logo

‘શ્રીમદ્ભગવદ્ગીતામાં-મનુષ્યને સાવધાન કરતી- અધઃપતનની અવસ્થાઓ.’



      ’શ્રીમદ્ભગવદ્ગીતા’એ માનવને કેન્ર્દમાં રાખીને કહેવાયેલો જીવનગ઼ંથ છે.ગીતાકારે માનવની સતત ચિંતા-કાળજી કરી છે. માનવ પોતાનાં જીવન વિકાસનાં પથ ઉપરથી ચ્યુત-ભ્રષ્ટ ન થઇ જાય એટલા માટે તેઓ કહે છે કે- ’ मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः । ( गीता-३/२३) હે પાર્થ ! સર્વ મનુષ્યો મારા જ માર્ગનું અનુસરણ કરે છે. આપણી ભારતીય સંસ્કૃતિની દૃઢ માન્યતા છે કે ‘ અવતાર’ એ મનુષ્યજીવનને માર્ગદર્શન કરવા માટે આવે છે. શ્રીકૃષ્ણ માટે તો કહેવાય છે કે- कृष्णस्तु भगवान् स्वयम् । તેથી શ્રીકૃષ્ણ ભગવાને જે જે કર્યુ છે અને જે જે કહ્યું છે તે બધું જ માનવ જીવન માટે માર્ગદર્શક રૂપ જ છે.

      ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’અ.૨,‘સાંખ્યયોગ’માં અંતિમ ભાગમાં ભગવાન પોતાનાં લાડકા દીકરા–‘ સ્થિતપ્રજ્ઞ’ પુરુષનું સુંદર વર્ણન કરે છે, પરંતુ તેમાં વચ્ચે જ સ્થિતપ્રજ્ઞ અવસ્થાને નહીં પામેલાં સર્વ સાધારણ મનુષ્યો, ઇન્દ઼િયોનાં વિષયોમાં કેવી રીતે ફસાય છે અને કેટલી હદે તેમનું અધઃપતન થાય છે, તેનું આબેહુબ દૃશ્ય આપણી સમક્ષ ખડું કર્યુ છે. જે નીચે મુજબ છે.

      ध्यायतो विषयान्पुंसः सऽगस्तेषूपजायते ।
                             सङ्गात्संजायते कामः कामात्क़ोधोऽभिजायते ।। (गीता-२-६२)

      અર્થાત્ વિષયોનું ચિંતન કરનાર પુરુષની તે વિષયોમાં આસક્તિ થઈ જાય છે, આસક્તિથી (તે વિષયોની ) કામના ઉત્પન્ન થાય છે અને કામના ( માં વિધ્ન પડવા ) થી ક્રોધ ઉત્પન્ન થાય છે.

      क्रोधाद्भवति संमोहः संमोहात्स्मृतिविभ्रम ।
                           स्मृतिभ्रशाद्बुद्धिनाशो बुद्धिनाशात्प्रणश्यति ।। ( गीता-२/६३)

      અર્થાત્ ક્રોધથી અવિવેક એટલે મૂઢભાવ ઉત્પન્ન થાય છે,અવિવેકથી સ્મરણશક્તિ ભ્રમિત થઈ જાય છે, સ્મૃતિ ભ્રમિત થઈ જવાથી બુદ્ધિ અર્થાત્ જ્ઞાનશક્તિનો નાશ થઈ જાય છે. (અને) બુદ્ધિનાશ થવાથી (આ પુરુષ ) પોતાના કલ્યાણથી પડી જાય છે.

      કિશોરલાલ ઘ. મશરૂવાળા ઉપર્યુક્ત સંસ્કૃત શ્લોકોનો સમશ્લોકી અનુવાદ નીચે મુજબ આપે છે.

