logo

મણિલાલ હ. પટેલ કૃત ‘વિચ્છેદ’ કાવ્યસંગ્રહમાં ગ્રામચેતના

ગુજરાતી સાહિત્યમાં મણિલાલ હ. પટેલે નિબંધ, ટૂંકીવાર્તા, કવિતા અને નવલકથા જેવા સ્વરૂપોમાં સત્વવંતુ પ્રદાન કર્યું છે. તેમના સર્જનનાં કેન્દ્રમાં મુખ્યત્વે ગામડું રહ્યું છે. તેમણે ગ્રામજીવનની સંસ્કૃતિ અને પ્રકૃત્તિને ઉજાગર કરીને સંવેદના સભર કલાત્મક ઓપ આપ્યો છે. તેમની પાસેથી ચાર કાવ્યસંગ્રહો પ્રાપ્ત થયા છે. અહીં તેમના ‘વિચ્છેદ’ કાવ્યસંગ્રહમાં પ્રગટતી ગ્રામચેતનાને તપાસવાનો ઉપક્રમ રાખ્યો છે. મણિલાલ હ. પટેલને ગ્રામપ્રદેશ સાથે અનન્ય લગાવ હોવા છતાં પણ તેમને શહેરમાં રહેવું પડે છે. ત્યારે તેમની કેવી વેદના થાય છે તેનો ચિતાર ‘વિચ્છેદ’ કાવ્યસંગ્રહમાં મળી રહે છે. આ કાવ્યસંગ્રહનું શીર્ષક પણ યથાર્થ અને યોગ્ય છે. કાવ્યનાયકને પોતાનું ઘર-ગામ યાદ આવતાં તે બોલી ઉઠે છે. અહીં

પાદર ને પડસાળ સાંભરે
દાદા અંતરિયાળ સાંભરે
................................
ઘર મેડીને માઢ સાંભરે
વગડો ખેતર વાઢ સાંભરે પૃ. 9)

દાદા ઘર પરસાળ યાદ છે.
આંબાની એ ડાળ યાદ છે.(પૃ. 12)

કાવ્યનાયકના ચિત્તમાં જૂની યાદો સળવળી ઊઠતા પાદર, પડસાળ, ઘર, મેડી, માઢ, ખેતર, વગડો વગેરે સ્થળો યાદ આવે છે અને આ સ્થળોની સાતે સાથે દાદાની યાદ પણ અતૂટ રીતે જોડાયેલી છે. અહીં આંતરપ્રાસનું સંયોજન અને શબ્દના પુનરાવર્તન દ્વારા સુંદર લયાત્મકતા પ્રગટી છે જે કાવ્યના સૌંદર્યમાં અભિવૃદ્ધિ કરે છે.

કાવ્યનાયક શહેરમાં રહેતો હોવા છતાં પણ તે વારંવાર ગામડાની સ્મૃતિમાં સરી પડે છે અને તેમાંથી ગામ વિશેનું એક સુંદર શબ્દચિત્ર સ્ફૂરી આવે છે –

નળિયે નળિયે સવારનો તડકો ઝરમરતો હશે.
ફળિયે ફળિયે વ્હાલપનો નાતો ફરફરતો હશે.(પૃ. 25)

અહીં કવિની કલ્પના શક્તિનો સુપેરે પરિચય મળી રહે છે. કવિએ પ્રથમ પંક્તિમાં સવારમાં નળિયા ઉપર તડકારૂપી વરસાદના સૌંદર્યની કલ્પના કરી છે અને બીજી પંક્તિમાં ગામડાના લોકો એકબીજા સાથે હળીમળીને પ્રેમભાવથી જીવન ગૂજારતા હોય તેવી કલ્પના કરી છે. આમ, કવિએ ગામડાની પ્રકૃતિ અને લોકસંસ્કૃતિની સુંદરતા દર્શાવીને ગામડાને જીવંત બનાવ્યું છે. કવિના સજાગ કતૃત્વ વડે યોગ્ય શબ્દોની ગોઠવણથી આગવા પ્રકારનો લય નિપજી આવ્યો છે તેના કારણે કાવ્યના સૌંદર્ય પણ વધારો થાય છે. કવિ ખેતરની આજુબાજુના વિસ્તારનું વર્ણન કરતા કહે છે –

વગડે બોલે તેતર મોર
લીમડે કાબરનો કલશોર (પૃ. 32)

