logo

તાલીમાર્થીઓ સંદર્ભ પુસ્તકોનો ઉપયોગ નહિવત કરે છે.


સારાંશ

બી.એડ. તાલીમમાં પ્રવેશતા તાલીમાર્થીઓની મુખ્ય સમસ્યા એ સંદર્ભ પુસ્તકોનો નહિવત ઉપયોગ છે. સંદર્ભપુસ્તકોના વાચન અને ઉપયોગ અંગેની આ પરિસ્થિતિ ખરેખર ચિંતાજનક છે. તેઓ શિક્ષક બનશે ત્યારે તેમના વિદ્યાર્થીઓમાં પણ તેઓ વાચનની અને વિવિધ પુસ્તકોના અભ્યાસની ટેવને વિકસાવી શકશે નહીં. આથી, જો આપણા ભવિષ્યના ભારતને સુધારવું હોય તો તે માટે પ્રવર્તમાન સમયના તાલીમીર્થીઓ કે જેઓ ભાવિ શિક્ષકો છે તેમનામાં સંદર્ભ પુસ્તકોનો ઉપયોગ કરવાની ટેવનો વિકાસ કરવો જ રહ્યો. આ વિચારને નજર સામે રાખી એક ક્રિયાત્મક સંશોધન જે હાથ ધરેલું તેને અહીં રજૂ કયુઁ છે.

પ્રસ્તાવના

આજે યુવાનોમાં અને વ્યવસાયિક ક્ષેત્રોમાં પડેલા લોકોમાં વાચન પ્રત્યેનો લગાવ ઓછો જોવા મળે છે અને જે પણ થોડું ઘણું વાચન જોવા મળે છે તે વર્તમાનપત્રોમાં પ્રસારિત સમાચારો કે કેટલાક મેગેઝીનોમાં જ વિશેષ સમાઈ જાય છે. અભ્યાસને સંલગ્ન સંદર્ભપુસ્તકો તો કદાચ તેઓ એ ભાગ્ય જ જોયા હોય, કપડા ખરીદવાનું જેટલું આકર્ષણ છે તેટલું પુસ્તકની ખરીદીનું આકર્ષણ દેખાતું નથી. પુસ્તકો સાથેનો સંબંધ પરીક્ષા સુઘી જ સીમિત હોય છે. પરીક્ષા પુરી થાય એટલે વિદ્યાનું એ સાઘન પસ્તીનો સામાન બની જાય છે. વાચનાલયમાં રહેલા વિવિધ પ્રકારમાં અમૂલ્ય પુસ્તકો ઘણીવાર ઉઘઈ માટેનો ખોરાક બની રહે છે. વાસ્તવમાં સંદર્ભપુસ્તકોનું વાચન, ઉપયોગ એ જીવન ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે. સંદર્ભપુસ્તકોના વાચન અને ઉપયોગ અંગેની આ પરિસ્થિતિ ખરેખર ચિંતાજનક છે.

બી.એડ્. તાલીમમાં પ્રવેશતા તાલીમાર્થીઓની મુખ્ય સમસ્યા એ સંદર્ભ પુસ્તકોનો નહિવત્ ઉપયોગ છે. તેઓ જ્યારે એક સારી શિક્ષક બનવા માટેની તાલીમમાં જોડાયા છે, ત્યારે તેઓમાં જ સંદર્ભપુસ્તકોનો ઉપયોગ કરવાની ટેવ નહીં હોય તો તેમના અન્ય કૌશલ્યના વિકાસમાં ઘણાં બધા અવરોધો આવવાની સંભાવના તો છે જ પરંતુ, સાથે જ્યારે તેઓ શિક્ષક બનશે ત્યારે તેમના વિદ્યાર્થીઓમાં પણ તેઓ વાચનની અને વિવિધ પુસ્તકોના અભ્યાસની ટેવને વિકસાવી શકશે નહીં.

આથી, જો આપણા ભવિષ્યના ભારતને સુધારવું હોય તો તે માટે પ્રવર્તમાન સમયના તાલીમાર્થીઓ કે જેઓ ભાવિ શિક્ષકો છે તેમનામાં સંદર્ભ પુસ્તકોનો ઉપયોગ કરવાની ટેવનો વિકાસ કરવો જ રહ્યો.

