logo

“ संस्कृत- સૌરભ ”

પ્રસ્તાવના:-

संस्कृत શબ્દ सम् + कृ ધાતુમાંથી નિષ્પન્ન થયેલો છે. જેનો અર્થ સંસ્કારેલી,સુધારેલી ભાષા એવો થાય છે.સંસ્કૃત ભાષા માટે ઘણાં બધા પર્યાયો વપરાયેલા છે.ઉદાહરણ તરીકે-દેવભાષા,ભારત-ભારતી,ભારતી વિદ્યા,અમરવાણી,ગિર્વાણ ગિરા,વેદવાણી,ભગવદ્ભાષા વગેરે.આ પ્રત્યેક પર્યાય શબ્દો તેનાં ચોક્કસ અર્થમાં પ્રયોજાયેલાં છે.જેમકે સંસ્કૃતભાષાને “દેવભાષા” કહી છે ,તેનું કારણ दिव् ધાતુ ચોથો ગણ-પ્રકાશવું ઉપરથી देव શબ્દ બનેલો છે.જેનો ધ્વન્યાર્થ થાય છે-જ્ઞાનનાં પ્રકાશથી પ્રકાશમાન દેવોની ભાષા. ભગવદ્ભાષા. भगवद्भाषा અર્થાત ભગવાનની ભાષા,ભગવાન પાસેથી મળેલી ભાષા.દર્શનશાસ્ત્રમાં भगवान् શબ્દનો અર્થ-‘भग’ એટલે ષડ્ગુણ-જ્ઞાન,ઐશ્ર્વર્ય,શક્તિ,બલ,વીર્ય અને તેજથી જે યુક્ત છે તે. આવા ભગવાન પાસેથી મળેલી ભાષા તે દેવભાષા.મહર્ષિ પાણિનિ મુનિનાં વ્યાકરણનાં મૂલાધાર રૂપ ચૌદ माहेश्वराणि सूत्राणि છે.આ સૂત્રો माहेश्वराद् आगतानि । “મહેશ્વર શંકર પાસેથી પ્રાપ્ત થયેલાં છે.”પરંપરાગત રીતે એવું મનાય છે, કે ભગવાન શંકરે તાંડવ નૃત્ય કર્યા પછી ચૌદવાર પોતાનું ડમરું વગાડ્યું હતું, આ ડમરુંના ધ્વનિમાંથી આપણને સંસ્કૃત ભાષાનાં મૂલાધાર રૂપ अइउण् ।ऋऌक् । एओઙ ।- - - - - -हल् । સુધીનાં માહેશશ્વર સૂત્રો મળ્યાં છે(1)

नृतावसाने नटराजराजो, ननाद ढककां नवपश्चवारम् ।
उद्धर्तुकामः सनकादिसिद्धान्, एतद्विमर्शै शिवसूत्रजालम् ।।

આમ સંસ્કૃત ભાષા ,એ માનવને પ્રભુ કૃપાથી મળેલી અલૌકિક ભાષા છે. સ્વયં “પૂણબ્રહ્મ” પાસેથી મળેલી,સંસ્કૃત ભાષા પણ સ્વયં પૂણ જ છે. સૂક્ષ્મ દ્રષ્ટિથી,હ્ર્દય પૂર્વક સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરનાર વયક્તિનું મન આનંદથી ડોલી ઉઠે છે. સરળભાષા સંસ્કૃત:- સંસ્કૃતભાષા એકદમ સરળ અને પ્રાસાદિક છે.ઉદાહરણ-श्रीमद् भगवद् गीताનાં શ્લોકો-ભગવાને એવી પ્રાસાદિક શૈલીમાં રજુ કર્યા છે કે, તેનો અર્થ ખબર ન પડે તો પણ ગાવામાં આનંદ મળે છે.જેમકે-स्थितप़ज्ञस्य का भाषा समाधिस्थस्य केशव ।,सर्वधर्मान्परित्ज्य मामेकं शरणं व्रज । આવું જ ઋષિ-મુનિઓ,આચાર્યોની સંસ્કૃતભાષાનું છે.ભાષ્યગ્રંથો-સ્તોત્રોમાં રહેલી,.તત્ત્વજ્ઞાનથી ખિચોખીચ ભરેલી, આદ્ય શંકરાચાર્યની સંસ્કૃતભાષા-અર્થ ખબર ન પડે તો પણ,તેની પ્રાસાદિક શૈલીને કારણે વાંચવામાં અનેરો આનંદ મળે છે.મહર્ષિ પતંજલિ મુનિનાં व्याकरणमहाभाष्यम् માં અર્થ ખબર ન પડે તો પણ-कस्तर्हि शब्दः । એ વાંચવામાં મનને આનંદ મળે છે. આમ સંસ્કૃતભાષામાં પ્રયોજાયેલા પદલાલિત્યને જોઈને ભાષાવિદોનાં મન પણ ડોલી ઉઠે છે. આવી પ્રાસાદિક હોવા છંતા,સંસ્કૃતભાષા ઉચ્ચારણ કરવામાં અને અર્થાવબોધમાં કઠિન છે,એ પ્રકારનો ડર સામાન્ય લોકોનાં માનસમાં પ્રવેશી ગયેલો છે તેને નિર્મૂળ કરવાની ખૂબ જરૂર છે.

