logo

કલિંગ : એક અભ્યાસ

પ્રસ્તાવના :-

ગુજરાતી સાહિત્યમાં એક ખાસિયત રહી છે જે તે યુગ કે સમયમાં જે તે સાહિત્ય સ્વરૂપને આગવી કલા અને સૌષ્ઠવ સાથે વિકસવાની તક મળી છે. સાંપ્રત સમયમાં ગઝલના સ્વરૂપે ઘણો વેગ પકડયો છે. ગઝલને અનેક સ્તરે વિકસવાની તક મળી છે શરાબ, શાકી અને પ્યાલીમાંથી નીકળીને ગુજરાતી ગઝલે આધ્યાત્મ અને ચિંતનના વિશાળ આકાશમાં ઉંચી ઉડાન ભરી છે ને આથી જ તો ગઝલના આ ભવ્ય વિકાસને ધ્યાનમાં લઈને રાજેશ વ્યાસ ‘મિસ્કિન’ અને અંકિત ત્રિવેદી ના તંત્રીપણા હેઠળ ગઝલવિશ્વ નામે ત્રેમાસિક શરું થાય છે. ને વાચકોના મનમાં ને હૈયામાં ગઝલ વસી છે આ સીલસીલાને જોતા ભવિષ્યમાં સામ્પ્રતયુગ ગઝલયુગ તરીકે ઓળખાય તો નવાઈ નહીં.

છેલ્લા દાયકામાં અનેક સર્જકોએ ગઝલ સ્વરૂપ ઉપર પોતાનો હાથ અજમાવ્યો છે ને તેમાંથી આપણને અનેક શ્રેષ્ઠ ગઝલકારો પ્રાપ્ત થયા છે. જેમાંના એક ગઝલસ્વામી અશોકપુરી ગોસ્વામી છે. તેઓ ‘અર્થાત્’ (૧૯૯૦) અને ‘કલિંગ’ (૨૦૦૫) એમ બે ગઝલ સંગ્રહ લઈને પોતાના આગવા મિજાજ સાથે ગઝલ ક્ષેત્રે પ્રવેશ કરે છે ગઝલ પ્રત્યેના પ્રેમ અને ગઝલને જ શસ્ત્ર બનાવીને સામાને પડકારવાની અદા ધ્યાનપાત્ર છે, તેમના પ્રથમ ગઝલ સંગ્રહ ‘અર્થાત્’ માં તેઓ કહે છે કે -

“તને હે ગઝલ , એ રીતે ચાહવું છે
કહે કોઈ બાળક હજી ધાવવું છે.” [૧]

ગઝલ પ્રત્યેનો આ પ્રેમ જ તેમની ગઝલ પ્રત્યેની નિષ્ઠાની ઝાંખી કરાવે છે. આજથી બે હજારેક વર્ષ પૂર્વે અશોક સમ્રાટે કલિંગ જીત્યું ને તે પછી તેમાંના આવેલા પરિવર્તન, તેના મનમાં થયલું મંથન ચિંતન, તેને ધર્મ તરફ વાળે છે તો બીજા એટલે કે આજના અશોકને (અશોકપુરી ગોસ્વામી) પોતાની અંદર થતા મનોમંથન ચિંતન તેમને ગઝલ તરફ વાળે છે. તેઓ પોતે જ આ મનોદશાને વ્યક્ત કરતા તેમના ‘કલિંગ’ ગઝલ સંગ્રહની ગઝલના શેરમાં લખે છે.

“હે ગઝલ ક્યાં કશુંય જીત્યું છે
તોય કલિંગ જેવું વીત્યું છે.” (પૃ.૧૦૫)

તેઓ પોતે પણ પ્રસ્તાવનામાં નોંધે છે - “અહીં પેલા .. અશોક , સમ્રાટ અશોક અને કલિંગની વાત હોવા છતાં તલવાર લઈ કલિંગમાં પ્રવેશતા અને ભિક્ષાપાત્ર લઈ કલિંગની બહાર નીકળતા અશોકને હું મારામાં અનુભવી રહ્યો છું જીવન અંગે જગત પ્રત્યેનું નવું સંઘાન છે.” [૨]

