logo

સદીઓથી પરાયા જ રહેલા જનસમૂહની સાચી કથા : ઉપરા

ભારતમાં દલિત ચેતનાનો ઉદ્ભવ 19મી સદીના ઉત્તરાર્ધમાં થયો અને એનું કેન્દ્રબિંદુ મહારાષ્ટ્ર હતું. તેમાં સામાજિક અને શૈક્ષણિક જાગૃતિ લાવનાર જ્યોતિબા ફૂલે અને અસ્પૃશ્યતા વિરોધી આંદોલન ચલાવનાર બાબાસાહેબ આંબેડકરનો ફાળો સવિશેષ રહ્યો છે. જેમણે મહારાષ્ટ્રની પ્રજા માટે શિક્ષણ સંસ્થાઓની સ્થાપના કરી અને એનો ફાયદો દલિત સાહિત્યકારોને થયો. મરાઠી દલિત સાહિત્યમાં કવિતા, નવલકાથા, વાર્તા, નાટક અને આત્મકથા જેવા સાહિત્ય સ્વરૂપોમાં ખેડાણ થયું. પરંતુ સૌથી વધારે સર્જન આત્મકથા અને કવિતાના સ્વરૂપમાં થયું છે.

ગુજરાતી દલિત આત્મકથા પર દ્રષ્ટિ કરતાં જણાય છે કે ‘જીવનસંઘર્ષ’, ‘પૂર્ણસત્ય’ કે ‘થોરનું ફૂલ’ વગેરે આત્મકથા વિશેષાંક જોઈ શકાય છે. ગુજરાતી આત્મકથાની સરખામણીએ મરાઠી આત્મકથા વધારે સમૃદ્ધ છે. મરાઠી દલિત આત્મકથાની સમૃદ્ધ પરંપરાથી સાત જેટલી આત્મકથાના ગુજરાતીમાં અનુવાદો પ્રાપ્ત થાય છે. એમાં લક્ષ્મણ ગાયકવાડની ‘ઉલચ્યા’ નો ગુજરાતી અનુવાદ ‘ઉઠાઉગીર’ ને દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરષ્કાર પ્રાપ્ત થયો છે. તો એવી બીજી કૃતિ લક્ષ્મણમાનેની ‘ઉપરા’ નો અનુવાદ સંજય શ્રીપાદ ભાવેએ ‘ઉપરા’ નામે જ કર્યો છે. જેને અકાદમી દ્વારા પુરષ્કૃત કરવામાં આવી છે. આ સિવાય શરણકુમાર લિમ્બાલેનો ‘અક્કરમાશી’ દયા પવારની ‘બલૂત’ (અછૂત) જેવા કૃતિઓ નોંધપાત્ર છે. આ સર્જકો જન્મે દલિત હોવાથી બિનદલતિ સમાજો તરફથી પોતે અનુભવેલ તિરસ્કાર, અન્યાય, શોષણ અને યાતનાઓની પીડા-વ્યથાની માર્મિક અભિવ્યક્તિ કરી છે.

અભ્યાસ અને વિચારતંતુના આધારે કંઈક માનું છું તેવું અનુભવવા લાગેલા પેઢીઓથી ગધેડાથી પીઠ ઉપર જ પોતાનું ઘર લઈને રઝળતા માણસોના જાત અનુભવની કથા-વ્યથા લઈને લેખકશ્રી લક્ષ્મણમાને પોતાની આપવીતી ‘ઉપરા’માં આલેખે છે. ‘ઉપરા’ એ મરાઠી પુરૂષાર્થી માનવીની આત્મકથા છે. જેમાં ‘ઉપરા’ અર્થ ‘પરાયા’ એવો સ્પષ્ટ છે. જે સદીઓથી જ સમાજના કહાવાતા ઉચ્ચ વર્ણના સમાજને ઉપયોગી જ નહીં અનિવાર્ય રહ્યા છે. તેવા લોકોની શોષણ કથા છે.