      ‘વિષયોનું રહે ધ્યાન તેમાં આસક્તિ ઊપજે,
          જન્મે આસક્તિથી કામ, કામથી ક્રોધ નીપજે ,
      ક્રોધથી મૂ઼ઢતા આવે, મૂઢતા સ્મૃતિને હરે,
                                            સ્મૃતિલોપે બુદ્ધિનાશ, બુદ્ધિનાશે વિનાશ છે.’(1) ( ગીતાધ્વનિ-૨/૬૨-૬૩)

માનવને સાવધાન ! કરવાનો ભગવાનનો ઉદ્દેશઃ-
     ઉપર્યુક્ત શ્લોકોમાં રજૂ થયેલ માનવની અધઃપતનની અવસ્થાઓ વાંચીને વાચકને અધઃપતન માટે અરેરાટી ઉત્પન્ન થઈ જાય છે. ત્યારે ઓપણને સહજમાં પ્રશ્ન થઈ આવે છે કે ભગવાન પોતાનાં લાડકા દીકરા ‘ સ્થિતપ્રજ્ઞ પુરુષ’નાં વર્ણનમાં મશગુલ હતાં, તેમાં વળી આવું માનવનું દારુણ અધઃપતન ભગવાને કેમ વર્ણવ્યું ?

      આ કેમ ? આ પ્રશ્નનો જવાબ શોધવા માટે આપણે આપણા સોળ સંસ્કારો પૈકીનાં ‘વિવાહ સંસ્કાર’ પ્રત્યે ડોકીયું કરીયે તો આપણને જાણવા મળે છે કે લગ્ન વખતે બ્રાહ્મણ, વર-વધૂને સાવધાન ! કન્યાપધરાવો સાવધાન ! સમયવર્તે સાવધાન ! આમ બ્રાહ્મણ અનેકવાર સાવધાન ! શબ્દ બોલે છે.જો કે લોકોનું તેમાં ધ્યાન જ હોતું નથી,પછી તેનાં અર્થનું જ્ઞાન તો ક્યાંથી હોય !

       એવું કહેવાય છે કે શિવાજીનાં ગુરુ સમર્થસ્વામી રામદાસ લગ્ન મંડપમાં બ્રાહ્મણનો સાવધાન ! સાવધાન ! સાવધાન ! એવા શબ્દો સાંભળીને લગ્ન મંડપમાંથી ભાગી ગયાં હતાં. અને ત્યાર પછી તેઓ આજીવન બ્રહ્મચર્યનું પાલન કરીને જીવ્યા હતાં.

      ગીતાકારનાં હૃદયમાં માનવ માટે કરુણા વહી રહી છે. તેથી જ તેઓ પોતાનાં લાડકા દીકરી ‘સ્થિતપ્રજ્ઞ’ નું વર્ણન કરવાનું ઘડીવાર રોકીને,પોતાનાં સર્વસાધારણ તમામ જીવાત્માઓ માટે, કે જેઓ ઈન્દ્રિયોનાં વિષયોપભોગોમાં સપડાઈને પોતાનું સંપૂર્ણ જીવન તેમાં હોમી દે છે, તે તમામને અંહીયા ભગવાન સાવધાન કરે છે.સમય પહેલાં સાવધાન થયેલ વ્યક્તિ ભયમાંથી બચી શકે છે. ગીતાકારને, આપણને બધાને મોટા ભય- માનવજીવનનાં સર્વનાશમાંથી બચાવવા છે. તેથી તેઓ માનવજીવનનાં અધઃપતનની આ અવસ્થાઓને આટલી સૂક્ષ્મતાથી સમજાવી રહ્યાં છે. ઉદા. રાત્રિનાં સમયે એક વ્યક્તિ પગપાળા એક ગામથી બીજા ગામ જતો હોય, તેને બીજી કોઈ વ્યક્તિ કહે કે રાત્રિનાં સમયે જાવ છો તો સાવધાનીથી જજો.આ રસ્તે ચોર-લૂટારાઓનો ડર રહેલો છે. આવું સાંભળતા જ પેલો પદાતી આખા રસ્તે સંપૂર્ણ સાવધાનીથી ચાલે છે. ટૂંકમાં ભય માણસને સાવધાન રાખે છે.અહીંયા પ્રસ્તુત શ્લોકોમાં પણ ગીતાકાર આપણને ઈન્દ્રિયોનાં વિષયોથી સાવધાન કરી રહ્યાં છે.