પરંતુ ધ્વનિલ પારેખ નોંધે છે કે -

“અશોકપુરીની ભીતર રહેલા આ બંને અશોકની મનઃ સ્થિતિનું પ્રતિબિંબ ઝિલાતું નથી.”[૩]

પરંતુ અહીં એ નોંધવું ઘટે કે અશોકની મનઃસ્થિતિનું પ્રતિબિંબ કરતા એ મનઃસ્થિતિ દ્વારા પ્રાપ્ત થયેલું પરિણામ કવિને વધારે અભિપ્રેત છે. રાજા અશોક કલિંગના યુદ્ધ પછી ધર્મ અને આધ્યાત્મ તરફ ઢળ્યો એ જ રીતે જીવનરૂપી કલિંગના યુદ્ધ પછી અશોકપુરી ગઝલમાં આધ્યાત્મ તરફ વિશેષ રીતે ઢળ્યા છે.
કવિએ ‘અર્થાત’ ગઝલ સંગ્રહ પછી ‘કલિંગ’ આપ્યો અને કલિંગ માં તેઓ નિરાળા સાબિત થાય છે. એમાં વિષયની વ્યાપકતા સંવેદનની ગહનતા અને અભિવ્યક્તિની તાજપમાં કવિની કાવ્યશક્તિનો કેળવાયેલો કસબ ઉપરાંત વિકાસાત્મક ઉન્મેશ પણ જોઈ શકાય છે. ‘કલિંગ’ ગઝલ સંગ્રહમાં ૧૮૦ ગઝલોને સમાવિષ્ટ કરવામાં આવી છે. અગાઉ નવલકથા અને સ્મરણકથાઓમાં સફળ રીતે હાથ અજમાવ્યા પછી કવિએ નિષ્ઠાપૂર્વક ગઝલને નાણી પ્રમાણી છે. પૂર્વ સૂરિઓના સંસ્કારથી પણ તેઓ સાવ અજાણ્યા નથી રહ્યા.

કવિની કલમ અધ્યાત્મભાવથી ઋજુ છે અને વાણી સંસ્કારી છે, એટલે સામાજિક સાતત્ય ચિંતનના ઘેરા રંગથી રંગાઈને આવે છે. જીવનસંગત વિભીષિકાને શબ્દસ્થ કરતા કવિનો સૂર ઘણીવાર વેદનાગ્રસ્ત ને તેથી વ્યથિત થતો પણ જોવા મળે છે.

કોઈ પણ કવિનો શેર આમ તો લાગણીનો ઉદઘોષક હોય છે. પરંતુ આ કવિમાં વિચારનું પાસુ પ્રબળ છે. એ કોઈ લાગણીને વ્યક્ત કરે છે. ત્યારે ત્યાં પણ લાગણી વિચારની આંગળી પકડીને ચાલતી હોય એવું લાગે છે.
‘કલિંગ’ ગઝલસંગ્રહમાં કવિ કલ્પનનો વિનિયોગ બાબતે ઘણા સભાન જણાય છે. સૂર્ય, અંધકાર દરિયો,નદી, દર્પણ, કવિના પ્રિય કલ્પનો છ. આ કલ્પનો મહદ્અંશે ગઝલના ઉર્જિત ભાવાત્મક વિશ્વના દ્યોતક છે, જેમાં મનુષ્યના સંવેદનો, વિચારો, અને ઉર્મિઓનો તથા આધ્યાત્મના ઉચ્ચ શિખરનો સમાવેશ થાય છે. આ ગઝલસંગ્રહમાં કવિ ચિંતનની સપાટી પર સમાજના પાખંડ દુઃખદર્દ , પ્રણય, શ્રદ્ધા , મહાનતા, સાહસ જેવા વિષયોને સમાવિષ્ટ કરીને સુંદર ગઝલો આપે છે.