જનસાધારણની ભાષા સંસ્કૃત:-

ભૂતકાળમાં ભારતવર્ષમાં સંસ્કૃતભાષા જનસાધારણની બોલચાલની,જીવંત ભાષા હતી.બ્રાહ્મણગ્રંથો,આરણ્યકો,ઉપનિષદો વગેરેનાં અતિપ્રાચીન ગદ્ય લખાણોમાં બોલચાલનાં લહેકા,લઢણો જોવા મળે છે.પાણિનિ મુનિની અષ્ટાધ્યાયીમાં એવા કેટલાક સૂત્રો છે,જે બોલાતી ભાષાને જ લાગુ પડી શકે,નહિતર એમનો અર્થ કરવો મુશ્કેલ બની જાય તેમ છે.વળી ‘भाषा’બોલાતી જ હોય,કેમકે એનો સાદોને, સાચો અર્થ-“ બોલાતી વાણી “ જ છે.એ સુવિદિત છે કે પાણિનિમુનિએ ‘अष्टाध्यायी’માં સંસ્કૃત માટે ‘ભાષા’ શબ્દનો પ્રયોગ કરેલો છે.

ઈ.સ.૭મી સદીમાં ભારત આવેલા ચીની યાત્રાળુ હ્યુ-એન ત્સંગ કહે છે-કે વાદ-વિવાદોમાં અધિકૃત રીતે વપરાતી ભાષા સંસ્કૃત હતી,કોઈ પ્રાદેશિક ભાષા નહીં.સંસ્કૃતભાષા જનસાધારણની-બોલચાલની ભાષા હતી,તેનો નક્ક્રર પુરાવો વાલ્મીકિરામાયણમાં હનુમાનજીનાં મુખેથી મળે છે.અહિયાં આ પ્રાચીન દેવભાષા માટે “ संस्कृत “ એવો પહેલ વહેલો શબ્દ પ્રયોગ મળે છે.અશોકવાટિકામાં સીતામાતા આગળ કઈ ભાષામાં વાત કરવી એની મૂંઝવણ હનુમાનજીને થઈ છે.

अहंह्यतितनुश्चैव वानरश्च विशेषतः ।
वाचं चोदाहरिष्यामि मानुषीमिह संस्कृताम् ।। (वा.रा.सुन्दरकाण्डम्-२८-१७)

આમ હનુમાનજીએ નક્કી કર્યું છે કે-मानुषीम् इह संस्कृताम् । મનુષ્યોની ભાષા-સંસ્કૃતમાં બોલીશ.એટલે કે જન-સાધારણ લોકો સંસ્કૃતભાષા બોલતા હતાં,એમ હનુમાનજીની વાત ઉપરથી સિદ્ધ થાય છે.ઉપરનું ઉદાહરણ બહું જ પ્રાચીન છે.તેનાથી પ્રમાણમાં અર્વાચીન ઈ.સંની ૯મી સદીનું ઉદાહરણ જોઈ એ-આદ્ય શંકરાચાર્ય માહિષ્મતી નગરીમાં મંડનમિશ્રને મળવા ગયાં છે.તેમણે પાણી ભરવા જતી પનિહારીઓને મંડનમિશ્રનાં ઘરનું સરનામું પૂછ્યું છે,ત્યારે ગામડાંની આ પનિહારી બહેનોએ,આદ્ય શંકરાચાર્યને દેવભાષા-સંસ્કૃતમાં, મંડનમિશ્રનાં ઘરનું સરનામું આપતા આ મુજબ કહે છે.

स्वतः प्रमाणं परतः प्रमाणं कीराઙगना यत्र गिरं गिरन्ति ।
वाचं चोदाहरिष्यामि मानुषीमिह संस्कृताम् ।। (वा.रा.सुन्दरकाण्डम्-२८-१७)

માધવાચાર્ય-‘શંકરદિદ્વિજય’માં આ વાત નોંધે છે.એક સર્વેક્ષણ અનુસાર ૪૮-હજાર લોકોની માતૃભાષા દેવભાષા છે અને ૩૫ હજારથી વધારે લોકો સંસ્કૃતભાષા જાણે છે.[2])