અહીં કવિની કલ્પના વડે તાદૃશ શબ્દચિત્ર ખડું થયું છે, તેમજ તેતર, મોર અને કાબરના અવાજને કારણે સુંદર શ્રાવ્યકલ્પન ઉપસી આવે છે. વિવિધ અવાજોને કારણે નિર્જન વગડો જાણે કે જીવંત બની ગયો હોય તેમ લાગે છે. અહીં પ્રયોજાયેલ મોર-શોર જેવા પ્રાસનું આયોજન પણ ધ્યાન ખેંચે છે, તેમજ ‘કાબરનો કલશોર’ જેવા શબ્દપ્રયોગ દ્વારા કાવ્યપંક્તિ ગતિમય બને છે અને લયાત્મકતા સિદ્ધ કરે છે. કવિ ઉનાળાનું વર્ણન કરતાં કહે છે –

ચારે બાજુ વૃક્ષો ઊભાં વચમાં ખેતર સૂનાં રે
દિવસો ઉકળે ગોળ-કઢાઈ રાતે શમણાં લૂ-નાં રે (પૃ. 85)

અહીં કવિએ પ્રથમ પંક્તિમાં ઉનાળા દિવસોમાં ખેતરોની અને આજુબાજુના વિસ્તારોની નિર્જનતાનું આલેખન કર્યું છે. બીજી પંક્તિમાં આ ‘દિવસો ઉકળે’ શબ્દ દ્વારા દિવસની ગરમીનો ચિતાર આપ્યો છે, પણ ‘ગોળ-કઢાઈ’ શબ્દ દ્વારા આ દિવસો કઢાઈમાં ઉકળતા હોય તેવી કલ્પના વડે ગરમીની અહ્યતાનું વર્ણન કર્યું છે અને ત્યારપછી સપના પણ ગરમીનાં જ આવતાં હોય તેવી કલ્પના વડે માનવીના સમગ્ર અસ્તિત્વમાં કાળઝાળ ગરમીનું સામ્રાજ્ય વ્યાપી ગયું હોય તેવું આલેખન કર્યું છે. ‘સૂનાં રે’, ‘લૂ-નાં રે’ જેવા પ્રાસનું આયોજન સમગ્ર ભાવપરિસ્થિતિને ઉપસાવવા મદદરૂપ થાય છે. અહીં આલેખાયેલ ગ્રામપ્રદેશના ઉનાળાનું વર્ણન પણ જીવંતતા ધારણ કરે છે.

કવિ સાંજવેળાએ ટ્રેનમાં મુસાફરી કરતાં હોય છે ત્યારે તેમને થયેલી અનુભૂતિનું વર્ણન જોઈએ તો –

પ્રથમ ગર્ભવતી નારીના ચહેરા જેવું
હમણાં જ ખેડાયેલું ખેતર...
શાહીચૂસ જેવી સીમમાં
ગુપ્તસર-શો પ્રસરતો સન્નાટો
ખેડૂત સાથે ગામમાં ગયેલો
શ્વાનપગો પવન... (પૃ. 9)

અહીં સાંજના સમયના ગ્રામપ્રદેશનું કવિએ સુંદર આલેખન કર્યું છે અને તેને અનુરૂપ કવિએ ઉપમાની જે આવલિનું નિરૂપણ કર્યું છે તે તેમની કવિત્વ શક્તિનું ઉત્તમ દૃષ્ટાંત બની રહે છે. તેમના નાવિન્યસભર ઉપમાના આયોજન વડે સમગ્ર વાતાવરણ જીવંત બની રહે છે.

કવિએ પોતાની કવિતા અંગે કેફિયત રજૂ કરતાં નવ કાવ્યો આપ્યાં છે તેમાં તેમણે ગામ અને તેની આજુબાજુના અનેક પ્રદેશોને સાંકળીને પોતાના ભાવવિશ્વ દ્વારા ગ્રામચેતનાને વિસ્તૃત પરિપ્રેક્ષ્યમાં ઉજાગર કરી આપી છે. તેમાંની એક કવિતા જોઈએ તો –

અશ્વત્થની રતુંબડી કૂંપળ –
કવિતા : સીમમાં ઊડતું પતંગિયું
પળનું ને પરંપરાનું મૂળ
શૈશવ ને શેરીની ધૂળ
કવિતા : વડવાઈ કબીરવડની
બાવળની ડાળે ડાળે શૂળે શૂળે
વીંધાયેલાં ઝાકળ મોતી
મારી કવિતા... (પૃ. 62)