‘અર્થાત્’ ગઝલસંગ્રહમાં અશોકપુરીએ ‘કલિંગ’ ગઝલસંગ્રહમાં ગઝલના મહાસાગરમાં તેઓ તર્યા છે, ગઝલના ઊંડાણમાં ઉતરીને ગઝલસિદ્ધિના મોતી લઈને બહાર આવ્યા છે. ‘કલિંગ’ ગઝલસંગ્રહમાં નાનક, મીરાં , નરસિંહ અને કબિર જેવા વ્યક્તિત્ત્વો સુધી તેઓ પહોંચી શકયા છે. અને પ્રમાણમાં ચિતન , મનન અને આધ્યાત્મને તેઓ પામી શક્યા છે. માત્ર મુશાયરાઓ ગજવતી ગઝલોને બદલે ભાવકના ચિંત્તમાં નવું સંવેદન જગાવી જતી ગઝલને તેઓએ ગુજરાતીમાં ભાષાને ચરણે ધરી છે. આ સઘળી વિશેષતાઓને ચકાસવા ‘કલિંગ’ ગઝલ સંગ્રહની ગઝલોની ભીરતમાં પ્રકાશ પાથરીએ.

‘કલિંગ’ ગઝલસંગ્રહની ગઝલોમાં ચિતન તત્વ ઘણું ધ્યાનાકર્ષક છે. ગઝલકાર અશોકપુરીએ ગઝલસંગ્રહને અંતે ગઝલવિષયક ચર્ચા કરી છે તેમાં ચિંતન અને જીવનદર્શન પર વિષેશ ભાર મૂક્યો છે. “જીવન અને જગત વિશેનું એમાં ચિંતન / મનન દર્શન હોય એમાં આધ્યાત્મ અને અને સંતપરંપરાના લક્ષણો જોવા મળે” [૪] ને આ બાબતમાં વિશેષતા કલ્પનોના વિનિયોગ દ્વારા તેને આકર્ષક બનાવવાનો ઉપક્રમ જળવાયો છે. ગઝલમાં ચિંતન એ ગઝલકારના અનુભૂતિવિશ્વનો જ પડઘો છે, જીવાતા જીવનનો નિચોડ છે, અનુભવનું ભાથું છે, તે જીવનની આંટીઘુટીને સમજવાની અને ભાવકને સમજાવવાની મથામણમાં પરિણમે છે.

સામ્પ્રત સમયના માનવના સાહસ અને વિકાસની દોડને લક્ષ્યમાં લઈને કિનારા અને મજધાર જેવા કલ્પનોનો વિનિયોગ કરીને લખેલો શેર કેટલો આકર્ષક છે તે જુઓ -

“આ કિનારાથી મને સંતોષ ક્યાં છે.
મન સતત મારું હવે મજધાર તાકે.” (પૃ.૧)

તો માનવી ક્ષણે ક્ષણે સતત અનેક રહસ્યોથી વિંટળાયેલો રહે છે પરંતુ આ રહસ્ય પામવાની મથામણ કોણ કરી શકે? ગુણવંત શાહ ‘પતંગિયાની આનંદયાત્રા’ નામના ગ્રંથમાં જણાવે છે કે. હું રહસ્યથી વીંટળાયેલો છું એવો ભાવ જીવનભર જાળવી રાખે તે કવિ હોય, મનીષી હોય કે પછી ઋષિ હોય”૫ ને આ જ રહસ્યની શોધ કવિમાં દૃશ્યમાન થાય છે. “મારી બેચેની પછડતા ધોધમાં છે. / જિદગી જાણે કશાની શોધમાં છે.” (પૃ. ૫) ને આ શોધ ક્ષણિક નહીં પણ શાશ્વત છે. માણસ પળેને પળે રૂપ બદલતો જવા મળે છે, પરંતુ ગઝલકાર તો અંતરાત્માને બદલવાની ઝંખના કરે છે માનવીની ભીતરમાં પડેલા દુરિત તત્વને ત્યાગવાની ઝંખના કરે છે ને આથી જ અસંતોષપૂર્વક માનવીના દંભ પર કટાક્ષ કરતા લખે છે-

“ત્યાગી શકે તો ત્યાગ તું અંદરના ઝેરને
આ સાવ ખાલી કાંચળી ત્યાગનો અર્થ શું ?” (પૃ.૧૫)

“પ્રણયજગતમાં શબ્દોને જ્યારે સીમાડા નડે છે ત્યારે હોઠ મૌન સેવે છે. ત્યારે હોઠનું કાર્ય આંખના ઈશારાઓ ઝડપે છે. પ્રાણયજગતની આવી સુક્ષ્મ બાબતને કવિ કેટલી સરળતાથી મૂકી આપે છે.

