logo

ગાંધી વિચારની દ્રષ્ટિએ વિકાસ

ભારત દેશમાં ગાંધીજીને રાષ્ટ્રપિતા તરીકે સન્માન આપવામાં આવે છે. વિશ્વના ઈતિહાસમાં તેમને પ્રેમ, શાંતિ અને અંહિસાના પુરસ્કર્તા તરીકેનું સ્થાન અપાયું છે. પરંતુ સમાજશાસ્ત્રીઓની દ્રષ્ટિએ તેઓ ભારતના વિકાસ માટે એક વિશિષ્ટ વિચારસરણી આપનાર એક મહાન ચિંતક અને સુધારક હતાં.

દક્ષિણ આફ્રિકામાં સામાજીક – રાજકીય અસમાનતા અને અન્યાય સામે સફળ અહિંસક આંદોલન ચલાવ્યા બાદ “ વીર ગાંધીજી ” કે “ મહાત્મા ગાંધીજી ” તરીકે લોકસત્કાર ઝીલી, ગાંધીજી હિંદ પાછા આવ્યા. તેમણે સમગ્ર દેશમાં ભ્રમણ કરી, સામાજિક, આર્થિક અને રાજકીય પરિસ્થિતિનો કયાસ કાઢયો. સાબરમતી તટે આશ્રમ સ્થાપી, ભારતીય સમાજને નવી દિશા ચીંધવાનું કેન્દ્ર ઉભું કર્યુ. સેવાગ્રામ અને ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના દ્વારા તેમાં નવા મણકાં પરોવ્યા.

લોકમાન્ય તિલકના દેહવિલય બાદ આઝાદીની લડતની ધૂરા કોંગ્રેસે ગાંધીજીના હાથમાં સોંપી, ત્યારથી માંડીને ૧૯૪૮ ના શહીદ દિન સુધીનાં સમયગાળાને ઈતિહાસકારો “ ગાંધીયુગ ” ગણે છે. લગભગ ૨૮ વર્ષનો આ દીર્ઘ સમય માત્ર સ્વાતંત્ર્ય-પ્રાપ્તિની લડતનો ન હતો પરંતુ તે સાચા અર્થમાં વિકાસ માટેનો યુગ હતો.

ગાંધીજીએ પોતાની વિચારસરણી મુજબ ભારતીય સમાજ માટે વિકાસની એક આગવી “ બ્લ્યૂ પ્રિન્ટ ” રજૂ કરી હતી.

આ દ્રષ્ટિએ ગાંધીજી માત્ર રાજકીય આઝાદીના આગ્રહી ન હતાં. તેમની દ્રષ્ટિએ રાજકીય સ્વતંત્રતા મેળવનાર સમાજમાં જ્યાં સુધી આર્થિક અને સામાજિક અસમાનતા દૂર ન થાય ત્યાં સુધી તે બિન અસરકારક બની રહે. આથી ભારતીય સમાજ માટેના તેમનાં દ્રષ્ટિબિંદુઓ સમજવાં અને અમલમાં મૂકવાં આજે પણ એટલાં જ આવશ્યક છે જેટલાં ૧૯૫૦ માં આયોજન પંચની રચના અને ૧૯૫૧ માં પ્રથમ પંચવર્ષિય યોજનાના પ્રારંભ સમયે હતાં કારણકે મહાવિભૂતિઓના કેટલાંક દ્રષ્ટિબિંદુઓ અને કેટલીક વિચારસરણીઓ પ્રાણવંત અને દિર્ઘજીવી તથા લાભ દાયી હોય છે.

આપણે ગાંધી વિચાર કેન્દ્રમાં રાખી વિકાસને ત્રણ વિભાગો ( Three Dimensions) માં વિભાજીત કરી શકીએ.