અહીં ગ્રામપરિવેશ સાથે કાવ્યનાયકનો નાતો કેટલો ગાઢ રીતે સંકળાયેલો છે તેનો સુપેરે પરિચય મળી રહી છે. અહીં કવિની કલ્પન શક્તિનું સામર્થ્ય પણ જોઈ શકાય છે. અનાજ પકવનાર ખેડૂત કણબી તરીકે ઓળખાય છે, તે પૃથ્વીનો અન્નદાતા કહેવાય છે. તેના જીવનની વાસ્તવિકતાનું વર્ણન કરતાં કવિ કહે છે કે –

કણબીના કૂવામાં સોળે વરણ ભરે પાણી
આપદાઓ કૂવાથી ઊંડી તે ક્યારે પણ કોઈએ ન જાણી (પૃ. 44)

અહીં કવિએ ‘કૂવા’ના પ્રતીક દ્વારા ‘કણબી’ની હ્દ્રયદ્રાવક સ્થિતિનું આલેખન કર્યું છે. કણબી સખત મહેનત કરતો હોવા છતાં પણ તેની સામે અનેક આપત્તિઓ આવી પડે છે તેમ છતાં પણ તે હિમ્મત હાર્યા વગર તેનો સામનો કરીને પોતાનું જીવનબળ ટકાવી રાખે છે. તેના દ્વારા નવું જ દર્શન પ્રાપ્ત થાય છે કે મનુષ્ય ગમે તેવા સંજોગોમાં પણ હિમ્મત ન હારવી જોઈએ. કવિ ગામડાના પટેલનું શબ્દચિત્ર આલેખતા કહે છે –

સમજણમાં ભોળા ને કાળજાના કાચા, પટેલભાઈ
વાણીથી વાંકા ને રગરગથી સાચા, પટેલભાઈ (પૃ. 45)

આવું જ બીજું સુંદર શબ્દચિત્ર પટલાણીનું આલેખતા કહે છે –

તમે પથ્થરને દેવ કરી પૂજ્યા, પટલાણીબાઈ
તમે આયખાથી એમ કરી ઝૂઝયાં, પટલાણીબાઈ (પૃ. 45)

અહીં કવિએ પટેલ તથા પટલાણીના વ્યક્તિત્વના લાક્ષણિકતાઓને સુંદર રીતે ઉપસાવી આપી છે. કાવ્યનાયકને બાળપણથી જ ગામડા સાથે અનન્ય લગાવ રહ્યો છે. પણ કોઈક કારણોસર કુટુંબીજનો અને સમાજના લોકો તેની સાથેનો સંબંધ તોડી દે છે. ત્યારે કાવ્યનાયકનું મન ખૂબ જ વ્યથા અનુભવે છે. તેનું મન સતત ગામડે જવાની હઠ લઈને બેસી રહે છે, ત્યારે કાવ્યનાયક મનને મનાવવા શા માટે ગામડે ન જવું જોઈએ તે માટેના અનેક સબળ પૂરાવા રજૂ કરે છે –

બાની સાથે ગયું બાળપણ ગામ જવાની હઠ છોડી દે
વસતિ વચ્ચે વિસ્તરતું રણ ગામ જવાની હઠ છોડી દે
............................................................................
નથી વાવતા ભાઇ મકાઇ ગામ જવાની હઠ છોડી દે
લોહી ખરું પણ નથી સગાઇ ગામ જવાની હઠ છોડી દે
છાશ રોટલો ગયાં વસૂકી ગામ જવાની હઠ છોડી દે
માટીએ પણ માયા મૂકી ગામ જવાની હઠ છોડી દે. (પૃ. 23,24)

અહીં કાવ્યનાયકે પોતાના મનને મનાવવા માટે અનેક પ્રયુક્તિઓ પ્રયોજી છે. આ ગીતમાં બાળપણ-રસ, મકાઈ-સગાઈ, વસૂકી-મૂકી જેવા પ્રાસના આયોજનથી શબ્દ સૌંદર્ય અને અર્થસૌંદર્યમાં વધારો કર્યો છે, તેમજ ‘ગામ જવાની હઠ છોડી દે’ જેવી ચોટદાર ધ્રુવપંક્તિ દ્વારા કવિએ પોતાના મનના ભાવને બરાબર ઘૂંટ્યો છે. તેમણે ધાર્યું નિશાન તાક્યું છે, તેના કારણે સમગ્ર ગીતમાં લયાન્વિતતાની સાથે સાથે ગતિમયતા પણ સિદ્ધ થઈ છે, માટે જ અહીં કલાત્મકતાના દર્શન થાય છે.