“બધી બાજી લઈ લે હાથમાં આ આંખ દરવખતે
ચૂકે છે હોઠ પણ જ્યારે કશું એની ફરજ જેવું” (પૃ.૨૦)

સાહસથી ટેવાયેલ વ્યક્તિને ડર નથી લાગતો તેવી સરળ બાબતને કવિ સરળતાથી જ આલેખે છે.

“ઉછળે મોજા ને દરિયો ઘૂઘવે છે.
એ બધું કયાં ખારવાને મુંજવે છે.” (પૃ.૨૬)

કવિ અશોકપુરી પોતાની ગઝલમાં પ્રણયનું ચિંતન ઘણું ગહન કરે છે, ને એ ગહનતાને ઘણા જ સરળ શબ્દોમાં ઢાળવાની કવિની કલા જ આગવી સૌંદર્ય સુઝના દર્શન કરાવે છે.

“માછલી થઈને કહે છે હઠ ન છોડું ,
નિર્જળા થાતી નદીનો પટ ન છોડું,” (પ.૨૭)

પ્રણયમાં નિષ્ઠા અને ઈમાનદારી ઘણાં જ મહત્ત્વનાં તત્વ બની રહે છે, ને તેની જ વાત અહીં કવિએ કરી છે, આજ વાતને બીજા શેરમાં જુદા કલ્પન દ્વારા દોહરાવે છે.

“પર્ણ ખરતા મૂળ મરતા ને છતાં પણ ,
વૃક્ષની છું છાલ મારું થડ ન છોડું” (પૃ.૨૭)

ધર્મના બંધનોને ફગાવવા એ એક ક્રાંતિ છે અને આ ક્રાંતિ જ કવિના રોમેરોમમાં પ્રસરેલી હોય એમ જણાય છે, મંદિર મસ્જિદમાં જ ઈશ્વર કે અલ્લાહ છે એ વાતને પોકળ કરતો શેર જુઓ.

“નમાજી ભલે જાય મસ્જિદ મહીં
અમારી જુદી બંદગી હોય છે.” (પૃ.૩૮)

મનુષ્ય જ્યારે પોતાના અંતર તરફ દૃષ્ટિ કરે અથવા તો અંદરનો અવાજ સાંભળી લે છે. પછી એને બાહય જગતનું વળગણ રહેતું નથી, તે ભિતરી સફરમાં વધારે ઊંડાણમાં ઉતરે છે, આવા આધ્યાત્મના જટિલ વિષયને પણ સરળતાથી ગઝલમાં ઢાળવાની શક્તિ દાદ માંગીલે તેવી છે.

“ભીતર નવા રંગને ભાળી લીધા પછી,
છાંટો બીજે ન જોઈએ મનગમતાં રંગને.” (પૃ.૪૩)

ગઝલકાર એ ગઝલમાં માત્ર ચિંતન અને દર્શન પૂરતો સીમિત નથી રહેતો તે સમાજને પરિએષણાથી તપાસે છે, ને એમાંથી જ માનવીના સારા અને નરસા બંને પાસાનો અનુભવ થાય છે. કવિ અશોકપુરી પણ આ જ પ્રક્રિયામાંથી પસાર થાય છે ને માનવીનું ઘણું મોટું નકારાત્મક પાસુ માનવદંભ છે, તેના વિશે પણ તેમણે કટાક્ષ કર્યો છે. કવિએ માનવદંભને સમજાવવા માટે પક્ષીઓ , પારઘી અને વૃક્ષોનો વિનિયોગ કર્યો છે.

“વૃક્ષોની ઠેકડી કરી પંખી ઉડી ગયાં ,
હા પારઘીના બાણથી ઉગારવા છતાં.” (પૃ.૧૦)

અહીં ‘કલિંગ’ માં ગઝલ સાથે પરંપરાગત રીતે સંકળાયેલી સૂરાને પણ પોતાની ગઝલમાં સ્થાન અપાયું છે.

“થઈ ચકચૂર દુનિયા આખી છે.
એ સૂરાને મેંય ચાખી છે.” (પૃ.૭)

તો સૂરાને પીવડાવનાર સાકી વિષયક આખી ગઝલ તેઓ નિરૂપે છે.