સંસ્કૃત ભાષાનું મહત્ત્વ:-

સંસ્કૃત ભાષાએ માત્ર ભારતની જ નહીં પરંતુ વિશ્વની તમામ ભાષાઓની આદ્ય જનની છે.એવો ભાષાવિદોનો મત છે.મેકડોનલ કહે છે કે ઈંડો-યુરોપિયન ભાષાકુળની અતિ પ્રાચીન,અતિવિશિષ્ટ અને અને અત્યંત મૂલ્યવાન ભાષાસામગ્રી સંસ્કૃત ભાષામાં મોજૂદ છે. દુનિયાની ભાષાઓમાં સંસ્કૃતભાષાનું વ્યાકરણ સર્વશ્રેષ્ઠ છે. આ વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયેલી વાત છે.’मुनित्रयी’એ[3] સંસ્કૃત ભાષાનું કાયમી સ્વરૂપ ઘડી આપ્યું છે.સંસ્કૃતભાષાનાં સ્વરૂપની પરિપૂર્ણતા અને તેમાં રચાયેલા સાહિત્યની વિપુલ સમૃદ્ધિથી અત્યંત પ્રભાવિત થયેલા વિલિયમ જોંસ કહે છે કે “સંસ્કૃતભાષાનું સ્વરૂપ અદ્ભુત છે,એ,ગ્રીકભાષા કરતા વધારે પરિપૂર્ણ,લેટિનભાષા કરતાં વધારે વિપુલ શબ્દ ભંડોળવાળી અને ભવ્ય રીતે પરિષ્કૃત છે.આર્યજાતિની ધાર્મિક,સામાજિક,પૌરાણિક અને સાંસ્કૃતિક સઘળી પરંપરાઓનું પગેરું સંસ્કૃત સાહિત્યમાં કાઢી શકાય તેમ છે.ભાષા,ધર્મ અને પુરાણકથાનાં તુલનાત્મક અભ્યાસનો આધાર સંસ્કૃત ભાષા છે. સૌષ્ઠવ,સરલતા અને મધુરતામાં સંસ્કૃતભાષા સર્વશ્રેષ્ઠ છે. સંસ્કૃતભાષા જેવી વૈજ્ઞાનિક લિપિ બીજીભાષાઓમાં જોવા નથી મળતી.વળી સંસ્કૃતભાષાની એ વિશેષતા છે કે તેમાં જેવું લખાય છે,તેવું જ વંચાય છે. કંઠ,તાલુ,મૂધા વગેરે ધ્વનિ સ્થાનોની જે વિશેષતા સંસ્કૃતભાષામાં છે,તે બીજીભાષાઓમાં નથી. સંસ્કૃતભાષા જેવો શબ્દકોશ બીજીભાષાઓમાં નથી.ઉદાહરણ-અંગ્રેજીભાષામાં સૂર્ય માટે એકજ શબ્દ -Sun,ચન્દ્ર માટે-Moon છે.પરંતુ સંસ્કૃતભાષામાં સૂર્ય માટે-मित्र,रवि,भानु,खग,पूषन्,अर्क,भास्कर વગેરે અનેક પર્યાયો છે

સંસ્કૃતભાષામાં ભારતવર્ષનું પ્રાચીન સાહિત્ય-વૈદિક વાઙગમય –સંહિતાઓ,બ્રાહ્મણગ્રંથો,આરણ્યકો,ઉપનિષદો,સ્મૃતિગ્રંથો,ઈતિહાસ ગ્રંથો,રામાયણ,મહાભારત,પુરાણો વગેરેરચાયેલું છે.આ ઉપરાંત-ભાસ,કાલિદાસ,ભર્તૃહરિ,ભારવિ,ભવભૂતિ,શ્રીહર્ષ,માઘ,જગન્નાથવગેરે જેવાં અનેક કવિઓએ સંસ્કૃતભાષામાં વિપુલ સાહિત્ય સર્જન કરીને સંસ્કૃતભાષાને છેલ્લામાં છેલ્લા માનવ સુધી લઈ જવાનો ભગીરથ પ્રયત્ન કર્યો છે.સંસ્કૃતભાષાનાં પ્રાચીન સાહિત્યે,પશ્ચિમનાં અનેક સમર્થ સર્જકો અને ચિંતકો ઉપર પ્રભાવ પાડ્યો છે.ખાસ કરીને જર્મન સાહિત્ય અને દર્શનશાસ્ત્ર ઉપર ૧૯મી સદીથીજ સંસ્કૃત સાહિત્ય તથા દાર્શનિક વિચારધારાની અસર થયેલી છે.એવું ભારતીય વિદ્યાનાં પ્રખર ઉપાસક જર્મન વિદ્વાન વિંટરનિત્સ કહે છે.જર્મનીની બર્લિન યુનિવર્સિટીએ તમામ સંસ્કૃતગ્રંથોનો અનુવાદ કરવાનું ભગીરથ કાર્ય ઉપાડ્યું છે.જો કે શ્રીહર્ષનાં-વેદાંતનાં ગહન સિદ્ધાંતોથી ભરેલા’खण्डनखण्डखाद्य ‘ગ્રંથનો અનુવાદ કરવાનું તેને પડતું મૂકવું પડ્યું છે,કારણ કે તે ગ્રંથને સમજી શકે તેવો કોઈ વિદ્વાન ઉપલબ્ધ નથી. ડૉ.અમૃત મ.ઉપાધ્યાય કહે છે કે-“સંસ્કૃત વાઙગમયમાં રાષ્ટ્રની એટલી અમૂલ્ય સંપત્તિ ભરેલી પડી છે કે –ભાષા,સાહિત્ય,ધર્મ,સંસ્કૃતિનો કોઈ અભ્યાસી કે શોધક એની ઉપેક્ષા કરેજ નહીં.

આજે સામાન્ય લોકોમાં સંસ્કૃતભાષા ને લઈ જવાની વાત તો દૂર રહી,પરંતુ આજની આપણી યુવાપેઢીને સંસ્કૃતભાષાનાં અભ્યાસમાંથી વિમુખ કરવાનાં પ્રયત્નો થઈ રહ્યાં છે.સંસ્કૃત વિષય ભણવાથી શું ફાયદો ? સંસ્કૃતને {Market Values}બજારમાં કિંમત નથી.આવી દલીલો કરવામાં આવે છે. આવા વિતંડાવાદીઓને કહેવું પડશે કે, બજારમાં કિંમત ગણિકાને હોય,માતાને નહીં. સંસ્કૃતએ માતાનાં સ્થાને છે.સંસ્કૃતનો અભ્યાસ-निष्कारणेन षडाઙगो वेदोઽध्येय ज्ञेयश्चेति । થવો જોઈએ.