સંદર્ભ પુસ્તકોના વાચનના ઉપયોગનું મહત્ત્વ સંદર્ભ પુસ્તકોના ઉપયોગનું મહત્ત્વ નીચે પ્રમાણેના પરીબળો આઘારે વર્ણવી શકાય.

  • જ્ઞાન મેળવવા
  • સંદર્ભ પુસ્તકોના ઉપયોગ દ્વારા જગતના મૂર્ત અને અમૂર્ત પદાર્થો વિશે જ્ઞાન મેળવી શકાય છે. પ્રવર્તમાન બનાવો, વૈજ્ઞાનિકો વિશે, તેમના લખાણો વિશે વગેરેની જાણકારી મળે છે. જ્ઞાનના વિસ્ફોટ યુગમાં જ્ઞ।ન પ્રાપ્તિ સંદર્ભ પુસ્તકોના ઉપયોગથી જ થઈ શકે છે.

  • વ્યવસાયમાં સફળતા મેળવવા
  • પોતાના વ્યવસાયની અદ્યતન માહિતી સંદર્ભ પુસ્તકોના ઉપયોગ દ્વારા જ મળી શકે છે. વ્યવસાયને લગતા સંદર્ભ પુસ્તકોના ઉપયોગ દ્વારા તેઓ પોતાના વ્યવસાયમાં સફળતા મેળવી શકે છે.

  • જીવન જીવવામાં માર્ગદર્શન મેળવવા
  • જેવું વાચન એવો વિચાર અને વિચાર તેવા આચાર. સમાજમાં આવતા પરિવર્તનોથી વ્યક્તિની રહેણીકરણી અને ભૂમિકામાં પણ પરિવર્તન આવે છે. પરિવર્તન પામતા સમાજની સાથે અનુકૂલન સાધવા માટે નવા કૌશલ્યો, જ્ઞાન અને વલણ ક્ળવવા પડે. જીવન વિકાસના વિવિધ તબક્કે આવતી સમસ્યાઓના નિવારણમાં સંદર્ભ પુસ્તકો ઉપયોગી બને છે. જીવનની ગુણવત્તા સઘારવા માટેના જરૂરી ઘટકો વિશેનું જ્ઞાન સંદર્ભ પુસ્તકોના ઉપયોગ દ્વારા પ્રાપ્ત થઈ શકે છે.

  • શૈક્ષણિક સફળતા મેળવવા માટે
  • અનેક વિષયોના જ્ઞાનના અધ્યયનમાં સંદર્ભ પુસ્તકોનો ઉપયોગ એ ગુરુચાવી છે. જે તાલીમાર્થીમાં સંદર્ભ પુસ્તકોનો ઉપયોગ કરવાની ક્ષમતા સારી હોય છે તે વિદ્યાર્થીનું જ્ઞાન પણ સારું હોય છે. તેથી શૈક્ષણિક સફળતા મેળવવામાં સંદર્ભ પુસ્તકોનો ઉપયોગ અનિવાર્ય છે.

સમસ્ચા
“તાલીમાર્થીઓ સંદર્ભ પુસ્તકોનો ઉપયોગ નહિવત કરે છે “

સમસ્યાના હેતુઓ

પ્રસ્તુત ક્રિયાત્મક સંશોઘનની સમસ્યાના હેતુઓ નીચે પ્રમાણે છે.
  • તાલીમાર્થીઓના વાચન રસનો અભ્યાસ કરવો.
  • તાલીમાર્થીઓના વાચન રસના ક્ષોત્રોનો અભ્યાસ કરવો.
  • બી. એડ.ના અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને તેના સંદર્ભગ્રંથોનો ઉપયોગ કરે તેવા પ્રયત્નો કરવા.
  • શિક્ષક તરીકે વિશેષ જ્ઞાન હોવું જોઈએ તેવા સંદર્ભ પુસ્તકોનું વાચન કરે તે માટેના પ્રયત્નો કરવા.
સમસ્યા ક્ષેત્ર

સંશોઘનકાર સંશોઘનના હેતુની સ્પષ્ટતા અને કાર્યક્ષમની સરળતા તથા માટે સમસ્ચાક્ષેત્ર નક્કી કરે છે. સંશોધન કોઈવાર કૉલેજ પૂરતુ, કોઈવાર વર્ગ પૂરતું, કોઈવાર તે વર્ગ પૂરતું મર્યાદિત હોય છે.