“કદમ અસ્થિર છે એવું તો જાણીજાય છે સાકી
વધુ એક પ્યાલી પીવડાવી પ્રમાણી જાય છે સાકી.” (પૃ.૩૧)

તો સમાજની માન્યતાઓ અને કહેવતોને પણ પોતાની ગઝલમાં કવિએ આગવી સુઝથી ઢાળી છે તે જુઓ-

“આજ ડાબી આંખ કાં ફરકે સતત
આ સમય પણ કેટલો બારિક છે.” (પૃ.૭૨)

તો કહેવતનો પણ ગઝલમાં આગવી છટાથી કરેલો વિનિયોગ ધ્યાનાર્હ છે.

“નામ મગનું કોઈ તો પાડો કશું ,
કાકલૂદી કેટલી માર્મિક છે !” (પૃ.૭૨)

ગઝલમાં પુરાકલ્પન એક પ્રકારની વિશિષ્ટતા લાવે છે અને ગગઝને અસરકાર અને ચોટદાર બનાવે છે ને ખાસ કરીને એ દ્વારા અર્વાચીન મનુષ્યની સ્થિતિને દર્શાવવાનો અભિગમ વધારે રહ્યો છે કલિંગ માં પણ આ પ્રકારના પુરાકલ્પનોના વિનિયોગ થયેલો જોવા મળે છે. મહાભારતમાં અર્જુનના પક્ષીની આંખ વિધવાના પ્રસંગને લઈને ધ્યેયલક્ષીતા તરફ કવિએ આંગળી ચીંધી છે તે જુઓ -

“વિંધે છે આંખ આમ તો નિશાની પહેલા
સુસવાટ વિના ક્યાં કશુયે બાણમાં હતું.”(પૃ.૪૯)

તો ભક્તિ અને ભક્તના મહિમાગાન માટે કવિએ શબરીના પુરાકલ્પનનો વિનિયોગ કર્યો છે.

“ભલે બોર એંઠા ભૂખ્યો રામ ખાતો,
ન શબરી સમું કોઈ પાવક અસલમાં.” (પૃ.૬૬)

કવિએ પોતાની ગઝલમાં કબિર,મીરાં, નરસિંહ જેવા ઐતિહાસિક પાત્રોનો વિનિયોગ સુંદર રીતે કર્યો છે. તેમાં મીરાંબાઈ વિશેનો આ શેર જુઓ.

“બાઈ મીરાંના સ્વરૂપે ઝળહળી જે,
એ ઉદાસીને સ્વયં અવતાર તાકે.” (પૃ.૧)

ગઝલ એ કહેવાની અને સાંભળવાની કલા છે, આથી તેમાં વાતચીતની લઢણ ઘણી અસરકારક બની રહે છે. કલિંગ માં વાતચીતની સરળ શૈલીમાં કવિએ ગઝલો આપી જાણી છે, જેમાં ‘એણે કહયું’ રદીફ લઈને આ મિજાજ બતાવ્યો છે.

“જોઈને ખાતાવહી એણે કહયું ,
જા કશું બાકી નથી એણે કહયું.” (પૃ.૬૩)

“કોણ છે તું , વાંચ તુ વંશાવલી
બાપના જેવું વઢી એણે કહ્યું.” (પૃ.૬૩)

ગઝલના બાહ્ય બંધારણની બાબતે ગઝલકાર અશોકપુરી ગોસ્વામી ‘કલિંગ’ માં ગઝલના સ્વરૂપને મહદ અંશે વળગી રહ્યાં છે, ગઝલના નિયમોનું મોટે ભાગે ચુસ્ત પણે પાલન કર્યું છે. મત્લામાં કવિએ બરાબર રદીફ જાળવ્યો છે. શેરોમાં પણ આપણને રદીફ અને કફિયાનો સુમેળ જોવા મળે છે. જોકે ઘણી જગ્યાએ કાફિયાની ભૂલો પણ જોવા મળી છે. જેમ કે પૃ.૨૫ ઉપરની ગઝલમાં આ ભૂલ જોવા મળે છે. જેનાં કાફિયામાં ગ્રંથસ્થ, કંઠસ્થ , તટસ્થ, ગર્ભસ્થ, સ્વસ્થ આ બધાયમાં ચોથા શેરમાં અદૃશ્ય આગન્તુક લાગે છે. એ જ રીતે પૃષ્ઠ નં. ૧૦,૬૧,૯૪, અને ૧૦૫ પરની ગઝલમાં આ પ્રકારની કાફિયાની ભૂલો આપણને જોવા મળે છે. રદીફ બાબતે તેઓ ઘણા સભાન છે કારિયા જેવી કોઈ ભૂલ રદીફમાં દેખાતી નથી પરંતુ તેમાં વિશેષતાઓ વધારે દેખાય છે, જેમાં પૃ. ૫૯ પર ‘માંડીને વાત કર’ જેવા પ્રમાણમાં લાંબા રદિફ પર સફળતાથી કામ કર્યું છે.