સંસ્કૃતભાષાથી વિમુખ થવાનાં દુષ્પરિણામો આજે સમાજમાં ઘર-ઘરમાં જોવા મળી રહ્યાં છે.પતિ-પત્નીનાં સંબંધો અભેદ્ય રહ્યાં નથી,પિતા-પુત્રનાં સંબંધમાંથી સ્નેહ સૂકાઈ રહ્યોં છે,ઘર-ઘરમાં વૃદ્ધોની સ્થિતિ દયાજનક બની છે,વૃદ્ધાશ્રમો વધી રહ્યાં છે.બધાં જ પ્રકારનાં સંબંધો સ્વાર્થપરાયણ થઈ રહ્યાં છે.આજનાં સમાજનું આવું દારુણચિત્ર, પ્રત્યક્ષ જોવા છંતા,આપણી આંખો ઉઘડતી નથી,આ કેટલા દુ:ખની વાત છે. આપણી યુનિવર્સિટીઓ પણ,સ્નાતક કક્ષામાં જે ફરજિયાત વિષય તરીકે સંસ્કૃતને શીખવવામાં આવે છે,તેને દૂર કરીને ઉર્દુ,પ્રાકૃત વગેરેને દાખલ કરવાની વિચારણા કરી રહી છે.અન્યભાષાઓ શીખવે તેનો વિરોધ નથી,પરંતુ સંસ્કૃતનાં ભોગે તો નહીં જ.આની પાછળની મલીન માનસિકતા આપણે બરબર સમજી લેવી જોઈએ.ભારત બહારના લોકો ઈચ્છે છે કે હિન્દુસ્તાનમાંથી સંસ્કૃતભાષા નેસ્તનાબૂદ થઈ જાય,કારણ કે એ લોકોને બરાબર ખબર છે કે સંસ્કૃત ભાષા,અભ્યાસનાં ક્ષેત્રમાંથી દૂર થઈ જશે તો,ભારતીયોમાં તેજસ્વીતા,ખુમારી,સ્વાભિમાન,રાષ્ટ્રાભિમાન વગેરે ગુણો આવશે નહીં. પછી સાવ બકરા જેવા થયેલાં ભારતીયો ઉપર જેમ ઈચ્છે તેમ હકૂમત ચલાવી શકાય.સ્વાધ્યાય કાર્યનાં પ્રણેતા - પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજી આત્મસ્મૃતિ માટે વેદાંતનું આ દ્રષ્ટાંત આપતા કહે છે કે-એક સિંહનુ બચ્ચું પોતાની માઁથી જુદુ પડી બકરાના ટોળામા ભળી ગયું અને બકરાનાં બચ્ચાની જેમ બેં-બેં કરવા લાગ્યું.બકરાનાં ટોળામાં જ તે નાનાનું મોટું થવા લાગ્યું.એક દિવસ જંગલમાં બધાં બકરા ચરી રહ્યાં હતાં,ત્યાં જ એક સિંહે તેમની ઉપર હુમલો કર્યો,તેથી બધાં બકરા ભાગવા લાગ્યાં.બધાને ભાગતા જોઈને પેલું સિંહનું બચ્ચુંપણ ભાગવા લાગ્યું સિંહે તેને જોઈ લીધું કે આ તો મારી જાતિનો છે,છંતા ભાગે છે ! સિંહે દોડીને તેને પકડી લીધું,તો સિંહનું બચ્ચુ બેં બેં કરવા લાગ્યું,અને કહે છે કે મને છોડીદો.સિંહ કહે બંધ કર આ બેં બેં.લું બકરાનું બચ્ચું નથી, પણ સિંહનું સંતાન છે. પેલું બચ્ચં કહે ના, મારી માસી બકરરી,મામા બકરા,ભાઈઓ બકરા છે,તો હું પણ બકરું જ છું.સિંહ કહે-ચાલ હું તને બતાવું કે તું બકરું નથી પણ સિંહ છે.પછી સિંહ તેને એક કૂવા પાસે લઈ ગયો અને કૂવામાં તેને,તેનું મુખ બતાવ્યુ અને કહ્યું કે જો તું પણ મારા જેવો જ છે ને ! તું બેં બેં છોડ અને મારી જેમ ત્રાડ પાડી,ગર્જના કર. સિંહે તેવી ગર્જના કરી દેખાડી,તો પેલા સિંહનાં બચ્ચાને આત્મસ્મૃતિ આવી ગઈ અને તેણે પણ ત્રાડપાડી,ગર્જના કરી.