      ભગવાન આદ્ય શંકરાચાર્ય પણ કહે છે કે- स्वभावतो विषयविषयाणीन्द्रियाणि , न ब्रह्मविषयाणि । (2) અર્થાત્ સ્વભાવથી જ ઈન્દ્રિયો ઘટ-પટ જેવા (ઈન્દ્રિયોનાં) વિષય બનતાં પદાર્થોને જ વિષય બનાવે છે, પરંતુ ‘બ્રહ્મ’ ને ઈન્દ્રિયો પોતાનો વિષય બનાવતી નથી.પરમાત્માએ ઈન્દ્રિયોને બહાર તરફ જતા માર્ગ વાળી બનાવી છે, તેથી તે બહારનાં જગતનાં પદાર્થોને જ પોતાનો વિષય બનાવે છે. पराश्चिखानि व्यतृणत्स्वयंभूस्तस्मात्पराङ्पश्यति नान्तरात्मन् ।(3) (कठोपनिषद्-२/१/१ ) આ બહારનાં વિષયોનાં સતત ચિંતનથી માણસ અધઃપતનની ઊંડી ખીણમાં કેવી રીતે ફેંકાઈ જાય છે ! તેનું આબેહુબ દૃશ્ય ગીતાકારે ખડું કર્યુ છે. જેને પ્રસ્તુત પેપરમાં અધઃપતનની ્અવસ્થાઓ રૂપે નીચે મુજબ રજૂ કરવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે.

અધઃપતનની અવસ્થાઓઃ- શ્રીમદ્ભગવદ્ગીતા અ.-૨ શ્લોક-૬૨-૬૩માં રજૂ થયેલાં ચરણોને જ અંહીંયા અધઃપતનની અવસ્થાઓ કહીં છે. જે ક્રમાનુંસાર નીચે મુજબ રજૂ થયેલ છે.

(१)ध्यायतो विषयान् पुंसः सङगस्तेषूपजायते । :- વિષયોનું સતત ચિંતન કરનાર વ્યક્તિને તે વિષયો પ્રત્યે આસક્તિ નિર્માણ થાય છે. જે વ્યક્તિ સતત જે વિષયનું ચિંતન કરે તેને તે વિષયમાં ખેંચાણ ઉત્પન્ન થાય છે.અને એકવાર ઈન્દ્રિયોમાં વિષયોનું ખેચાણ ઉત્પન્ન થયું કે પછી વ્યક્તિને તે વિષય સિવાય બીજુ કઈ દેખાતું જ નથી. પછી તેને अग्रेऽपि सा, पृष्ठेऽपिसा....... स्वप्नेऽपिसा । સર્વત્ર તે જ વિષય દેખાય છે. વિષયોનું તીવ્ર ખેંચાણ વ્યક્તિને પોતાના સ્થાનેથી ચ્યુત કરી દે છે. પોતાનાં મૂળ સ્થાનમાંથી ચયુત થવું આ અધઃપતનની શરૂઆતની પ્રથમ અવસ્થા છે. પોતાની ઈન્દ્રિયો અમુક વિષયમાં ખેચાઈ ગઈ છે- આ વસ્તુસ્થિતિનું જ્ઞાન થવું એ આવશ્યક છે. પરંતુ જેની બુદ્ધિ સ્થિર ન થઈ હોય તે વ્યક્તિ આ ક્ષણને જાણી શકતો નથી. સ્થિતપ્રજ્ઞ અવસ્થા મેળવ્યા પછી જ ઈન્દ્રિયોમાં વિકાર ઉત્પન્ન થયાની ક્ષણને જાણી શકાય છે. એમ ગીતાકારને કહેવું અભિપ્રેત છે.

(२) सङगात्सञ्जायते कामः ।:-વિષયો પ્રત્યેની આસક્તિમાંથી તે વિષયોની કામના ઉત્પન્ન થાય છે. આસક્તિ કરતા कामः ભયંકર છે. સંસ્કૃતભાષામાં कामः શબ્દનો અર્થ- इच्छा-मनोभवो कामौ । (4) આમ સંસ્કૃત ભાષામાં कामः શબ્દ ‘ ઈચ્છા માત્ર’ નો વાચક છે.પરંતુ આજે कामः બોલતાં જ લોકો તેનો અર્થ જાતિગત કામ (Sex)એવો જ અર્થ કરે છે,જે યોગ્ય નથી. કોઈ પણ વિષયને મેળવવાની અતિતીવ્ર ઈચ્છા થાય ત્યારે તે કામનું રૂપ ધારણ કરે છે.એમ ગીતાકારનું કહેવું છે. અધઃપતનની આ દ્વિતીય અવસ્થા છે.