લેખકે પ્રસ્તાવનામાં નોંધ્યું છે કે “પેઢી દર પેઢી પીઠ પર ઘર લઈને ગધેડાનું આયખું જીવનારા માણસોની વેદનાઓ સમાજ સમજી લે તો પણ બહું થયું.” એ આત્મકથા લેખકનો મુખ્ય આશય છે. આઝાદીના આટલાં વર્ષો પછી પણ લેખકનાં જ નહીં, પરંતુ સમગ્ર સમાજનાં લલાટે લાગેલા સામાજિક વિષમતાનાં અંધકારનો આર્તનાદ આકૃતિમાં ડગલે ને પગલે સંભળાય છે. રસ્તાની બાજુમાં ગટરને ખૂણે ઉછરેલો અને ઉકરડા પર જીવેલો માણસ અભ્યાસ પામી ઉપરાધિકારી બને છે. તેના આ પ્રયત્નોમાં જે જે મુશ્કેલીઓનો સામનો કરે છે. તે વિશેની નગ્ન વાસ્તવિકતા કૃતિમાં પ્રગટાવી છે.

લેખક પોતે રઝળતી ભટકતી કૈકાડી જાતિનાં છે. એક કૃતિ તરીકે ‘ઉપરા’ ને જોઈએ તો તેના કેન્દ્રસ્થાને લક્ષ્મણમાનેના બાળપણના બનાવો વાચકને લાગણીશીલ રીતે સ્પર્શે છે. ‘ઉપરા’ આત્મકથામાં બે વળાંક આવે છે. લક્ષ્મણમાનેના જીવનમાં પણ બે વળાંકે આવ્યા છે. જેમાં એક ગધેડા ઉપર પોતાનું ધર વસાવીને જ્યાં રોજી-રોટી મળે ત્યાં અસ્થાયી જીવન જીવનાર મા-બાપ આખી જિંદગી ભટકતા, અને પોતાનું બાળપણ, કિશોરવય અને યુવાવસ્થા કેવી કપરી રીતે વિત્યા તેનું વર્ણન કરતી વખતે લેખક પોતાની વાસ્તવિક પરિસ્થિતિનું જ સાચું બયાન કરે છે. આરંભમાં લખાયું છે કે-
“ઉંમર તો બરાબર યાદ નથી પણ એકદિવસ ઘણાં કપડાં પહેરેલો એક માણસ સવાર સવારમાં બાપા સાથે કંઈક વાત કરતો હતો.” (પૃ.1) ત્યારે તેમની વાત સાંભળી બાપા તાડુકે છે અને કહે છે. “રાંડના હજુ ઘોરં સં, દા’ડો ચ્યો પોંચ્યો ઈતો જો જરીક” પછી બાપો બરાડ્યો. ‘આજથી નેહાળે જવાનું સં, આંયસીએ ત્યો હુંધી સલેટને પેન કાલ લાઈ આલે”(પૃ.1) આ પ્રસંગ લેખકનાં જીવનનો પહેલો વળાંક છે જેના પર તેનું અસ્તિત્વ ટકેલું છે. બીજું વળાંક બિંદુ એ છે કે કોલેજના બીજા વર્ષની અંદર ભણતાં ભણતાં સામાજિક કાર્ય. કરવાની રૂચિ જન્મી કે સામાજિક કાર્યો કરવું છે અને સમાજનો ઉદ્ધાર કરવો છે. આ વિચાર એ બીજું વળાંક બિંદુ છે. આમ, આ બે વળાંક બિંદુને કારણે મળતી ‘ઉપરા’ લક્ષ્મણમાને માટે મહત્વપૂર્ણ નીવડે છે.

બાળપણના સ્મરણો અને શાળાજીવન :