આજે આપણે પણ દેવભાષા સંસ્કૃતથી અળગા રહેવાને કારણે પોતાની આત્મસ્મૃતિ ખોઈ બેઠેલાં છીએ,તેને પુન:પ્રાપ્ત કરવા માઁ-સંસ્કૃતનાં શરણે ગયાં વગર છૂટકો નથી.આદ્ય શંકરાચાર્ય, માઁ-સંસ્કૃતનાં શરણે ગયા હતાં તેથી જ તેમણે ગર્જના કરી-‘अहं ब्रह्मास्मि ।‘,ब्रहम सत्यं जगन्मिथ्या,जीवो ब्रह्मै नापरः|
સંસ્કૃતભાષામાં સ્ત્રીઓનું સ્થાન:-ભારતીય સંસ્કૃતિની સ્ત્રીઓ તેજ પૂજક અને વીરપૂજક છે.આવી મહિલાઓનો આદર જાળવવાનો આગ્રહ ભારતીય સંસ્કૃતિએ રાખ્યોં છે.મનુભગવાને તો કહ્યું છે કે-यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः । (મનુસ્મૃતિ)મહર્ષિ વેદવ્યાસ પણ આર્યનારી માટે કહે છે કે-न गृहं गृहमित्याहुर्गृहिणी गृहमुच्यते । (મ.ભા.શાંતિપર્વ-૧૪૪-૬૬) આ ઉપરાંત સંસ્કૃત વૈદિક રાષ્ટ્રિય પ્રાર્થનામાં માંગણી કરતા કહેવામાં આવ્યું છે કે આ દેશમાં “पुरन्ध्रीः “નગર રક્ષા કરી શકે એવી વીરાંગનાઓ ઉત્પન્ન થાઓ.આમ સંસ્કૃત વાઙગમયમાં ભારતીય આર્યનારીને વિશેષ સ્થાન પ્રાપ્ત થયેલું .

સાંપ્રતકાળમાં સંસ્કૃત-અનુરાગીઓની ફરજ:-

આપણી ભારતીય સંસ્કૃતિનું રક્ષણ કરવું હશે,તો પ્રથમ સંસ્કૃતભાષાનું રક્ષણ કરવું પડશે.સંસ્કૃત અને સંસ્કૃતિ આ બંને એક સિક્કાની બે બાજુઓ જેવી છે.એક-બીજાનાં અભાવમાં બંને અધુરા છે.સંસ્કૃતભાષા માનવમાં ચૈતન્ય પ્રગટાવનારી છે.પરંતુ લોકોથી દૂર રહેવાને કારણે મૃત:પ્રાય બની ન જાય,તે જોવાની પ્રત્યેક ભારતીયની ફરજ છે.જો આજે આપણે સંસ્કૃતભાષાને જીવંત રાખવાનો પ્રામાણિક પ્રયત્ન નહીં કરીએ,તો આવનારી પેઢી આપણને,માફ નહીં કરે તેમજ આપણો અનાદર કરશે. આજે આપણી ભારતીય સંસ્કૃતિને છિન્ન-ભિન્ન કરવાનાં પદ્ધતિસરનાં પ્રયત્નો થઈ રહ્યાં છે.જો આપણે સંસ્કૃત અનુરાગીઓ સજાગ નહીં થઈ એ, તો આવનારા સમયમાં આપણી ભારતીય સંસ્કૃતિનાં ભવ્યચરિત્રો ઉપર કાદવ ઉછાળવાનો પ્રયત્ન થશે-શ્રીરામચન્દ્રને આતંકવાદી તેમજ હનુમાનને ચારિત્ર્યભ્રષ્ટ ચિતરવામાં આવશે,અને આપણાં બાળકો તેને સાચું માનવા લાગશે.તેથી સંસ્કૃતભાષા પ્રેમીઓએ,દેવભાષા ઉપર ખરા હ્રદયનો પ્રેમ કરીને, તેમાં નિરુપિત સત્યવાતોને,તેનાં મૂળ સંસ્કૃત ગ્રંથનાં નિદર્શન સાથે,સામાન્ય લોકો સુધી લઈ જવી પડશે.એથી ભારતીય સંસ્કૃતિને છિન્ન-ભિન્ન કરવાની યોજનાઓ કરનારા,યોજનો દૂર ફેંકાઈ જાય.