“અથ થી લઈ ઈતિ લગી માંડીને વાત કર ,
એવી શી આપદા હતી ? માંડીને વાત કર.” (પૃ.૫૯)

તો ચીલાચાલુ રદીફોથી દુર રહીને કલિંગ ગઝલસંગ્રહમાં જુદી જ રદીફોના વિનિયોગથી અભિવ્યક્તિ સાધી છે, જેમાં રંગલા અને રંગલી જેવી રદીફો સવિશેષ ધ્યાન ખેંચે છે.

“રેશમની સૂરવાલ રંગલા
પણના સીધી ચાલ રંગલા.” (પ.૧૦૨)

તો છે રહેમરાહે (પૃ.૫૭), સાહેબ મેરા (પૃ.૭૮), પરોણો (પૃ.૯૯) વગેરે રફીદો તેમની ગઝલના આગવાપણાને અભિવ્યક્ત કરે છે. મક્તા માં મોટે ભાગે ગઝલકાર પોતાનું નામ કે ઉપનામ વણી લેતો હોય છે. પરંતુ અહીં તે ગઝલ (પૃ.૧૮, પૃ.૫૯) ને અપવાદરૂપ ગણીને કવિએ કયાંય પોતાનું નામ કે ઉપનામ જણાવ્યું નથી. જો કે તે કોઈ કાવ્યદોષ નથી. આમ ગઝલકાર અશોકપુરી ગોસ્વામી ચાલીચાલુ અને બીબાઢાળ વિષયોથી પર રહીને નવા જ ચીલાને ગઝલમાં ચાતરી આપવાનો સબળ પ્રયત્ન કર્યો છે. ગઝલને તેઓ આગવી રીતે પ્રમાણે છે. ગઝલ ક્ષેત્રે સમૃદ્ધ પ્રદાન કર્યા પછી પણ નમ્રતા પૂર્વક અંતે સ્વીકારે છે કે -

“કસર હજીય છે એ પણ સ્વીકારવાનું છે.
ગઝલનું લોઢું હજી પણ તપવવાનું છે.”
અશોકપુરી ગોસ્વામી. (ગુજરાત ગઝલ વિશે થોડી વિચારણો )(પૃ. ૧૧૨)

સંદર્ભ :::

1. અશોકપુરી ગોસ્વામી ‘અર્થાત્’ (પૃ.૧) પ્રથમ આવૃત્તિ.
2. અશોકપુરી ગોસ્વામી ‘કલિંગ’ (પ્રસ્તાવના – પૃ.૮) પ્ર.આ.
3. ધ્વનિલ પારેખ ‘પ્રત્યક્ષ’, જુલાઈ સપ્ટેમ્બર ૨૦૦૬ પૃ.૫.
4. અશોકપુરી ગોસ્વામી ‘કલિંગ’ ‘ગઝલ વિશે થોડી વિચારણા’ (પૃ.૧૧૧)
5. ગુણવંત શાહ, ‘પતંગિયાની આનંદયાત્રા’ (પૃ.૧)

*************************************************** 

દરજી અભિષેકકુમાર બળવંતભાઈ
પ્લોટ નં. ૬૫૭-૨, સેક્ટર-૩સી,
ગાંધીનગર

Previousindexnext
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |   Powered By : Knowledge Consortium of Gujarat
Home  |  Archive  |  Advisory Committee  |  Contact us