની પરિસ્થિતિ જોતાં આવા વિચારો અપ્રસ્તુત અને નિરથર્ક લાગતા. પણ જ્યારે તેજ વિચારોને ગહન રીતે જ્યારે તે જ વકીલો અને શિક્ષિતોએ વિચાર્યા. જોયા અને અનુભવ્યા ત્યારે તેને એટલી જ ત્વરાથી સ્વીકારી લીધા અને અમલમાં મૂક્યા.

ઇતિહાસના પ્રાધ્યાપક આચાર્ય કૃપલાનીને ગાંધીજીના રેંટિયા વિશેના વિચારો પ્રત્યે પણ શરૂઆતમાં આવો જ ભ્રમ થયેલો. પણ ગાંધીજીએ સ્વરાજ્ય પ્રાપ્તિની ચળવળમાં જયારે રેંટિયાની આજુબાજુ બધી પ્રવૃત્તિઓ સાંકળી દીધી. ત્યારે કૃપલાનીજીએ રેંટિયા સહર્ષ સ્વીકારી લીધેલો.આમ, ગાંધીજીના વિચારોનો પ્રભાવ સમસ્ત માનવ સમાજ પર પડ્યો હતો અને આટલા સમય પછી આજે અને આવતી કાલે પણ તે એટલા પ્રસ્તુત રહેશે તેમાં કોઇ શંકાને સ્થાન નથી. પણ અત્રે આપણે ચંપારણ સત્યાગ્રહ અને તેનો સરદાર વલ્લભભાઇ પટેલ પર શો પ્રભાવ પડ્યો તેની ચર્ચા કરવાનો ઉપક્રમ હોઇ સીધા વિષય પર આવીએ.

બેરિસ્ટરનો નિર્ધારઃ-

બંને નાટકો જન્મથી નહીં પણ પોતાના કર્તૃત્વથી મહાન બન્યા હતા. વી. શંકરના મતે Sardar was Par excellence a self-made man.[2] 191માં ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં સફળ સત્યાગ્રહ કરે છે. તો સરદાર વલ્લભભાઇ પટેલ વિદેશમાં બેરિસ્ટરનો અભ્યાસ પૂર્ણ કરી અમદાવાદમાં પ્રેક્ટીસ શરૂ કરે છે. આ સમય સુધી આ બંને વ્યક્તિઓ એક-બીજા વિશે જાણતા નથી.

વલ્લભભાઇના કુટુંબની આર્થિક-પરિસ્થિતિ સારી નહોતી. તેથી કરમસદના કહાનદાસ માસ્તર અને નડિયાદમાં ડુંગરભાઇની ઇચ્છા વલ્લભભાઇને માસ્તર બનાવવાની હતી. ભણવામાં તેજસ્વી ન હોવાથી મામા ડુંગરભાઇએ મેટ્રિક પછી વલ્લભભાઇને મ્યુનિસિપાલિટીમાં મુકાદમની નોકરી માટે પ્રયાસ કર્યો. પણ વલ્લભભાઇની ઇચ્છા કંઇક જુદી હતી. વલ્લભભાઇના સાથી ચરિત્ર લેખક અને સત્યાગ્રહી નરહરિ પરીખે નોંધ્યું છે કે- એકવાર સરદારે જ ઉચ્ચારેલા શબ્દોમાં કહું તો, સસ્તુ ભણવાનું અને સહેલાઇથી રળવાનો ધંધો કયો તે વિચારી વકીલાતનો વિચાર કર્યો. તેય એલએલ.બી. થવાનો નહીં પણ ડિસ્ટ્રીક્ટ પ્લીડર થવાનો કૉલેજમાં જઇ સાક્ષરી કેળવણી લેવા જેટલા તો ઘરમાં પૈસા નહોતા. પણ મોટું કારણ તો એલએલ.બી. થતાં છ વર્ષ લાગે એ જ હતું. અભ્યાસમાં એટલાં બધાં વર્ષ ગાળવાનું એમને વાજબી ન લાગ્યું. ઉંમર મોટી થઇ હતી અને શક્ય એટલા વહેલા વકીલ થઇ, પૈસા કમાઇ વિલાયત જવું હતું. ડિસ્ટ્રીક્ટ પ્લીડર પરીક્ષા માટે તો ઘેર રહીને વાંચી શકાય અને ખર્ચ કંઇ જ ન થાય એ પણ એની પસંદગીનું એક કારણ ખરું. વકીલો પાસેથી કાયદાની ચોપડીઓ માગી લાવી. ત્રણ વર્ષ અભ્યાસમાં ગાળ્યાં અને ડિસ્ટ્રીક્ટ પ્લીડરની પરીક્ષા 1900માં પસાર કરી.[3] આમ ઘરની આર્થિક પરિસ્થિતિ વલ્લભભાઇની ઇચ્છા અને સંજોગો જોતાં તેમણે વકીલ થવાનો નિર્ધાર કરેલો.