  1. આર્થિક વિકાસ
  2. સામાજિક વિકાસ
  3. રાજકીય વિકાસ
(૧) આર્થિક વિકાસઃ

વિશાળ પંરપરાગત, રૂઢિચુસ્ત અને જ્ઞાતિ પ્રણિત ભારતીય સમાજનો લગભગ ૮૦ % ભાગ ગામડાંમાં વસતો હતો. તે બ્રિટિશ શાસનથી શોષિત, દલિત, પીડિત અને આર્થિક રીતે દરિદ્રનારાયણની સ્થિતિમાં મૂકાઈ ગયો હતો.

આર્થિક અન્યાય અને અસમાનતા દૂર કરવા ગાંધીજીએ સ્વદેશી, સ્વાવલંબનને લક્ષમાં રાખી અઢાર મુદ્દાનો રચનાત્મક કાર્યક્રમ આપ્યો.

રચનાત્મક કાર્યક્રમઃ

ગ્રામીણ કિસાનો અને કારીગરોની આર્થિક બેહાલી સુધારવા ગ્રામોદ્યોગ તથા હસ્ત-ઉદ્યોગોનો વિકાસ કરવાનો ગાંધીજીએ યોગ્ય જ આગ્રહ રાખ્યો હતો. શ્રમને પ્રાધાન્ય આપ્યું હતું. બુનિયાદી તાલીમના પાયામાં પણ આ બાબત વણી લીધી હતી.

અત્યાર સુધીનો ૭ પંચવર્ષિય યોજનાઓમાં અબજો રૂપિયા ખર્ચવા છતાં જ્યારે આજે ૪૦ % થી વધુ લોકો ગરીબીની રેખા હેઠળ જીવે છે અને શિક્ષિત તથા અશિક્ષિત લોકો બેકારીનો સામનો કરી રહ્યા છે, ત્યારે ગાંધીજીનો સર્વોદયનો ખ્યાલ હજુ પણ અસરકારક રહ્યો છે. છેલ્લામાં છેલ્લા માણસનું આર્થિક હિત કરવા ખાદી, ગ્રામ ઉદ્યોગ, કિસાન અને કારીગરોનાં સંગઠનો, આદિવાસીઓ અને પછાત-જાતિઓનાં સેવા મંડળો, સ્ત્રી-ઉન્નતિ, હરિજન કલ્યાણ, કોમી-એકતા, શ્રમ, સફાઈ, આરોગ્ય, મદ્ય-નિષેધ, પ્રોઢ-શિક્ષણ અને બુનિયાદી શિક્ષણ વગેરે રચનાત્મક પ્રવૃત્તિઓ શરૂ કરી.

ગાંધીજીએ ગ્રામીણ વિકાસ માટે ખેતી, પશુ-પાલન, ડેરી, ચર્મ-ઉદ્યોગ, ઘાણી-ઉદ્યોગ, હાથ કાગળ, તાડગોળ, વાંસકામ, માટી-કામ, લુહારી કામ, સુથારી કામ, મધમાખી ઉછેર વગેરે માટે અનુરોધ કર્યો હતો. ખેડુતોને વ્યાજમુક્ત લોન આપીને ખેતીને ઉત્તેજન આપવા જણાવ્યું હતું.

વાલીપણાનો સિધ્ધાંતઃ-

સામાજિક સમાનતાના આગ્રહી હોવા છતાં ગાંધીજીએ ખાનગી મિલ્કતનો વિરોધ નહોતો કર્યો. પરંતુ, અયોગ્ય માર્ગોએ થતી ધન-પ્રાપ્તિ અને ભોગવટાનો તેમણે વિરોધ કર્યો હતો. જરૂરત કરતાં વધુ મૂડી રાખવાને તેઓ “પાપ” ગણતા હતાં. આ માટે તેમણે “વાલીપણાનો સિધ્ધાંત” આપ્યો. દરેક પોતાના અતિરિક્ત ધનને સમાજનું ટ્રસ્ટ ગણી, પોતાને તેના ટ્રસ્ટી બનાવી, તેનો ઉપયોગ જન-કલ્યાણનાં કાર્યોમાં કરવા અનુરોધ કર્યો હતો.