(३)कामात्क्रोधोऽभिजायते ।:-કામનાઓ સફળ ન થાય, તેમાં વિધ્ન આવે તો વ્યક્તિમાં ક્રોધ ઉત્પન્ન થાય છે. ક્રોધિત વ્યક્તિ કેવું અઘટિત કાર્ય કરી બેશે, તે કહી ન શકાય ! ક્રોધને પરવશ થઈ ગયેલ વ્યક્તિ ક્રોધાવેશમાં જ સામેની વ્યક્તિનું ખૂન પણ કરી બેસે છે. પરંતુ જ્યારે ક્રોધનું શમન થઈ જાય છે,ત્યારે તે વ્યક્તિને પોતાની ભયંકર ભૂલ સમજાય છે. પરંતુ ત્યારે ખૂબ જ મોડું થઈ ગયું હોય છે. આપણી આવી સ્થિતિ ન થાય તે માટે જ ગીતાકાર અધઃપતનની આ ત્રીજી અવસ્થાનું આપણને દર્શન કરાવે છે.

અધઃપતનની આ ત્રીજી અવસ્થાને વાંચયા પછી પ્રથમ દ્રષ્ટિએ આપણને એમ લાગે છે કે ‘ગીતાકાર’ અધઃપતતનની આ અવસ્થા જણાવીને શું માનવને ડરાવી રહ્યાં છે ?પરંતુ આવું વર્ણન કરીને ગીતાકારનો આશય માનવને ડરાવવાનો નથી.પરંતુ તેને ચેતવવાનો,સાવધાન કરવાનો છે. ભય માણસને સાવધાન રાખે છે. ગીતાકારને માનવની સતત ચિંતા છે. આપણે આ સર્વનાશના અજગર ભરડામાં સપડાઈ એ તે પહેલાં જ તેઓ આપણને તેનાથી બચવવા સાવધાન કરી રહ્યાં છે.

      અહીંયા कामः શબ્દ ઉપલક્ષણના અર્થે પ્રયોજાયો હોય તેવું લાગે છે. પૂ.પાંડુરંગ શાસ્ત્રીજી કહે છે કે- ‘‘ કામ જો પૂરો ન થાય તો ક્રોધ આવે અને પૂરો થાય તો લોભ આવે,તેથી ક્રોધ શબ્દમાં લોભ પણ અભિપ્રેત છે. વેદાન્તની ભાષામાં ક્રોધ અને લોભ એક જ છે. પણ તેમાં ક્રોધી માણસ કરતાં લોભી માણસ વિષેશ ખરાબ છે. કારણ લોભી માણસ તદ્દન શ્રદ્ધા શૂન્ય અને બીકણ હોય છે. તેને પોતાની જાત ઉપર પણ વિશ્વાસ ન હોય અને પ્રભુ ઉપર પણ વિશ્વાસ ન હોય તેથી જ તે લોભી થાય, નહિં તો લોભી થવાનું કારણ શું ?’’(5)

      માનવ જીવનમાં કામ,ક્રોધ, લોભ, મોહ,મદ,મત્સર આ છ ષડ્રિપુઓ કહેલાં છે. જે પ્રત્યેક ઉત્તરોત્તર અતિ ભયંકર છે.પ્રો.વસન્તકુમાર મ.ભટ્ટ કહે છે કે –‘ કામ ,ક્રોધ ,મદ, મોહ,લોભ અનેમત્સર (ઈર્ષ્યા) એ છ ને મનોવૈજ્ઞાનિકોએ સૃષ્ટિના ચાલક બળ કહ્યાં છે, પણ ફિલસુફીના ગ્રન્થોમાં આ છ ને ‘‘ ષડ્ રિપુ’’કહેવામાં આવ્યાં છે. તથા તે છ માય ઉત્તર-ઉત્તરને બળવાન ગણવામાં આવેલ છે !‘ગીતા’ આને કર્મબંધનમાં ફસાવનાર તત્ત્વો કહે છે, અને ‘નરક’નું દ્વાર કહે છે. (6) ગીતાકાર સ્વયં પણ કહે છે કે-