સરદાર પટેલની વૃત્તિ સામાન્ય માણસ કરતાં જુદી હતી. સામાન્ય કરતાં જુદો માણસ શું કરવાનું પસંદ કરે? તો જે સામાન્ય માણસો મેળવી ન શકે, ન કરી શકે તે મેળવવાનુ કે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે જે બીજા લોકો નહોતા કરી શકતા એટલા ઊંચા જવા માટે એમણે બેરિસ્ટર થવાનું નક્કી કર્યું.

"Attracted to challenging occupations rather than those are easy to enter, an achievement oriented person born into a family having low status might strive for up-ward social mobility."[4]

આમ ડિસ્ટ્રિક્ટ પ્લીડરની પરીક્ષા પાસ કર્યા પછી ગોધરામાં વકીલાત સમયે વિલાયત માટે જરુરી નાણાં એકત્ર કરી ઇગ્લેન્ડમાં બેરિસ્ટર બની અમદાવાદમાં પ્રતિષ્ઠીત બેરિસ્ટર તરીકે નામના મેળવી. વલ્લભભાઇ ગુજરાત કલબમાં જતાં ત્યાં ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં સફળ સત્યાગ્રહ કર્યો હતો તેના સમાચાર અવારનવાર ગુજરાત કલબમાં વર્તમાનપત્રોમાં આવતા હતા. તેના પર ચર્ચા પણ થતી. તેથી ગાંધીજી વિશે વલ્લભભાઇ પટેલ ગાંધી નામથી પરિચિત થયાં હશે. પરંતુ સરદાર વિશે ગાંધીજી કશું જ જાણતા નહોતા.

ગાંધી મિલન પૂર્વે સરદારઃ

ડાહ્યાભાઇના દીકરા બિપિનને પાછળથી સાંભળવા મળ્યું તેમ આ વખતે વલ્લભભાઇ ફેશનવાળાં કપડાંના શોખીન અને કંઇક અંશે વરણાગિયા પણ હતા. અમદાવાદના ધોબીકામથી સંતોષ ન થવાથી પોતાના કોલર મુંબઇ મોકલીને ધોવડાવતા. ધોતી પહેરનાર બોરસદનો વકીલતો લગભગ ભુલાઇ જવા આવ્યો હતો. વલ્લભભાઇએ પાછળથી કહ્યું છે કે, ""તે કાળે મને એવું લાગતું હતું કે પહેરવેશ, બોલવાલ અને તમામ બાબતોમાં પરદેશીઓનું અનુકરણ કરવું તે જિંદગીની સરટોચ છે. બોલચાલમાં અંગ્રેજી પૂરેપૂરી અપનાવેલી. બોલચાલમાં અંગ્રેજી પૂરેપૂરી અપનાવેલી. અદાલતોમાં અને મિત્રવર્તુળમાં પણ અંગ્રેજીની બોલબાલા હતી. સારું શુદ્ધ ગુજરાતી બોલવાનું પણ ભૂલવા માંડ્યો હતો.'' તેવું તેમણે કહ્યું છે.[5]

ગુજરાત કલબમાં સિગારેટોના ડબ્બા ખાલી કરતા, પત્તાં રમતા, નવા વકીલોની ઠઠ્ઠા મશ્કરી કરતા. બ્રિજની રમતના એક્કા હતા.