આપણે ત્યાંના કેટલાક વિદ્વાનો પણ-यद् साहेबोक्तं तत् प्रमाणम् । માનનારા,પરબનું પાણી પીનારા થયેલાં છે.આવા લોકો આપણી સંસ્કૃતિનાં હિમાલય જેવા ઉત્તુંગ ચરિત્રોને પણ શંકાની નજરે જોતા થયા છે.કારણ કે આજે વિદ્વાનોમાં પણ પ્રચલિત પ્રવાહથી જુદું કહેવાની એક પ્રકારની ફેશન આવી ગઈ છે,બધાં કહેતા હોય તેનાથી જુદુંજ કહીએ તો લોકો આકર્ષાય અને સસ્તામાં સરળતાથી પ્રસિદ્ધિ મળી જાય.આવો તેની પાછળનો આશય હોય છે.આવા કહેવાતા વિદ્વાનોથી આપણી ભારતીય સંસ્કૃતિનું રક્ષણ કરવાની આપણાં બધાંની નૈતિક ફરજ છે.વ્યક્તિ પ્રાણાંતે પણ પોતાની સંસ્કૃતિ,ધર્મને ન છોડે,તેવા વૈચારિક વ્યક્તિઓ તૈયાર કરવાની,અત્યારનાં કાળમાં તાતી જરૂર છે.આપણે આપણી નવી પેઢીમાં ,સંસ્કૃતભાષામાં પડેલા સંસ્કારોનું સિંચન કરવાનું છે.જેથી આવતી કાલનું ભારત ભવ્યરૂપમાં ઉજાગર થાય.ઓછામાં ઓછું યુનિવર્સિટીઓમાંથી ફરજીયાત સંસ્કૃત વિષયને દૂર ન કરવામાં આવે, તે જોવાની આપણા બધાની નૈતિક ફરજ છે. માત્ર ગુજરાતમાં જ નહીં ,હિન્દુસ્તાનની તમામ યુનિવર્સિટીઓમાં દેવભાષાને ફરજીયાત વિષય તરીકે ફરજીયાત શીખવવામાં આવે, એવો કાયદો બનાવવા U.G.C. એ ભારત સરકારને રજૂઆત કરવી જોઈએ. સ્વાધ્યાય પરિવાર દ્વારા સંસ્કૃતભાષા-પ્રસાર:-વર્તમાનકાળમાં દેવભાષાને સમાજનાં છેલ્લામાં છેલ્લાં માણસ સુધી લઈ જવાનું પ્રચંડ કાર્ય, જો કોઈએ કર્યું હોય તો તે પાંડુરંગ શાસ્ત્રીનાં સ્વાધ્યાય પરિવારે કર્યું છે.જે માછીમારોનાં એક હાથમાં માછલી અને બીજા હાથમાં દારૂની બાટલી હતી,તેવા માછીમારો આજે વેદનાં સૂક્તો-पुरुषसूक्त.श्रीसूक्तम्,श्रीमद् भगवद्गीता નાં અધ્યાયોના અધ્યાયો,આચાર્યોનાં સ્તોત્રો કંઠસ્થ બોલતા થયા છે.

આજનાં કાળમાં આ જબરદસ્ત ક્રાંતિ છે. સ્વાધ્યાય પરિવારમાં આ કેવી રીતે શક્ય બન્યું ? શું તેઓને સંસ્કૃત ગોખાવવામાં આવ્યું છે ?આવા પ્રશ્ર્નો પ્રત્યેકને થાય તે સહજ છે.સ્વાધ્યાય પરિવારમાં કોઈનેપણ બળપૂર્વક સંસ્કૃતભાષા ગોખાવવામાં આવી નથી.પૂ.પાંડુરંગ શાસ્ત્રીએ,સંસ્કૃતભાષામાં પડેલા વિશાળ વાઙગમયનું લોકોને દર્શન કરાવ્યું,માનવજીવનમાં તેની આવશ્યક્તા સમજાવી-એનો મહિમા સમજાવ્યો.એટલુંજ નહિ પરંતુ આ આપણો ભવ્ય વારસો છે,એવું સ્વાભિમાન લોકોમાં જાગૃત કર્યું છે.આ રીતે પોતાપણાની ભાવનાં જાગૃત થતાં,કઠિનમાં કઠિન વેદનાં સૂક્તો,આચાર્યોનાં સ્તોત્રો,લોકો કંઠસ્થ કરી ગાવા લાગ્યાં.મહિલાકેન્દ્ર[4]ની અભણ-જેને અક્ષરજ્ઞાન નથી, એવી બહેનો પણ સંસ્કૃત સ્તોત્રો કંઠસ્થ બોલે છે. બાલસંસ્કારકેન્દ્ર[5]નાં બાળકો ત્રિકાળ સંધ્યાનાં શ્લોકો કડકડાટ કંઠસ્થબોલેછે.

પૂ.પાંડુરંગ શાસ્ત્રીજીનું સંપૂર્ણ સ્વાધ્યાય કાર્ય’ श्रीमद् भगवद्गीता’ નાં તત્ત્વજ્ઞાન ઉપર આધારિત છે.તેઓએ પ્રત્યક્ષ રીતે ક્યારેય,ગીતાનાં શ્લોકો કંઠસ્થ કરવા કહ્યું નથી.તેમણે પોતાનાં પ્રવચનોમાં श्रीमद् भगवद्गीता ની માનવ જીવનમાં, એક માર્ગદર્શક-દીવાદાંડી જેવી આવશ્યકતા,ભારપૂર્વક બતાવી છે.પરિણામે સંસ્કૃતભાષા નહીં જાણતા સામાન્ય લોકોને પણ “ગીતા “પ્રત્યે પ્રેમ નિર્માણ થયો.પૂ.પાંડુરંગ શાસ્ત્રીજી કહેતા કે ‘ગીતા’ મને સૌથી વધુ ગમે છે,તેનું કારણ ‘ગીતા’એ મારા પ્રભુનો એઠવાડ છે.અર્થાત પાંચ હજાર વર્ષો પહેલા ભગવાનનાં મુખારવિંદમાંથી જે શ્લોકો ગવાયા હતાં,ઉદાહરણ તરીકે- सर्वधर्मान्परित्यज्य मामेकं शरणं व्रज । अहंत्वा सर्व पापेभ्यो मोक्षयिष्यामि मा शुचः ।। વગેરે- તે જ શ્લોકો, આજે આપણે બોલીએ છીએ.આમ લોકોનો ‘ગીતા’ઉપર પ્રેમ ઉત્પન્ન થતાં,તેનાં શ્લોકો અને અધ્યાયો કંઠસ્થ બોલતા થયા છે.ટૂંકમાં સંસ્કૃતભાષામાં જે અમૂલ્ય વાતો પડેલી છે,તેને સામાન્ય લોકોમાં લઈ જવામાં આવે, તો લોકોનો સંસ્કૃતભાષા ઉપર અનુરાગ વધશે જ એમાં શંકાનેકોઈસ્થાનનથી.