      त्रिविधं नरकस्येदं द्वारं नाळनम् आत्मनः ।
                                  कामः क्रोधस्तथा लोभस्तस्मादेतत् त्रयं त्यजेत् । । ( गीता-૧૬/૨૧)

      અર્થાત્ કામ,ક્રોધ, તથા લોભ આ ત્રણ પ્રકારનાં નરકના દ્વાર ( સર્વ અનર્થોનાં મૂળ) આત્માનો નાશ કરવાવાળા છે. અર્થાત્ અઘોગતિમાં લઈ જનારાં છે.એટલા માટે આ ત્રણેનો ત્યાગ કરવો જોઈએ.

      काम एष क्रोध एष रजोगुण समुद्भवः ।
                             महाशनोमहापाप्मा विद्धयेनमिह वैरिणम् ।। ( गीता-૩/૩૭)

      અર્થાત્ રજોગુણથી ઉત્પન્ન થયેલો આ કામ જ ક્રોધ છે, એ જ મહા અશન એટલે અગ્નિ જેવો ભોગોથી તૃપ્ત ન થનાર અને મહાપાપી છે. એ વિષયમાં તું એને જ વૈરી જાણ.

      પ્રસ્તુત શ્લોકમાં ગીતાકાર विद्धि શબ્દનો પ્રયોગ કરે છે. સંસ્કૃત ભાષામાં विद्धि શબ્દનું વિષેશ મહત્ત્વ છે. જે બાબત સંપૂર્ણ સત્ય હોય ત્યાં જ આ विद्धि શબ્દનો પ્રયોગ થયેલો જોવા મળે છે. તેથી અધઃપતનની આ ત્રીજી અવસ્થા એ અટલ સત્ય જેવી છે.

(४) क्रोधाद् भवति सम्मोहः । :- ક્રોધથી ઘણી –ઘણી મૂઢતા આવે છે. ભાષ્યકાર ભગવાન્ આદ્ય શંકરાચાર્ય કહે છે કે- अथ इदानीं पराभविष्यतः सर्व-अनर्थमूलम्-इदम् उच्यते । (ગીતાભાષ્ય) હવે (ઈન્દ્રિયોથી) પરાજય પામનાર(મનુષ્ય)નાં સર્વ અનર્થોનું મૂળ કહે છે.क्रोधाद्भवति संमोहोऽविवेकः कार्याकार्य विषयः ।ક્રોધથી સંમોહ થાય છે, એટલે કર્તવ્ય અને અકર્તવ્યની બાબતમાં અવિવેક જન્મે છે.क्रुद्धौ हि संमूढः सन्गुरुमप्याक्रोशति ।ગુસ્સે થયેલો માણસ મૂઢ બનીને ગુરુનું પણ અપમાન કરે છે. ( ગમે તેમ બોલે છે,) तावदेव हि पुरुषो यावदंतःकरणं तदीयं कार्याकार्य विषयविवेकयोग्यं तद्-अ योग्यत्वे नष्ट एव पुरुषो भवति । (7) અર્થાત્ વ્યક્તિ ત્યાં સુધી જ મનુષ્ય છે, જ્યાં સુધી એનું અંતઃકરણ કાર્ય અને અકાર્યનો વિવેક કરવામાં ( ભેદ તારવવામાં) યોગ્ય એટલે સમર્થ છે. તેની એ યોગ્યતાનો નાશ થતાં પુરુષ નાશ પામેલો જ છે.

આમ અધઃપતનની આ ચોથી અવસ્થા દ્વારા ભરવાન કહે છે કે-ક્રોધ માણસની વિવેક શક્તિનો નાશ કરીદે છે. તેથી તેનાથી હંમેશા બચીને રહેવું જોઈ એ.