લેખક સાવ અકિંચન દશામાં હડધૂત થતાં થતાં તિરસ્કારભર્યા વાતાવરણમા અભાવો અને માત્ર અભાવોની અવસ્થામાં જ ઉછર્યા છે. પણ અકસ્માતે નિશાળે જવાની તક મળતાં જ અથડાતા કૂટાતા અભ્યાસ કરતા રહ્યા. બાપો ઈચ્છે છે કે લખમણિયો ભણે-ગણે આગળ વધી માસ્તર બને. પણ તેની ઉંમરના છોકરાઓ ત્રીજા-ચોથામાં હોય... હું એમના જેટલો થયો ત્યારે બાપા એ નિશાળમાં નામ લખાવ્યું. માસ્તરે પૂછયું : “ઉંમર કેટલી ?” બાપો કહે, કનં ખબર.. અશે આઠ-દહ વરહનો, ગાંધીબાપો મર્યા એ સાલનો” (પૃ.40) તો નિશાળનો અનુભવ જુઓ – “મરઘીઓ જેમ પોતાના બચ્ચાં સાથે બીજી કોઈ મરઘીનું બચ્ચું આવે તો એને ચાંચ મારીને વિતાડે તેમ બધા છોકરાઓ મને વીતાડવા લાગ્યા. મારો દેદાર ઉકરડા પરના કૂતરાજેવો કોઈ છોકરા મને નજીક ન રાખે, મારી પાસે પાટી ન હતી. ચોપડી કેવી હોય.. પેન્સિલ કેવી હોય... નિશાળ એટલે શું...ત્યાં શું કરવાનું...કશાનો પત્તો ન મળે” (પૃ.3) છોકરાઓ ટીખળ કરતા કાંઈક તો વળી પહેરણ ઊંચું કરતા પણ ચડ્ડી તો મળે જ નહીં, માત્ર પહેરણથી કામ ચાલતું. અને બાપો માને કે તો લખમણીઓ માસ્તર બનવાનો ! આવી માનસિક વેદનાને કારણે સમાજના લોકોને આવી સ્થિતિમાંથી ઉગારવા માટે નાની વયે આ પુસ્તક આપે છે.

આભડછેટનો એરું

સર્જકને વારંવાર આભડછેટનો એરું ડંખ્યા કરે છે. બાળપણમાં સર્વણ-પટેલનાં છોકરાઓને “મને રમાડ” એમ આજીજી કરતા એને સાંભળવા મળતું ‘હટ્ એની માના કૈકડિયા હલકા, જો તો રમવા આયો શં’ એટલે બધા છોકરાં ખડખડાટ હસતાં અને પછી ‘હલકો કૈકાડિયો’, ‘હલકો કૈકાડિયો’ અને ‘શેડાળું ઘેટું’, ‘શેડાળું ઘેટું’ (પૃ.27) એમ કહીને ખિજવતા.

લેખક પાંચમા ધોરણમાં હતા ત્યારે સવર્ણના લગ્ન પ્રસંગનાં વાજુ વગાડવા જાય છે. વાજુ વગાડીને તરસ લાગી હોવાથી પાણી માગે છે. પણ કોઈ સાંભળતું નથી. એટલામાં એક સ્ત્રી પીપમાંથી પાણી આપે છે., ઊંચેથી પાણી નાખતી હોવાથી લખમણનો પગ ખસે છે ને પીપને પગ અડે છે. એટલે એ બાઈએ ત્રાડ પાડી “સાલા મરીયલ, અભડાયું ન પોણી ! હું તારું મડદું પીવાનું હવં આ ?”(પૃ.76) તો ક્યારેક લગ્નમાં એવું પણ બનતું કે લગ્નમાં જમતાં હોય તેનો કચરો અને પતરાળાં ઉપાડવા જવાના અને જાન ઝડપથી જમી લે એ માટે પ્રાર્થના કરતા એને છેલ્લે પતરાળામાં ચોટેલું વીણીને ઉકરડા પર બેસીને જમતા. તેઓ પ્રાથમિક શાળામાં ભણતા હતા ત્યારે મિત્ર જગતાપનાં લગ્નમાં છોકરાઓના આગ્રહથી જાનવાડાની પંગતમાં જ જમવા બેસે છે. અને અંતે ઓળખાઈ જતા “કૈકાડિયિ કાંઈ હમજ સં કં નૈ ? ચલ હટ્ ઓયથી” આમ અપમાનીત કરી કાઢી મુકે છે. પહેલા ભણવામાં રસ ન હતો, પાચમા ધોરણથી ભણવામાં રસ પડ્યો, લખતાં વાંચતા આવડ્યું તો હવે બાપાને ભણાવવમાં રસ ન હતો. તેમનું કહેવુ હતું કે સારા બેન્ડ વગાડી અને નામ કમા, ત્યારે તેમની મા કહેતી એ એની મેળે ભણે છે તો ભણવા દો. અને માંની વાત માની બાપાએ કહ્યું એક ફેરા નાપાસ થાય તો ભણવાનું છોડાવી દઈશ.