સંસ્કૃતભાષા વિશ્વભાષા:-

સંસ્કૃતભાષાએ વિશ્વભાષા છે.માનવ સંસ્કૃતિની પ્રાચીનતમ ભાષા છે.મેકડોનલ કહે છે-“માનવજાતિની ઉત્ક્રાંતિનો અભ્યાસ કરવાનાં સાહિત્ય તરીકે તો સંસ્કૃતભાષા ગ્રીસના સાહિત્ય કરતાયે વધારેચઢીયાતીભાષાછે.

સમગ્ર વિશ્વને એકતા તરફ લઈ જવાનો વિચાર-“यत्र विश्वं भवति एकनीडम् ।“( યજુ.૩૨-૮ ) જ્યાં સમગ્ર વિશ્વ એક માળો બની જાય છે.આવી વિશ્વબંધુત્વની ભાવના, દેવભાષામાં ભારોભાર ભરેલી છે.” वसुधैव कुटुम्बकम् “ની ઉદાત્તભાવના એ સંસ્કૃતભાષાની સંસ્કારિતાનું પરિણામ છે.દેવભાષામાં રચાયેલાં ઉપનિષદ વાઙગમયને ભવ્ય અંજલિ આપતા પશ્ચિમનાં ચિંતક-શોપનહર કહે છે કે-“ ઉપનિષદોના અભ્યાસ જેવો બીજો કોઈ અભ્યાસ લાભપ્રદ અને માનવનું ઊર્ધ્વીકરણ કરનારો નથી.ઉપનિષદોનો અભ્યાસ એ મારા જીવનની શાંતિરૂપ બનેલો છે,એ જ અભ્યાસ મારા મૃત્યુની પણ શાંતિ બનશે.”
આવી રીતે આ અમરવાણી જ સાંસ્કૃતિક ઐક્યની સ્થાપના માટે,સદ્ભાવના,શાંતિ તેમજ વિશ્વબંધુત્વની સ્થાપના માટે સર્વથા યોગ્ય હોવાથી “વિશ્વભાષા” પદવીને યોગ્ય છે.

ઉપસંહાર:-

વિશ્વની ભાષાઓમાં બધી જ રીતે સર્વશ્રેષ્ઠભાષા હોવા છંતા, સંસ્કૃતભાષાનો અનાદર આપણા ભારતદેશમાં જ આજે થઈ રહ્યો છે, એ કેટલી દુ:ખની વાત છે.ખરેખર તો હિબ્રુભાષાની જેમ, આપણો ભારત દેશ આઝાદ થયો તે વખતે જ “દેવભાષા-સંસ્કૃત”ને રાષ્ટ્રભાષા જાહેર કરવાની જરૂર હતી.હિન્દીભાષાને રાષ્ટ્રભાષા જાહેર કરી, તો દક્ષિણ ભારતમાં તેના માટે વિરોધનો સૂર ઊભો થયો,પરંતુ જો સંસ્કૃતભાષાને રાષ્ટ્રભાષા જાહેર કરી હોત, તો, હું નથી માનતો કે હિન્દુસ્તાનનું કોઈપણ પ્રાદેશિક રાજ્ય તેનો વિરોધ કરત,ઉલ્ટાનું પ્રત્યેક પ્રાદેશિક રાજ્ય ગૌરવ લેત કે અમારી પ્રાદેશિકભાષા જેમાંથી ઉતરી આવી છે,તે દેવભાષા-સંસ્કૃત અમારી રાષ્ટ્રભાષા છે.આ રીતે સંસ્કૃતભાષા અખંડભારતની મજબૂતતામાં વધારો કરત,આમ એક પ્રકારની એક સૂત્રાત્મકતા પણ જળવાઈ રહેત.પરંતુ કમનસીબે તે વખતે બંધારણસભામાં સંસ્કૃતભાષાને રાષ્ટ્રભાષા જાહેર કરવાનો પ્રભાવી સૂર ન નીક્ળ્યો.પરંતુ કશો વાંધો નહીં, તેનાથી કંઈ સંસ્કૃતભાષાનું મહત્ત્વ ઓછું થઈ જતું નથી.’જાગ્યા ત્યારથી સવાર’ માનીને આપણે બધા કટિબદ્ધ બનીએ અને આ દેવભાષાને છેલ્લામાંછેલ્લા માનવ સુધી લઈ જઈએ.એના માટે ભગવાન આપણને બધાને શક્તિ,બુદ્ધિ,વૃત્તિ આપે તેવી પ્રાર્થના.અંતે આ લેખ માટે મેં, જે જે વિદ્વાનોનાં ગ્રંથોનો ઉપયોગ કર્યો છે, તેમનાં ઋણનાં સ્વીકાર સાથે, વિરમું છું.