1915માં ગાંધીજી હિંદ આવ્યા અને અમદાવાદમાં આશ્રમ સ્થાપ્યો તે પછી તેઓ પોતાના રાષ્ટ્રીય શિક્ષણના વિચારો માટે ગુજરાત કલબ આવેલા. સૌથી પહેલી વાર જ્યારે ગાંધીજી ગુજરાતી ગામઠી પહેરવેશમાં ગુજરાત કલબ આવેલા ત્યારે વલ્લભભાઇએ પહેલી વાર ગાંધીજીને ત્રાંસી નજરે જોયેલા. એ સમયે સરદાર બ્રિજની રમતમાં જામ્યા હતા. પણ મોહનદાસ આવ્યા એટલે બધા વકીલો તેમને ઘેરી વળ્યાં. ત્યારે પોતાની બ્રિજની રમતનું ટેબલ વટાવી કોઇ મોહનદાસને મળવા જાય તે સરદારને ગમ્યું નહીં. પણ એ અનુભવ્યું કે આ એ જ માણસ છે કે જેણે દક્ષિણ આફ્રિકામાં જનરલ સ્મટ્સને સત્યાગ્રહ દ્વારા ઝૂકાવ્યો હતો. તેમની ભાષા અને વ્યક્તિત્વમાં કંઇ ખાસ અસરકારકતા નહોતી.

સરદાર વલ્લભભાઇ પટેલને પણ શરૂઆતમાં ગાંધીજીના ઘઉંમાંથી કાંકરા વીણવા, દળણાં દળવાં, પાયખાનાં સાફ કરવાં વગેરે જેવા આશ્રમનાં કાર્યો જાતે કરવાં અને તે દ્વારા સ્વતંત્રતા મેળવી શકાય. તેવા તેમના ક્રાંતિકારી વિચારો નિર્થક લાગતા. તે કહેતા કે આ વળી કંઇક નવું ગાંડપણ લાવ્યા છે. આમ શરૂઆતમાં સરદાર વલ્લભભાઇ પટેલ ગાંધીજીને આદર આપતા જ નહોતા. તેમને અને તેમના વિચારોને હાંસીમાં ઉડાવતા જેમ કે એકવાર ગાંધીજી જ્યારે હિંદ આવ્યા ત્યારે તેમને મહાત્માજીનું બિરુદ મળ્યું ત્યારે સરદારે કટાક્ષમાં કહેલું કે, આપણે ત્યાં મહાત્માઓ બેસુમાર છે. ગાંધીજીના આ તેજસ્વી વિચારો અંગે વ્યંગબાણો છોડીને અને આ ચક્રમ સંબંધે ટીકાઓ કરીને વલ્લભભાઇ હસતા અને બીજાઓને પણ હસાવતા.[6]

ચંપારણ સત્યાગ્રહ અને વલ્લભભાઇમાં પરિવર્તનઃ- પ્રજા સેવા, દેશ સેવાની વૃત્તિ સરદાર, સાહેબમાં હતી જ પણ જે રીતે હિંદના રાજકારણમાં કોંગ્રેસના જહાલ અને મવાળ પક્ષના પ્રાયોસ તેમને આકર્ષિ શક્યા નહોતા. મવાળ નેતાઓની નમ્ર વિનમ્ર પદ્ધતિ અને જ્હાલ નેતાઓની નિરર્થક થૂંક ઉડાડનાર ભાષણો તેમને દમ વગરના લાગેલાં. પણ સરદાર સાહેબ જ્યારે આશ્રમમાં ગયેલા ત્યારે તેમણે એક નવી બાબત જોઇ અને એ તે કે ગાંધીજી જે બોલતા તેને આચરણમાં પણ મુકતા. તેની અસર વલ્લભબાઇ પર પડેલી તેમ છતાં સરદાર સાહેબ ગાંધીજીને આદર આપતા નહોતા. પણ એક એવો બનાવ બન્યો કે સરદાર સાહેબને પોતાના જીવનનો મહત્ત્વનો નિર્ણય લેવા પ્રેર્યા હતા અને તે સન 1917ના વર્ષનો ચંપારણ સત્યાગ્રહ.