લેખક કહે છે તે “ભણતરને કારણે જે તેમનામાં આ સમજ ઊગી છે” પોતે કેવું જીવન જીવ્યા તેનું તેઓ સાતમા ધોરણમાં ભણતા હતા ત્યાં સુધીનું વર્ણન છે. આમ લેખકે ભણવાની સાથે સાથે વેઠવી પડતી મુશ્કેલીઓ ભૂખ અને વિટંબણા જોઈએ તો નિશાળમાં ગાપચી મારીને લોકોના ખેતરમાંથી શેરડી, મગફળી, પપૈયા વગેરે ચોરી લાવીને ભૂખ ભાગવી, પકડાવવું, માલિક અને માસ્તરની સોટીઓ ખાવાની વગેરે. પછી તો સારા ગુરુ અને મિત્રો મળ્યા. ભણતરને કારણે વર્તન બદલાય છે અને કોલેજ સુધીનું શિક્ષણ પૂરું કર્યું.

શાળાજીવન સમયે વિકસેલી કુટેવો અને દુગુર્ણો :

આત્મકથાકાર તરીકે સર્જક પોતાની કુટેવો, દુગુર્ણો અને ગોળો પણ સહજ રીતે આલેખી છે. તમાકુના વ્યસન વિશે કહે છે કે જો તમાકુ ખાવાની તલપ લાગે તો બાપા જોડેથી માગી લેતો અને પછી તો મા સામેથી જ બે આના આપતી હતી. પડીકી અને ડબ્બી તો હંમેશ માટે વળગી, મિત્રોની સંગતથી સીગારેટ પીતા, તો નિશાળેથી છૂટીને તીન પત્તીની રમત રમવા જતા, અને છબીયા જેવા મિત્ર મળવાથી દારુ ગાળવાનો વિઠ્ઠલ નામના મિત્ર સાથે ફૂલટણમાં થયેલા બજારુ સ્ત્રીના અનુભવને પણ યથાતથ આલેખ્યા છે. જરૂર જણાય ત્યાં જ ગાળોનો પણ ખુલ્લેઆમ અને સહજ રીતે પ્રયોગ કર્યો છે.

સામાજિક સ્થિતિ :

રૂઢિગત સમાજના પ્રશ્નો અને સમાજનાં નીતિ-નિયમો, તેમજ જે સમાજે સહન કર્યુ છે તેના સંખ્યાબંધ ઉદાહરણો જોવા મળે છે. જેમાં સુંડલા, ટોપલી બનાવવા માટે સીમમાં લીલી સોટી વીણતા મા-બાપને પડેલા મારનું વર્ણન ભાવકને હચમચાવી નાખે તેવું છે. “અમે પંખીના બચ્ચાની જેન મા-બાપની રાહ જોતા હતા. હમણાં મા આવશે, હમણાં બાપો આવશે, રોટલા લાવશે પણ એમનો પત્તો ન હતો. સૌથી નાનો કિસનિયો જે રડવા લાગ્યો તા કોઇ રીતે શાંત ન રહે... હું મનમાં માને અને બાપને ગાળો દેતો હતો. ત્યાંતો એકાએક ઘોંઘાટ સંભળાયો. બાપો બધાથી આગળ હતો. એની પાછળ મા. માના શરીર પર કબજો ન હતો. એણે બાપાનું પહેરણ પહેર્યું હતું સાડીના લીરા લટકી રહ્યા હતા. બાપો ખાલી ધોતીભેર હતો. આખા શરીરે સોળ પડેલા હતા. એની પાછળ ચાર-પાંચ આદમા ઊભા હતા. અમે રડતાં રડતાં સામે દોડ્યા મા એ કિસનિયાને ઊપાડી છાતી સરસો ચાંપ્યો અને માથે હાથ ફેરવવા લાગી અને હું મા પાસે ગયો અને બંને હાથ લોહીલુહાણ હતા. કપાળની નીચે આખું મોં સુઝી ગયું હતું. બાપાના બંને હાથ બંધાયેલા હતા. માને અને બાપને ઘરમાં ન જવા દીધાં. ગામના ચોરે લઇ ગયાં. ગામવાળા વિફર્યા હતા. ‘એની માના બૌ ફાટયા સં ? બાંધેલું લીલું ડાળખું નૈ ર’વા દેતા, કનૈ ર’વા દેતા ડૂંડા. જોવે એટલે ઉઠાઇ લે. બાંધો ભડવાને ઝાડે અને રેડો ગોળનું પૉણી !’’ (પૃ.36)

સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ :

સમાજમાં સ્ત્રીઓનું પોતાના પતિ દ્વારા જ શોષણ થાય છે. એક પત્ની હોવા છતાં અન્ય સ્ત્રી સાથે લગ્ન કરી શકતો, સાંજે અંધારું થાય તે પહેલાં બૈરીએ ઘરે આવવું પડે અને ન આવે તો ઘરમાં ઘરમાં ન આવવા દે અને તેને બાપના ઘરે જ મૂકી આવવામાં આવતી, પંચ દંડ કરે તે સજા ભોગવવી પડતી. સ્ત્રીઓને જમીનદાર પાસે ગીરવી મુકે છે અને મનફાવે ત્યારે લાવે અને મૂકી આવતા જોવા મળે છે. તો સ્ત્રીઓ ખૂલ્લામાં નહાતી હોય, તો તેમને જોવા માટે તેમના જ સમાજના છોકરાઓ ટોળું વળીને નાહતી સ્ત્રીઓને જોવે છે. છતાં સ્ત્રીને તેને પતિ મારે છે. તો સ્ત્રીઓ પણ ત્રણ-ચાર વાર લગ્ન કરતી જોવા મળે છે.

સામાજિક કાર્યકર તરીકે સ્થાન :

લક્ષ્મણ માને જણાવે છે કે પોતાની ફરિયાદ બીજા સમાજ સામે નહી, પોતાના સમાજ અને પરાયાપણામાં રહી ગયેલા એક છેવાડાની વાત પોતાના મુખે રજુ કરે છે. અહીં પીડા પામનાર અને પીડાગ્રસ્ત લોકોની સ્થિતિ દર્શાવતી આત્મકથામાં કહ્યું છે – ‘ઉપરા એ મારામાં રહેલી પારકાપણાની શોધ હતી.’(પૃ.19) સામાજિક કાર્યમાં સક્રિય રીતે જોડાવવાની રુચિ કૉલેજના બીજા વર્ષથી આરંભાઇ. સર્જક લક્ષ્મણ માનેના જીવનનું આ બીજુ વળાંક બિંદુ છે. દલિતનેતા બાપુસાહેબ પાટીલ સાથે ઓળખાણ થતાં દલિતોના પ્રશ્નો વિશે વધુ નિસબતથી વિચારવા માંડ્યું. પછી મિત્રો સાથે ડૉ. આંબેડકર સ્કૂલ ઑફ થોમસ નામનું સંગઠન ચાલું કર્યુ. બીજા સમાજની છોકરી શશી સાથએ લગ્ન કર્યા. શિક્ષક તરીકે નિમણુંક મેળવી કારહાટીમાં શિક્ષક તરીકે જોડાયા. સર્જક તરીકેનો અનુભવ જુઓ. નિશાળમાં બાપાજી અને માતાજીની હકુમત ચાલતી અને પરીક્ષામાં તમામ વિદ્યાર્થીઓ નાપાસ હતા પણ પાસ કરવા જરૂરી હતા. કેમકે તે પાસ થાય તો જ શાળાઓ ચાલતી અને તેમના ઘર ટકી રહેતા. શિક્ષણનું કારખાનું સતત ચાલું રહે તે જ જરૂરી હતું

આમ આ પુસ્તક પુસ્તક જ નહીં પણ ગ્રંથ છે. કાયમી દસ્તાવેજ છે. માનવીએ અન્ય માનવીના કરેલા શોષણનો અને શોષિતોની પણ અભાનતાનો લેખકની અત્યંત વાસ્તવ અને નિખાલસ રજુઆત છે.

આત્મકથાનો અંત

અંતમાં અન્ય સમાજની યુવતી સાથે સર્જકે કરેલા લગ્ન પછી સમાજના અનેક બંધનો અને નિયમો લઇને ચાલવું પડે છે. એમણે પહેલાં પણ સમાજના પંચોના કેટલા પ્રશ્નો મૂકી આપ્યા છે. તેથી આપોઆપ જ તેની સ્થિતિની જાણ થાય છે. લગ્ન પછી પંચો સમક્ષ તેમને રજુ કરવામાં આવે છે. અહીં સૌથી ખરાબ સ્થિતિ લક્ષ્મણમાનેના છે. કારણ કે પિતાએ સમાજમાં રહેવાનુ છે તેથી તો તે પંચો સામે ઘણા કાલાવાલ અને આગ્રહ કરતા હતા. પછી તે યુવતીને સમાજનું એક વ્યક્તિ દત્તક લે છે અને તેના લગ્ન નક્કી કરે છે. ત્યારે ખબર પડે છે તે યુવતી શશી-ગર્ભવતી હોવાની જાણ થાય છે ત્યારે તેના સમાજના પંચો બીજી યુક્તિ શોધે છે અને સોપારી સાથે લગ્ન કરાવીને પછી શશી અને લક્ષ્મણના લગ્ન કરાવડાવે છે. અને આત્મકથાનો અંત આવે છે.