(५) सम्मोहात्स्मृति विभ्रमः । :- મૂઢતાથી સ્મૃતિમાં ભ્રમ ઊભો થાય છે. સમ્મોહનથી પણ સૂક્ષ્મ અવસ્થા स्मृतिविभ्रमःની છે. આ અવસ્થામાં પહોંચી ગયેથી વ્યક્તિની સ્મૃતિ ભ્રાન્તિવાળી થઈ જોય છે. સ્મૃતિવિભ્રમવાળી વ્યક્તિ ને યાદ જ નથી હોતું કે તે કોની સાથે શું ? કરી રહ્યોં છે. અધઃપતનના આ સ્ટેજમાં પહોંચી ગયેલ વ્યક્તિ ત્યાંથી પાછી વળી શકતી નથી. ઉદા. તરીકે કેન્સર તેના ચોથા સ્ટેજ ને વટાવી જાય પછી માણસની બચવાની આશા બિલકુલ રહેતી નથી. અધઃપતનનું આવું સુસૂક્ષ્મ નિરૂપણ કરવા પાછળનો ગીતાકારનો આશય માનવજાત ને તેમાંથી ઉગારી લેવાનો છે.

(६) स्मृतिभ्रंशाद् बुद्धिनाशः । :- સ્મૃતિમાં ભ્રમ ઊભો થવાથી કે સ્મૃતિનો નાશ થવાથી બુદ્ધિ- અર્થાત્ જ્ઞાનશક્તિનો નાશ થઈ જાય છે. અંહીયા ગીતાકાર માનવ મસ્તિશકમાં પ્રવેશ કરતાં જુદા-જુદા ભાવો ઉત્તરોત્તર કેવી સૂક્ષ્માતીસૂક્ષ્મ અવસ્થામાં રૂપાંતરી થઈ જાય છે, તે દર્શાવી રહ્યાં છે. ગીતાકારની દ્રષ્ટિ એ स्मृतिविभ्रमःની સ્થિતિ સુધી પહોંચી ગયેલ વ્યક્તિનું બીજી જ ક્ષણે स्मृतिभ्रंशःની સ્થિતિમાં રૂપાંતર થઈ જાય છે. સ્મૃતિમાં સહેજ વિભ્રમ ઉત્પન્ન થયો કે તરત જ સ્મૃતિભ્રંશની અવસ્થા થઈ જાય છે. ક્રોધના પરિણામ સ્વરૂપ આ સ્મૃતિવિભ્રમના સ્ટેજે પહોંચેલા વ્યક્તિ માટે ત્યાંથી પાછા વળવું અશક્ય હોય છે. આ સૂક્ષ્માતિસૂક્ષ્મ ક્ષણને દર્શાવવા જ ગીતાકારે स्मृतिविभ्रमः પછી स्मृतिविभ्रमात् , स्मृतिभ्रंशःએમ ન કહેતાં સીધું જ स्मृतिभ्रंशात् बुद्धिनाशः કહ્યું છે. અંહીયા આપણને ગીતાકારની અતિ સુસૂક્ષ્મ દ્રષ્ટિનો પરિચય મળે છે.

      बुद्धिनाशः-સામાન્ય રીતે બુદ્ધિનું કાર્ય નિશ્ચય કરવાનું છે.निश्चयात्मिका सा बुद्धिः ।પરંતુ સ્મૃતિ નાશ થવાથી બુદ્ધિ કંઈ જ કરી શકતી નથી. કમ્પ્યુટરની ભાષામાં કહીએ તો CPU બંધ થઈ જાય, પછી Moniter કંઈ જ દર્શાવી શકતું નથી.એના જેવી આ સ્થિતિ છે. કઠોપનિષદમાં મનુષ્ય શરીરને ‘રથ’નું રૂપક આપતા કહ્યું છે કે-

      आत्मानं रथिनं विद्धि शरीरं रथमेव तु ।
                                  बुद्धिं तु सारथिं विद्धि मनः प्रग्रहमेव च । । (कठोपनिषद्- १/३/३)