કાવ્યનાયક પાસે ગામડે ન જવા માટેના અનેક તર્ક-વિતર્ક હોવા છતાં પણ ગામડા સાથે નાતો તોડી શકતા નથી. તેની વ્યથા ‘સંદેશો’ કાવ્યમાં આલેખાઈ છે –

સૂકાતાં જળ સાદ કરે છે
કહેતો : વગડો યાદ કરે છે
તમે એકદા વાવ્યાં’તાં જે
ખેતર પાછાં યાદ કરે છે.

જ્યાં બેસી સૌ ભાથાં ખાતાં
શેઠો ને સીમ યાદ કરે છે.
તમને તેડી ડુંગર ચઢતી
એ મા-કેડી યાદ કરે છે. (પૃ. 30)

કાવ્યનાયકને ગ્રામપરિવેશની સમગ્ર પ્રકૃતિ યાદ કરતી હોય તેમ સતત લાગ્યા કરે છે. તેનું વર્ણન કવિએ માત્રામેળ છંદમાં આલેખાયેલ એક ગઝલમાં સુંદર રીતે કર્યું છે –

સાદ કરે ખેતર સાંભળ :
હજી વખત છે પાછો વળ

ખરી સગાઈ માટીની
ભાઈ હજી હાંકે છે હળ (પૃ. 31)

અહીં કાવ્યનાયકને પોતાનું ખેતર સાદ કરીને બોલાવી રહ્યું હોય તેમ લાગે છે. કાવ્યનાયકનો ગામ સાથેનો નાતો બાહ્ય રીતે તૂટેલો જણાય પરંતુ તેઓ આત્માથી તો સતત તેની સાથે જોડાયેલા જ રહે છે, માટે જ તેમને અનુભૂતિ થાય છે કે –

ગામવટો પામ્યા ને વરસો વીત્યાં ને –
તોય માલીપા ખેતરના ચાસ
પગમાં વીંટાતી હજી કેડીઓ ને સીમ;
મારાં રોમ રોમ શેઢાનું ઘાસ (પૃ. 52)

કાવ્યનાયક વર્ષોથી ગ્રામપરિવેશથી દૂર રહ્યો હોવા છતાં પણ તેનો નાતો એટલો તો અકબંધ રહ્યો છે કે અંતે તો તેઓ ખેતરને આજુબાજુના પ્રદેશ સાથે એકરૂપ બની જાય છે.

આમ, સમગ્ર રીતે ‘વિચ્છેદ’ની કવિતાને તપાસીએ તો તેમાં ગ્રામચેતનાના કવિ તરીકે મણિલાલ હ. પટેલ ઉપસી આવતા હોય તેમ લાગે છે. તેમની પાસે ગ્રામપરિવેશને જીવંત કરવાની, તેમાં ચેતન પૂરવાની ગજબની શક્તિ છે, તેમણે ગ્રામપરિવેશના વિવિધ સંદર્ભો વડે ગ્રામસંસ્કૃતિને ધબકી કરી દીધી છે. જાણે કે સમગ્ર ગ્રામપરિવેશને જીવંત કરીને ભાવકો સામે ખડું ન કરી દીધું હોય! આ ગ્રામપરિવેશના આલેખનમાં તેઓ તેના પ્રવાહમાં તણાયા વગર કવિ તરીકે પણ એટલા જ સભાન અને સજાગ છે. તેઓ વિવિધ આયામો વડે કવિતાને કંડારીને કલાત્મકતા પ્રગટાવી શક્યા છે એ તેમની મોટી સિદ્ધિ છે.

*************************************************** 

કેતન બુંહા
નેટ (જે.આર.એફ., એસ.આર.એફ.)
પીએચ.ડી., ગુજરાતી વિભાગ,
મ.દે.સમાજસેવા મહાવિદ્યાલય,
ગૂજરાત વિદ્યાપીઠ,
અમદાવાદ-380014.
મો.9375422484

Previousindexnext
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us