આ આત્મકથામાં સત્ય હકીકતોનું નિરૂપણ થયું હોવાથી લેખકની શૈલીમાં અલંકારિક ભાષાનો વિનિયોગ નહિવત જણાય છે. લેખકના જીવનમાં બે વળાંકબિંદુ દર્શાવ્યા છે. તેમ ભાષા પણ એમ જ ગતિ કરે છે. આત્મકથાના આરંભ એટલે કે બાળપણમાં કૈકાડી ભાષા વ્યક્ત થાય છે. જ્યારે અંત તરફ આત્મકથા જાય છે ત્યારે લેખકમાં પરિવર્તન આવે છે. શરૂઆતમાં કૈકાડી જાતિ અને લોકોમાં એકદમ સહજતીથી બોલાતી ભાષા તેમજ ગાળોનો ઉલ્લેખ છે. જ્યારે કોલ્હાપુર અને કોલેજમાં ગયા પછી મરાઠી વ્યવહારની ભાષા પ્રયોજાય છે.

લક્ષ્મણ માનેની નિરૂપણ રીતિનો સૌથી મોટો ગુણ એ છે કે લેખક માને કથાનાયક માને પર કશો જુલમ કરતો નથી. પણ સહજતાથી ઉતરી આવે છે. મરાઠીમાંથી ગુજરાતીમાં અનુવાદ થયો હોવા છતાં આપણને અનુવાદકની શૈલી, વસ્તુ-પ્રસંગ ઘટના વગેરે વાસ્તવિક રીતે રજુ કરી આપે છે. આ નવલકથામાં એકાદ મર્યાદા જોઇએ તો જ્યારે છોકરીવાળા માગુ લઇને આવે છે ત્યારે છોકરાવાળાને પુછે છે કે તે નોકરી કરે છે કે નહી ? તો આપણને પ્રશ્ન થાય છે કે આ સમાજ ઝડપથી કેવી રીતે આગળ વધી ગયો અને નોકરીનો આગ્રહ કરવા લાગ્યો ?

આપણે ‘ઉપરા’ આત્મકથાના બધાં જ પ્રસંગો વાંચ્યા છતાં જોયા હોય એવો અનુભવ કરી શકીએ છીએ. આપણને એમ થાય કે આત્મકથા શા માટે વાંચવી જોઈએ ? તો લખે છે કે, સમાજના લોકો એક સ્થિતિથી ઉઠીને બહાર આવે ત્યારે તેને ખબર પડે તે સમાજ કંઈ જગ્યાએથી બહાર નીકળીને અહીં સુધી પહોચિયો છે. તેનો ચીતાર મળી રહે છે. અને પ્રયોજન એ છે કે –“સમાજના કેટલાક લોકો પર યાતનાઓ, મુશ્કેલીઓ પડતી હોય છે તેની વાંચ્યા પછી ખબર પડે.”

શોષણ દમનનો ભોગ બનેલ દરેક દલિત પોતાનામાં એક આત્મકથા છુપાવીને ફરે છે. અને આથી જ આત્મકથા સંદર્ભે કાકાસાહેબ કાલેલકર પોતાની ‘સ્મરણયાત્રા’ ની પ્રસ્તાવનામાં કહે છે કે “સો-પચાસ ઈતિહાસ અને ચરિત્રો વાંચવા કરતા એક સાચું આત્મચરિત્ર વાંચવાથી આપણને વધારે બોધ મળે છે.” અનુવાદક સંજય ભાવેને પણ સલામ કારણ કે આ કૃતિએ ગુજરાતી ભાષાને એમનું સમૃદ્ધ ઉમેરણ છે, ગુજરાતી પ્રજાને એક વાસ્તવિક સંવેદનકથા મળે છે-

*************************************************** 

પટેલ અનોખી કનુભાઈ

Previousindexnext
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |   Powered By : Knowledge Consortium of Gujarat

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us