      અર્થાત્ મનુષ્ય શરારએ રથ છે, ‘ આત્મા ’ એ રથનો (શરીરનો) માલિક છે, બુદ્ધિએ સારથિ છે. અને ‘ મન’ એ લગામ છે. ભાષ્યકાર ભગવાન આદ્ય શંકરાચાર્ય કહે છે કે- बुद्धिं तु अध्यवसायलक्षणां सारथिं विद्धि, बुद्धि नेतृप्रधानत्वाच्छरीरस्य सारथि नेतृप्रधान इव रथः । ‘ निश्चय करना ही जिसका लक्षण है । उस बुद्धिको सारथि जान, क्योंकि सारथिरुप नेता ही जिसमें प्रधान है उस रथ के समान, शरीर बुद्धिरुप नेताकी प्रधानतावाला है । ‘ (8)

      આમ જીવન રથની સારથિ બુદ્ધિ છે. આ સારથિ જ ન રહે, તો પછી રથની ( શરીરની) શું ગતિ થાય ! કયાં ખાડામાં તે પડશે ! તે કંઈ કહી ન શકાય.

(७) बुद्धिनाशात् प्रणश्यति । :- બુદ્ધિનો નાશ થવાથી વ્યક્તિનો સર્વનાશ થાય છે. જેને આપણે સામાન્ય જ ગણીએ છીએ તે ક્રોધ વગેરેનું અંતિમ પરિણામ સર્વનાશ છે. સર્વસામાન્ય માણસો દૈનિક જીવનમાં રોજના અનેકવાર ક્રોધનો ભોગ બનતાં હોય છે.આ દરેક વ્યક્તિઓને ક્રોધવગેરે વિકારોનાં વિકરાળ સ્વરૂપોનો ખ્યાલ આવે અને તેનાથી ચેતી જાય તેવા ઉમદા હેતુથી ગીતાકારે અંહીયા અધઃપતનની અવસ્થઓ દર્શાવી છે.

      ‘ ગીતા’ કહેતી વખતે ગીતાકાર માઁની ભૂમિકાથી કહી રહ્યાં છે.માઁને પોતાનાં દરેક દીકરા ઉપર સમાન પ્રેમ હોય છે. પોતાનાં ફસ્ટક્લાસ દીકરા- સ્થિતપ્રજ્ઞનું વર્ણન કર્યા પછી જગતમાંનાં સર્વસાધારણ તમામ જીવાત્માઓને સાવધાન કરવાનાં હેતુથી જ તેઓ અંહીયા અધઃપતનની અવસ્થાઓ નિરૂપીને દરેક જીવાત્માને Red Signal બતાવી રહ્યાં છે. જેથી કરીને આપત્તિ આવતાં પહેલાં જ માણસ તેનાથી સાવધાન થઈ જાય. જોકે વિષયોની આસક્તિથી ઉત્તરોત્તર સર્વનાશ સુધીની સ્થિતિ અતિ સૂક્ષ્મ છે.સર્વસાધારણ વ્યક્તિની સમજમાં ન આવે તેવી છે. જો માનવ આ સૂક્ષ્મ વિકારોને ઓળખી જશે તો તેનું જીવન સર્વનાશમાંથી ઉગરી જશે, અને ગીતાકારનો પ્રયત્ન સાર્થક થશે. એવી મને દૃઢ શ્રદ્ધા છે .

त्वदीय वस्तु तुभ्यमेव समर्पये गोविंद !