પ્રસ્તુત અભ્યાસનું ક્ષેત્ર નીચે મુજબ છે.
  • રાજય – ગુજરાત
  • જિલ્લો – આણંદ,
  • શહેર – આણંદ
  • કૉલેજ – આણંદ કૉલેજ ઑફ એજ્યુકેશન, આણંદ
  • તાલીમાર્થીઓ – અંગ્રેજી પદ્ધતિના 19 તાલીમાર્થીઓ.
પાયાની જરૂરી માહિતી

સંશોધનકારે ક્રિયાત્મક સંશોધન કરવા માટે કેટલીક પાયાની માહિતી એકત્ર કરી હતી, જે નીચે પ્રમાણે છે.
  • તાલીમાર્થીઓ સમાચારપત્ર અને મેગેઝીન વાંચે છે.
  • તાલીમાર્થીઓ નાની નાની પુસ્તીકાઓનું વાંચન કરે છે.
  • ઘરે પોતાને રસ હોચ તેવા પેપરના આર્ટીકલનું વાંચન કરે છે.
  • પુસ્તકાલય રજીસ્ટરને આધારે તાલીમાર્થીઓ પુસ્તકોનો ઉપયોગ ઓછો કરે છે તેમ જણાયું.
  • તાલીમાર્થીઓના આધ્યયન અધ્યાપન પ્રવ્રુતિઓને આધારે અવલોકન દ્રારા જણાય છે કે તેઓ પુસ્તકોનો ઉપયોગ ઓછો કરે છે.
સમસ્યાના સંભવિત કારણો

સમસ્યાના સંભવિત કારણો આ પ્રમાણે છે.
  • તાલીમાર્થીઓ બજારું વાચન સામગ્રીના ઉપયોગથી ટેવાયેલ હોય.
  • તાલીમાર્થીઓમાં વાચન ટેવનો અભાવ હોય.
  • તાલીમાર્થીઓને વાચન માટે પ્રોત્સાહન ન મળતું હોય.
  • તાલીમાર્થીઓને વાચન માટે ઘરે વાતાવરણ ન હોય.
  • તાલીમાર્થીઓને શિક્ષકો દ્રારા પ્રોત્સાહિત કરવામાં ન આવતા હોય.
  • તાલીમાર્થીઓ માત્ર પરીક્ષાલક્ષી વાચનથી ટેવાયેલો હોય.
  • તાલીમાર્થીઓ પુસ્તકાલયથી પૂરતા માહિતગાર ન હોય.
  • તાલીમાર્થીઓ પુસ્તકાલયની ઉપયોગ વિઘીથી પરિચિત ન હોય.

પ્રયોગકાર્યની રૂપરેખા અને અમલીકરણ


ક્રમ
સમય પ્રયુક્તિ સાઘન મૂલ્યાંકન સુધારકાર્ય
1 જૂન Library Orientation ગ્રંથપાલ દ્રારા અવલોકન મુલાકાત પુસ્તકોથી પરિચિત કાર્ય
2 સપ્તાહમાં એક વખત Counseling પુસ્તકો વાચન નોંધ વિવિધ પ્રકારમાં પુસ્તકોનું વાચન કરતાં થાય.
3 બે મહીને એક વખત પદ્ધતિના તાસમાં ચર્ચા વિચારોની જાણ થવી. તાલીમાર્થીઓ પુસ્તકોનું ઝીણવટપૂર્વક વાcન કરતા થયા.