બિહારના ચંપારણના ખેડૂતો સાથે અંગ્રેજોના અન્યાય માટે ગાંધીજીએ સત્યાગ્રહ પોકાર્યો. આથી તેમને ચંપારણ છોડી જવાનો હુકમ મળ્યો પણ તેમણે જે નિવેદન રજુ કર્યું તે પ્રભાવક હતું. આ નિવેદન બીજે દિવસે છાપામાં આવ્યું ત્યારે ગુજરાત કલબમાં સરદાર વલ્લભભાઇ પટેલ અને બીજા વકીલોનો ગાંધીજી પ્રત્યેનો આદર વધી જવા પામ્યો.

કોર્ટમાં એમણે જે ગૌરવયુક્ત નિવેદનકર્યું, એ બધુ છાપામાં આયું ત્યારે બધાને થયું કે આ કોઇ ખરો મર્દ છે. ગાંધીજી માટે બધાને આદરની લાગણી વધી ગઇ.[7]
આ પ્રસંથી સરદાર સાહેબે અનુભવ્યું કે આજ એવો માણસ છે કે જે પ્રજાને દોરવણી આપી શકે છે અને પ્રજા પણ તેને માન આપે છે. આ માણસ જ દેશને સ્વતંત્રતા આપોઆપ માટેની ક્ષમતા ધરાવે છે.
એક બાજુ દેશમાં નેતા ગણાતી વ્યક્તિઓની જીવનચર્યા, તેમની અસ્પષ્ટ વિચારસરણી, તેમનું કેટલીકવાર સમજી ન શકાય એવું વર્તન વગેરે જોઇને તે સમયના રાજકારણી પુરુષો પ્રત્યે વલ્લભભાઇને ધૃણા ઉત્પન્ન થયેલી, તેમને નવોપ્રકાશ જોઇતો હતો. તેવામાં ગાંધીજીએ ચંપારણ સત્યાગ્રહમાં સફળતા મેળવી તેથી ગાંધીજીમાં વલ્લભભાઇને નવી શક્તિનાં દર્શન થયાં.

આમ સરદાર વલ્લભભાઇ પટેલ ગાંધી પ્રભાવમાં આવી તેમના વિચારો, આદર્શોના ઉત્સાહી અનુયાયી બન્યા. મજાકમાં સરદાર સાહેબ કહેતા, ""એમણે પોતાના મગજ (બુદ્ધિ)ને તાળું મારી એની ચાવી ગાંધીજીને આપી દીધેલ છે.''[8] તેવી જ રીતે 1929માં મોરબીમાં ભરાયેલ પાંચમી કાઠિયાવાડ રાજકીય પરિષદમાં કહેલું. મને ઘણાં ગાંધીજીનો આંધળો ભક્ત કહે છે.... સમજ્યા વગર એક હાથની પોતડી પહેરીને ફરનારની પાચલ ગાંડો થઇને ફરું એવો હું નથી. મારી પાસે ઘણાને ડગીને ધનવાન થાઉં એવો ધંધો હોત પણ તે છોડ્યો... એઓ હિંદુસ્તાનમાં આવેલા ત્યારથી જ એમની સાથે છું અને ભવમાં એમની સાથેનો સંબંધ છૂટે તેમ નથી.[9] સરદાર સાહેબની નિકટ રહેલા તેમના સચિવ વી. શંકરના મતે, "The still owed everyting to Gandhiji's inspiration and teachings and had such implicit trust in him as to have earned the description of his blind fellower. He gave him that obedience to the point of not questions even he did not agree with him."[10]