યંત્ર ઉદ્યોગોઃ

ગાંધીજી યંત્રોના વિરોધી ન હતા, પરંતુ તેનો દૂરૂપયોગ, તે માટેની ઘેલછા અને તેના દ્વારા શ્રમજીવીઓનો થતાં શોષણના વિરોધી હતાં. આથી ઉદ્યોગોમાં વિકેન્દ્રીકરણ અને સંચાલનમાં શ્રમજીવીઓના હિસ્સાની વાત તેમણે રજૂ કરી હતી. આર્થિક સત્તા મુઠ્ઠીભર લોકોના હાથમાં કેન્દ્રીત થાય છે ત્યારે અનર્થ સર્જાય છે. તેમણે સૂચવેલી વિકેન્દ્રીત અર્થવ્યવસ્થામાં ટેકનોલોજી કે મોટા-ઉદ્યોગોની અવગણના ન હતી.

શ્રમનું ગૌરવઃ-

ગાંધીજીએ સમાજ અને દેશના હિત માટે પ્રત્યેક વ્યવસાયને સરખા મહત્વનો ગણાવ્યો હતો. આથી જ સર્વોદયની વિચારસરણીમાં તેમણે “વકીલ અને વાળંદ” બંનેના કામનું સમાન મૂલ્ય આંક્યું હતું કારણકે આજીવિકાનો હક દરેકને એક સરખો છે.

(ર) સામાજિક વિકાસઃ-

સમાજમાં તમામ વર્ણ અને વર્ગના લોકોનો ઉત્કર્ષ થાય તે માટે ગાંધીજીએ અસમાનતાની નાબૂદી શક્ય બનાવવા જ્ઞાતિ-જ્ઞાતિ વચ્ચેના ભેદભાવો ભૂલી જઈ આંતર જ્ઞાતીય ભોજનો અને લગ્નોને ઉત્તેજન આપ્યું હતું. જૂનાં જડ ધાર્મિક મૂલ્યોનો ત્યાગ કરી સવર્ણ અને અસવર્ણ વચ્ચેના ભેદભાવોની નાબૂદી માટે તેમણે અથાગ પરિશ્રમ કર્યો હતો. “શૂદ્રતા” કે “પછાતતા” નું કારણ જો જ્ઞાતિ હોય તો અમુક જ્ઞાતિમાં જન્મ થવો એ માણસની પસંદગીની બાબત ન હોવાથી, તેને કારણે ચાલ્યો આવતો અન્યાય કેવી રીતે સહી લેવાય? તે માટે સ્વાર્થી, રૂઢિ-ચુસ્ત લોકોએ ઉભાં કરેલાં બંધનો ફગાવી દેવાં જોઈએ. વ્યક્તિગત યોગ્યતા, ગુણવત્તાને ધોરણે દરેકને પ્રગતિ માટે સમાન તક મળવી જોઈએ.

સ્ત્રી વિકાસઃ

દેશની કુલ વસ્તીના લગભગ અડઘા ભાગ જેટલી સ્ત્રીઓ જો ઘરની ચાર દિવાલની વચ્ચે જ જીવન જીવે તે કેમ ચાલે ? આથી ગાંધીજીએ સ્ત્રીનું સ્વમાન હણનારા સામાજિક કુરિવાજો અને મૂલ્યો સામે જેહાદ જગાવી વિધવા પુર્નલગ્ન, ઘુંઘટપ્રથા, સંતતિનિયમન, સ્ત્રી-શિક્ષણ વગેરેને ઉત્તેજન આપ્યું.