પાદટીપ

  1. ‘સંસ્કૃતિ પૂજન’- પાંડુરંગ શાસ્ત્રીજીનાં પ્રવચનોનું સંકલન,પ્રકાશક-શ્રી વલ્લભદાસ જે.ઝવેરી,સદ્વિચાર દર્શન ટ્રસ્ટ ,વિમલ જ્યોતિ,મુંબઈ.અગ્યારમી આવૃત્તિ-૧૯૯૨, પૃ. ૫૨.
  2. ‘દિવ્ય ભાસ્કર’સમાચાર પત્ર,તા.-૧૯/૦૩/૨૦૦૭, અમદાવાદની આવૃત્તિ,પૃષ્ઠ-૦૬,
  3. સૂત્રાષ્ટાધ્યાયીના રચયિતા પાણિનિમુનિ, વાર્તિકકાર કાત્યાયનમુનિ અને મહાભાષ્યના રચયિતા પતંજલિમુનિ
  4. પાંડુરંગશાસ્ત્રીજી પ્રેરિત સ્વાધ્યાય કાર્યનાં અનેક પ્રયોગોમાનો એક પ્રયોગ કે જેમાં નિશ્ચિત દિવસ, સમય અને સ્થળે,બહેનો સાથે મળીને શ્રીમદ ભગવદ ગીતાનાં વિચારોનું શ્રવણ – મનન કરે છે.
  5. પાંડુરંગશાસ્ત્રીજી પ્રેરિત સ્વાધ્યાય કાર્યનાં અનેક પ્રયોગોમાનો એક પ્રયોગ કે જેમાં નિશ્ચિત દિવસ, સમય અને સ્થળે,બાળકોને શ્રીમદ ભગવદ ગીતા તેમજ ભારતીય સંસ્કૃતિના વિચારો રમતા- રમતા , ગમ્મત સાથે જ્ઞાનની રીતે આપવામાં આવે છે.

સંદર્ભ ગ્રંથ સૂચિ

(1) ‘દિવ્ય ભાસ્કર’સમાચાર પત્ર,તા.-૧૯/૦૩/૨૦૦૭, અમદાવાદની આવૃત્તિ,પૃષ્ઠ-૦૬,
(2) ‘પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ’-લેખક-પ્રા.ડૉ.અમૃત મ. ઉપાધ્યાય,પ્રકાશક:-યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ,ગુજરાત રાજ્ય,દ્વિતીય આવૃતિ-૧૯૯૮
(3) ‘ब्रह्मसूत्रशांकरभाष्यम्-चतुसूत्री-‘અનુવાદક-ડૉ.લક્ષ્નેશ વી.જોષી,પ્રકાશન-પાર્શ્વ પ્રકાશન,અનદાવાદ,પ્રથમ આવૃત્તિ-૧૯૮૯
(4)` बृहद-अनुवादक चन्द्रिका`-ळेखक-चक्रधर नौट्याल `हंस` शास्त्री,प्रकाशक-मोतीलाल बनारसीदास-दिल्ली,वाराणसी मद्रास,पुनर्मुद्रण दिल्ली-1995
(5)’વૈદિક સાહિત્ય અને સંસ્કૃતિ’-લેખક-ડૉ.ગૌતમ વ.પટેલ,પ્રકાશન-યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ,ગુજરત રાજ્ય,દ્વિતીય આવૃત્તિ-૧૯૯૦
(6)’ श्रीमद्वाल्मीकिरामायणे सुन्दरकांडम ` ‘ અનુવાદક-વિજય પંડ્યા,પ્રકાશન-પાર્શ્વ પ્રકાશન,અમદાવાદ.પ્રથમ આવૃત્તિ-૧૯૯૫
(7) ‘સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ’-પ્રોફેસર એ.મેકડોનલ કૃત-ભાષાંતર કર્તા-પ્રા.એમ.પી.દવે,પ્રકાશન-પોપ્યુલર પ્રકાશન સૂરત.દ્વિતીયઆવૃત્તિ-૧૯૯૩-૯૪
(8)`संस्कृत साहित्य का ईतिहास`-लेखक-आचार्य बलदेव उपाध्याय,प्रकाशक-शारदा निकेतन,वाराणसी.दशम संस्करण-2001
(9) ‘સંસ્કૃતિ પૂજન’- પાંડુરંગ શાસ્ત્રીજીનાં પ્રવચનોનું સંકલન,પ્રકાશક-શ્રી વલ્લભદાસ જે.ઝવેરી,સદ્વિચાર દર્શન ટ્રસ્ટ ,વિમલ જ્યોતિ,મુંબઈ.અગ્યારમી આવૃત્તિ-૧૯૯૨
(10) ‘સાંસ્કૃતિક વિચારધારા’-પાંડુરંગ શાસ્ત્રીજીનાં પ્રવચનોનું સંકલન,પ્રકાશક-શ્રી વલ્લભદાસ જે.ઝવેરી,સદ્વિચાર દર્શન,નિર્મલ નિકેતન,મુંબઈ.દશમી આવૃત્તિ-૧૯૯૫

*************************************************** 

પ્રા.મયારામ કે.પટેલ
આસિ.પ્રો.સંસ્કૃત વિભાગ,
સરકારી વિનયન કૉલેજ,સેકટર-૧૫,
ગાંધીનગર.

Previous index next
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |    Powered By : Knowledge Consortium of Gujarat
Home  |   Archive  |   Advisory Committee  |   Contact us