સમાપનઃ-

ગાંધીજીને વલ્લભભાઇ પટેલ મળ્યા તે પહેલાં વલ્લભભાઇ એક બેરિસ્ટર તરીકે અને તેમાં પણ ફોજદારી કેસોમાંથી ધૂમ રૂપિયા કમાતા હતા. તેથી તેમના જીવનમાં ગાંધીજી જેવી કોઇ વ્યક્તિ માટે સ્થાન હશે કે કેમ તે પણ વિચારવા જેવું ખરું. વલ્લભભાઇનું સામાજિક અને આર્થિક જીવન આ ધીકતા વ્યવસાયને લઇને સમૃદ્ધ હતું. તેમના મોટાભાઇ વિઠ્ઠલભાઇ અને તેમની વચ્ચે થયેલા સમાધાનમાં એક ભાઇએ દેશ સેવા કરવી અને બીજાએ કુટુંબસેવા. તેથી કુટુંબ સેવાનું કાર્ય વલ્લભભાઇના શીરે આવ્યું હતું. તેમ છતાં રાજકારણમાં તેમને રસ તો હતો. પણ હિંદના રાજકારણમાં જ્હાલ અને મવાળપક્ષના નેતાઓમાં તેમને કોઇ એવું નેતૃત્વ દેખાયું નહીં કે જે બ્રિટિશ સરકાર સામે આમ પ્રજાને દોરવણી આપી તેની સમસ્યાઓ અને પ્રશ્નોને વાચા આપી શકે. તેથી તેમણે શરુઆતમાં રાજકારણનું નિરીક્ષણ જ કર્યું હતું. પણ હિંદમાં ગાંધી આગમન પછી ચંપારણ સત્યાગ્રહમાં ગાંધીજીએ મેળવેલ સફળતાએ તેમને ગાંધી તરફ ખેંચ્યા અને પ્રભાવિત કર્યા. તેમનો જીવન-પલટો થયો અને છેલ્લા શ્વાસ સુધી ગાંધીજીના અનુયાયી બની તેમના વિચારો પ્રમાણે દેશ સેવામાં પોતાનું જીવન સમર્પિત કર્યું.

પાદનોંધ

    1. આર.કે. પ્રભુ અને યૂ.આર. રાવ (સંપા.), મહાત્મા ગાંધીના વિચારો, નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા, નવી દિલ્હી. 2011, પૃ.18.
    2. V. Shanker, My Reminiscences of Sardar Patel Vol-II, MacMilan, Madras (1974), p. 181.
    3. નરહરિ પરીખ, સરદાર વલ્લભભાઇ ભાગ-1, નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ, 1950, પૃ. 15.
    4. સંશોધન માસિક, બી.એન. ગાંધીનો લેખ- સરદાર પટેલનું પ્રત્યક્ષીકરણ એક અભ્યાસ, એપ્રિલ-જૂન-2003, પૃ. 7.
    5. રાજમોહન ગાંધી, સરદાર પટેલ- એક સમર્પિત જીવન, નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ, 2012, પૃ.33.
    6. એજન, પૃ. 35.
    7. પરીખ, ઉપરોક્ત, પૃ. 69.
    8. P.N. Chopra (ed), The Collected works of Sardar Vallabhbhai Patel henceforth (wp), Vol-I, Konark, New Delhi (1990), p. xviii.
    9. નરહરિ દ્વા. પરીખ અને ઉ.દી. શાહ (સંપા.) સરદાર વલ્લભભાઇના ભાષણો, નવજીવન પ્રકાશન, અમદાવાદ, (1949), પૃ. 170.
    10. V. Shanker, Op. Cit., p.156.

    *************************************************** 

    વાઘરી અશોકભાઇ બાબુભાઇ
    ભુતપૂર્વ વ્યાખ્યાતા સહાયક
    સરકારી વિનયન કૉલેજ, અમીરગઢ


Previousindexnext
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us