કોમી એકતાઃ

રાષ્ટ્રીય અ સામાજિક વિકાસ માટે કોમી એખલાસ, શાંતિ અને ઐક્ય અનિવાર્ય છે. જેમ એક જ પરિવારમાં રહેતા લોકો ઝઘડતાં રહે તો કુટુંબના સુખ શાંતિ હણાઈ જાય છે અને વિકાસ રૂંધાઈ જાય છે તેમ સમગ્ર દેશરૂપી વિશાળ પરિવારમાં રહેતા વિવિધ કોમોના લોકોએ અંદરો-અંદર સંઘર્ષ કરવાને બદલે સંપીને રહેવું જોઈએ. હુલ્લડો, આતંક, ખૂના-મરકી અને હિંસાથી દેશ નબળો પડે છે. ગાંધીજીએ કોમી-એખલાસ સ્થાપવા પોતાના અમૂલ્ય જીવનનું બલિદાન આપવું પડ્યું હતું. ગાંધીજીના કોમી-એકતા વિષેના વિચારો હજુ આજે પણ ખૂબ ઉપયોગી અને અમલમાં મૂકવા યોગ્ય છે, તેમ થાય તો જ સાચા અર્થમાં “સર્વોદયી” સમાજ સ્થાપવા શક્ય બને.

નશાબંધીઃ

ગાંધીજીએ મદિરાપાનને માણસના આર્થિક, સામાજિક તથા નૈતિક પાયમાલી કરતી મોટામાં માટો બદી ગણાવી હતી. આજે પણ દેશના અને ભાગોમાં દારૂ કે લઠ્ઠાથી અનેક પરિવારો રોજ તબાહ થઈ રહ્યાં છે. બીજી અનેક રીતે લોકોને નશો કરતા કેમ અટકાવવા તે એક વિકટ સમસ્યા છે. અફીણ, ગાંજો, ચરસ, ભાંગ, તમાકુ-ચૂનાનો માવો, પાન-મસાલા, બીડી-સીગારેટ, તમાકુંનું પેસ્ટ વગેરેથી દેશજનોને પાયમામ થતાં રોકવા હજુ આજે પણ ખૂબ જરૂરી છે. તો જ અધોગતિ અટકશે અને વિકાસ શક્ય બનશે.

આદિવાસી અને હરિજન કલ્યાણઃ-

આપણા દેશની વસ્તિના પાંચમા ભાગ જેટલા આદિવાસીઓ અને હરિજનો વિકાસથી વંચિત અને પછાત ન રહી જાય તે માટે ગાંધીજીએ જે ભાર મૂક્યો હતો તે વિષે આપણે આજે પણ બેદરકારી કેવી રીતે સેવી શકીએ ?

(3) રાજકીય વિકાસઃ-

લોકશાહી અને પંચાયતીરાજઃ-

૧૯૪૭ માં દેશ સ્વતંત્ર થયો અને ૧૯૫૦ “કલ્યાણ રાજ્ય” ના આદર્શવાળું રાજ્ય બંધારણ અમલમાં આવ્યું ત્યારથી રાજકીય વિકાસનો પ્રારંભ થઈ ચૂક્યો છે. તમામ નાગરિકોને પુખ્ત વય મત્તાધિકાર, સમાનતા, સ્વતંત્ર્યતા અને બંધુતા, પછાત અને નબળા વર્ગના લોકોને અપાયેલા વિશેષાધિકારો, ત્રિસ્તરીય પંચાયતીરાજ પધ્ધતિ વગેરેથી રાજકીય ન્યાય અપાયાનો સંતોષ મેળવી શકાય તેમ છે. પરંતુ, હજુ સાચા અર્થમાં પંચાયતીરાજ દ્વારા સત્તાનું વિકેન્દ્રીકરણ કે ગાંધીજીની કલ્પનાના “રામરાજ્ય” નો આદર્શ સિદ્ધ થયેલ નથી. દેશનો વિકાસ સાધવા ગામડાંને સ્વાવલંબી બનાવવાં ખૂબ જરૂરી છે. સરકારી મદદ કે અનુદાન વિના પણ ગામડાં પગભર બની શકે અને સ્વ જરૂરિયાત મુજબ વિકાસ સાધી શકે તે માટે ગ્રામ પંચાયતોને વધુ શક્તિશાળી બનાવવી જરૂરી છે.