પાદ ટીપ

(1) ‘ ગીતા ધ્વનિ’- કિ.ઘ.મશરૂવાળા- નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ-૧૪, એપ્રિલ-૨૦૦૭ ,પૃ.૧૭.
(2) ‘ब्रह्मसूत्र चतुःसूत्री ’ ( શાંકરભાષ્ય- સહિત) ડૉ. લક્ષ્મેશ વી. જોષી, પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ.પ્રથમ આવૃત્તિ-૧૯૮૯, પૃ.-૨૩.
(3)‘ कठोपनिषद्‘- सानुवाद शाङकरभाष्य सहित- गीताप्रेस,गोरखपुर, सं. २०५७, छव्वीसवाँ संस्करण – पृ.९३.
(4) ‘ અમરકોશ’ –અનુવાદક- ડૉ. કેશવરામ કા. શાસ્ત્રી –યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય, અમદાવાદ-૬,દ્વિતીય આવૃત્તિ-
        ૧૯૯૮, પૃ.- ૪૩૪
(5) ‘ गीतामृतम् ’ –શ્રી પાંડુરંગશાસ્ત્રીજી આઠવલેનાં પ્રવચનો, પ્રકાશક- શ્રી વલ્લભદાસ જે. ઝવેરી, ‘ સદ્વિચાર દર્શન ’વિમલ જ્યોતિ,
         મુંબઈ. ચૌદમી આવૃત્તિ, ફેબ્રુઆરી-૧૯૯૫-પૃ.-૬૯.
(6) ‘ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં નિરૂપિત કર્મબંધનમાંથી મુક્તિ અને કર્મબંધનના અભાવની યુક્તિ’ – પ્રકાશક-વસન્તકુમાર મ. ભટ્ટ-
         મે-૨૦૦૪-પૃ.-૨૫.
(7) ‘ श्रीमद् भगवद् गीता ’- (શ્રી શાંકરભાષ્ય સહિત) આદિ શંકરાચાર્ય ગ્રંથાવલી ભાગ-૩, અનુવાદક- ગૌતમ
        પટેલ- સંપાદક-નીલમ પટેલ, પ્રકાશક- સંસ્કૃત સેવા સમિતિ, અમદાવાદ-પ્રથમ આવૃત્તિ- ૨૦૦૪-પૃ.-૩૫.
(8)‘ कठोपनिषद्‘- सानुवाद शाङकरभाष्य सहित- गीताप्रेस,गोरखपुर, सं. २०५७, छव्वीसवाँ संस्करण – पृ.-७६.

સંદર્ભ ગ્રંથ સૂચિ
(૧) ‘ અમરકોશ’ –અનુવાદક- ડૉ. કેશવરામ કા. શાસ્ત્રી –યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય, અમદાવાદ-૬,
        દ્વિતીય આવૃત્તિ- ૧૯૯૮.
(૨) ‘ कठोपनिषद्‘- सानुवाद शाङकरभाष्य सहित- गीताप्रेस,गोरखपुर, सं. २०५७, छव्वीसवाँ संस्करण ।
(૩) ‘ ગીતા ધ્વનિ’- કિ.ઘ.મશરૂવાળા- નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ-૧૪, એપ્રિલ-૨૦૦૭.
(૪) ‘ गीतामृतम् ’ –શ્રી પાંડુરંગશાસ્ત્રીજી આઠવલેનાં પ્રવચનો, પ્રકાશક- શ્રી વલ્લભદાસ જે. ઝવેરી, ‘ સદ્વિચાર દર્શન ’
         વિમલ જ્યોતિ, મુંબઈ. ચૌદમી આવૃત્તિ, ફેબ્રુઆરી-૧૯૯૫.
(૫) ‘ब्रह्मसूत्र चतुःसूत्री ’ ( શાંકરભાષ્ય- સહિત) ડૉ. લક્ષ્મેશ વી. જોષી, પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ.પ્રથમ આવૃત્તિ-૧૯૮૯.
(૬) ‘श्रीमद् भगवद् गीता ’- गीताप्रेस गोरखपुर, सं. २०५०, पाँचवाँ संस्करण ।
(૭) ‘ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં નિરૂપિત કર્મબંધનમાંથી મુક્તિ અને કર્મબંધનના અભાવની યુક્તિ’– પ્રકાશક-વસન્તકુમાર મ. ભટ્ટ-
         મે-૨૦૦૪.
(૮) ‘ श्रीमद् भगवद् गीता ’-(શ્રી શાંકરભાષ્ય સહિત) આદિ શંકરાચાર્ય ગ્રંથાવલી ભાગ-૩, અનુવાદક- ગૌતમ પટેલ- સંપાદક-નીલમ
        પટેલ, પ્રકાશક- સંસ્કૃત સેવા સમિતિ, અમદાવાદ-પ્રથમ આવૃત્તિ- ૨૦૦૪.


*************************************************** 

મયારામ કે. પટેલ
( આસિ.પ્રો., સંસ્કૃત વિભાગ )
સરકારી વિનયન કૉલેજ, સે.-૧૫,ગાંધીનગર.


Previous index next
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |    Powered By : Knowledge Consortium of Gujarat
Home  |   Archive  |   Advisory Committee  |   Contact us