 

મૂલ્યાંકનો
  • તાલીમાર્થીઓ સંદર્ભ પુસ્તકોનો ઉપયોગ નહિવત કરે છે, તે સમસ્યાને ધ્યાનમાં લઇને તેમને પુસ્તકાલયથી માહીતગાર કરવામાં આવ્યા. તેમજ ઉપયોગથી પ્રવિધિ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું.
  • તાલીમાર્થીઓ Library Orientation દ્રારા વિવિધ પ્રકારમાં અભ્યાસકીય અને રસના ક્ષેત્રના સંદર્ભના વિવિધ પુસ્તકોથી માહીતગાર થયા.
  • Counseling દરમ્યાન તાલીમાર્થીઓ પુસ્તક ક્યારે, કેવા પ્રકારના પુસ્તકો લે છે તેનું અવલોકન કરવામાં આવ્યું.
  • પદ્ધતિના તાસમાં વાચેલ પુસ્તકોની ચર્ચા કરવામાં આવી.
  • Book Review આધારે તલ સ્પર્શી જ્ઞાન મેળવે. ઉપરાંત તેઓ Practical teaching દરમ્યાન સંદર્ભ તરીકે પણ તેનો ઉપયોગ કરતા થાય તે જોવામાં આવ્યું.
તારણો

સમસ્યાના સંદર્ભ ઉપચારાત્મક કાર્ય કરતા નીચે પ્રમાણેના તારણો જોવા મળ્યા.
  • તાલીમાર્થીઓ રસના ક્ષેત્રો મોટાભાગે રમતગમતના તેમજ બી.એડ્.ની પદ્ધતિઓ જાણવા માટેના મળ્યા.
  • દર સોમવારે તાલીમાર્થીઓ નવા સંદર્ભ ( પુસ્તક ) લે છે અને વર્ષના અંતે ઓછામાં ઓછા 25 થી 50 તે તેથી વધુ પાનના એવા 25 પુસ્તકોનો ઉપયોગ કરે છે.
  • વર્ષના અંતે વાચન ટેવનો વિકાસ જોવા મળ્યો.
  • પ્રેક્ટિસ ટીચિંગ દરમ્યાન તાલીમાર્થીઓ શાળાના વિદ્યાર્થીઓને પણ પુસ્તકના સંદર્ભોની માહિતગાર થયા.
  • શાળાના વિદ્યાર્થીઓને પણ વાચન ટેવનો વિકાસ કરવા માટે પ્રેક્ટિસ ટિચિંગ દરમ્યાન તાલીમાર્થીઓએ પ્રોત્સાહિત કર્યા.
સૂચનો

પ્રસ્તુત ક્રિયાત્મક સંશોઘનના તારણઓને આઘારે નીચેના સૂચનો કરી શકાય.
  • તાલીમાર્થીઓ અભ્યાસપૂર્ણ થયા પછી પણ લાયબ્રેરી સાથે જોડાયેલ રહે અને વાચન દ્રારા પોતાનો વિકાસ કરતા રહે તેવા પગલા લેવા જોઈએ.
  • અધ્યાપકોએ જ્યારે પણ તાલીમાર્થીઓને મળે ત્યારે વાચનની ગતિવિધિની ચર્ચા કરવી જોઇએ.
  • સંદર્ભ પુસ્તકોનો ઉપયોગ સતત કરવામાં આવે તેવું આયોજન કરવું જોઈએ.
સમાપન

અભ્યાસને આધારે એવું કહી શકાય કે તાલીમાર્થીઓના જીવનમાં સંદર્ભ પુસ્તકોના વાચનનું અનેરું મહત્વ રહેલું છે. ઘણા સફળ માણસોએ એમની મુલાકાતમાં એવું જણાવ્યું છે કે કોઇ વિશિષ્ટ પુસ્તકના વાચને વિચારોમાં પરિવર્તન આણ્યું હોય અને તેમનું જીવન બદલાઈ ગયું હોય.

સંદર્ભ::

  1. શાહ દીપિકા બી. “શૈક્ષણિક સંશોધન” યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, અમદાવાદ.

*************************************************** 

ડૉ. અભિપ્સાબેન યાજ્ઞિક
ઈ.ચા. આચાર્યા,
આણંદ કૉલેજ ઑફ એજ્યુકેશન,
આણંદ.
Email: abhipsa.yagnik@gmail.com
(M) 9824683793.

Previousindexnext
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel
Home  |  Archive  |  Advisory Committee  |  Contact us