ઉપસંહારઃ

ટૂંકમાં સાંપ્રત ભારતીય સમાજના વિકાસ માટે ગાંધી વિચારનું અમલીકરણ અનિવાર્ય છે એમ આપણે સ્વીકારવું જ પડે.
  • ભ્રષ્ટાચાર, કટકી, કાળા નાણાં, શોષણ અને આર્થિક વિચારો અપનાવવા આવશ્યક છએ. હજી પણ રચનાત્મક કાર્યક્રમો, વાલીપણાંનો સિધ્ધાંત, યંત્ર-ઉદ્યોગોની સાથે લધુ અને ગ્રામ ઉદ્યોગો તથા હસ્ત-ઉદ્યોગોને ઉત્તેજન, શ્રમનું ગૌરવ, વગેરે બાબત તરફ આપના આયોજકો આંખ આડા કાન ન કરી શકે.
  • સામાજિક વિકાસ માટે જ્ઞાતિ અને કોમવાદની ઝનૂની લાગણી મિટાવી દેવી જોઈએ. સ્ત્રી-વિકાસને વિવિધ રીત ઉત્તેજન આપી તેમનો સામાજિક દરજ્જો ઊંચો આણવો જરૂરી છે.
  • વિવિધ સ્વરૂપે ચાલી રહેલ નશાખોરી કડક હાથે ડામી શકાય તો જ વિકાસ તરફ ડગ માંડી શકાશે.
  • આદિવાસી અને હરિજન કલ્યાણ તરફ ઉદાસીનતા દૂર કરી, સાચા અર્થમાં તેમનામાના સૌથી નીચલા લોકોને પણ વિકાસનો લાભ પહોંચે તેવી વ્યવસ્થા જરૂરી છે.
  • નિરક્ષરતા નિવારણ પ્રૌઢ શિક્ષણ, સંતતિ નિયમન તથા બુનિયાદી શિક્ષણ વિષે આયોજકોએ નવેસરથી વિચારવાની જરૂરત છે.
  • ગ્રામ પંચાયતોને વિકાસનાં કેન્દ્રો બનાવી તેમને વધુ સત્તા આપી ગાંધીજીની કલ્પનાનું રામરાજ્ય કે સુરાજ્ય સ્થાપવા તરફ આગળ વધવું જ પડશે.

 

સંદર્ભ પુસ્તકોઃ:

  1. ગાંધી મો.ક.: સર્વોદય
  2. ગાંધી મો.ક.: સત્યના પ્રયોગો
  3. દેસાઈ મગનલાલ પ્ર.: રાજા રામમોહનરાય થી ગાંધીજી
  4. કૃપલાની આચાર્ય:ગાંધીઃ માર્કસઃ ક્રાંતિનું વિજ્ઞાન
  5. મુખરજી રવીન્દ્રનાથ :સામાજિક વિચારધારા
  6. ત્રિપાઠી શંભુરત્ન :સામાજિક વિચારધારાનો ઈતિહાસ
  7. Sitaramaiyya P :Gandhi and Gandhian Vol: I,II
  8. Narvane V.S. :Mudran Indian Thought
  9. Kriplani J.B. :The Gandhian Way
  10. Dr. Varma V.P. :Modern Indian Political Thought
  11. Dr. Buch M.A. :The Development of Contemporary Indian
  12. Fisher Luis :A Week with Gnadhi
  13. Zainkin Taya :Gandhi
  14. Narayan Jay Prakash :Three Basic
  15. मदन जी. आर :विकास का समाजशास्त्र

*************************************************** 

ડૉ. હેતલબેન એચ. ઠક્કર,
આસિ.પ્રોફેસર, સમાજશાસ્ત્ર વિભાગ,
ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ(સાંજની)

Previousindexnext
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us